Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ઇન્સોલવન્સી એન્ડ બેંકરપ્ટસી કોડ બીલ ભારતીય બેન્કીંગ સીસ્ટમ્સને વધુ મજબૂત બનાવવા માટે મોદી સરકારનું મહત્વપૂર્ણ પગલું : બેન્કોને બુચ મારનારાઓ હવે સીધાદોર : ૨૧૦૦ કંપનીઓએ આ કાયદાને લીધે તેના બાકી લેણા પેટે કુલ ૮૩ હજાર કરોડ રૂપિયા બેન્કમાં ભર્યા : પ્રશાંત વાળા

ભારતીય રીઝર્વ બેન્ક અને નાણા મંત્રાલયે ભારતની બેન્કીંગ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસના ૧૦ વર્ષના શાસન દરમ્યાન કોંગ્રેસે તેના તમામ નજીકના ઉદ્યોગપતિઓને નિયમો નેવે મુકીને બેન્કો દ્વારા લોન અપાવી. જનતાની મહેનતના, બેન્કોમાં જમા પૈસાની ખુલ્લેઆમ લ્હાણી કરી અને એવું પ્લાનીંગ કર્યુ કે બેન્કોની બેલેન્સ સીટમાં તે દેખાય પણ નહી. માર્ચ-૨૦૦૮માં બેન્કો દ્વારા અપાયેલ કુલ એડવાન્સ ૧૮.૦૬ લાખ કરોડ રૂપિયા હતું જે કોંગ્રેસ શાસનના ત્યાર પછીના ૬ વર્ષમાં ત્રણ ગણું વધીને માર્ચ-૨૦૧૪માં ૫૨.૧૫ લાખ કરોડ રૂપિયા પર પહોચી ગયું અને ચાલાકીપૂર્વક આમાની ફકત ૩૬ ટકા ભારિત અસ્કયામતોને એન.પી.એ. તરીકે દર્શાવી. કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે ઉંડી તપાસ કરાવવામાં આવતા આ આંકડો ૮૨ ટકા પર પહોચી ગયો. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની દ્રઢ ઇચ્છાશકિતને લીધે હાલ ભારતીય અર્થતંત્રમાં પણ સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યુ છે જેના ભાગરૂપે ભારતીય બેન્કીંગ સીસ્ટમ્સને વધુ મજબૂત બનાવવા માટે મોદી સરકાર દ્વારા ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ લાવવામાં આવ્યું.

ભારતમાં વ્યકિતગત નાદારી, નાદાર કંપનીઓ તથા લોન લઇ સમયસર હપ્તા ન ભરનારાઓ સામે પગલા લેવા માટે અનેક પ્રકારના જુદા જુદા કાયદાઓ હતા અને તેનું જુદુ જુદુ અર્થઘટન થતું હોવાથી આવા લોકો આવી છટકબારીઓનો લાભ લઇ છટકી જવામાં સફળ થતા હતા અને તેને પરિણામે ભારતની ક્રેડિટ સીસ્ટમ્સ પર બહુ મોટો બોજો આવતો હતો તેમજ લોનની રિકવરી કરવી એ બેન્કો માટે માથાનો દુખાવો બની ગયેલ. બેન્કોને મજબૂત બનાવવા તેમજ ભારતની ક્રેડિટ સીસ્ટમ્સને ધારદાર બનાવવાના હેતુથી મોદી સરકારે ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ નવેમ્બર-૨૦૧૫માં રજુ કર્યું. પાર્લામેન્ટની જોઇન્ટ કમિટિ અને જાહેર જનતાના સલાહ-સૂચનો બાદ અંતે ૨૦૧૬માં આ બીલ પાર્લામેન્ટના બંને સદનમાં પસાર થયું.

ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલ – ૨૦૧૬ એ ભારતના આર્થિક સુધારાઓ માટેનું એક ઐતિહાસિક કદમ કહી શકાય. ભારતીય અર્થતંત્રને લાંબા ગાળાની મજબૂતાઇ આપવા માટે આ બીલ નિર્ણાયક સાબિત થશે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રીમંડળે આ બીલમાં થયેલા નવા સુધારાને પણ મંજુરી આપી દીધી છે. આ બીલમાં અત્યાર સુધીનો આ બીજો મોટો સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ નાદાર થયેલી કંપનીઓના પ્રમોટર્સ હવેથી તે કંપનીઓની મિલકતોની હરાજીમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે ભાગ નહી લઇ શકે તેનો મતલબ એ થયો કે અત્યાર સુધી આ બુચ મારનારાઓ પહેલા બેન્કમાં પ્રોપર્ટી ગિરવે મુકી બહુ મોટી રકમની લોન લઇ લેતા, ત્યારબાદ હપ્તા ચૂકવવાનું બંધ કરી હાથ ઉંચો કરી દેતા હતા. બેન્કો દ્વારા તેમની મિલકતોની હરાજી કરવામાં આવતી ત્યારે પણ બેન્ક અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી પોતાની જ મિલકતો હરાજીમાં ખૂબ નીચા ભાવે ખરીદી લેતા હતા. ભૂતકાળમાં આ પ્રકારના કૌભાંડો બહુ મોટા પાયે થતા હતા અને પરિણામે ભારતની રાષ્ટ્રીયકૃત બેન્કો દિવસે ને દિવસે વધુ નબળી પડતી જતી હતી. બેન્કોની ખોટ પુરવા માટે સરકારે વારંવાર બેન્કોને હજારો કરોડ રૂપિયા આપવા પડતા હતા. આમ, રાજકારણીઓ બેન્કોના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની મીલીભગતથી પ્રજાનો પૈસો બરબાદ કરવામાં આવતો હતો પરંતુ ઇન્સોલવન્સી એન્ડ બેન્કરપ્ટસી કોડ બીલને લીધે હવેથી કોંગ્રેસથી મીલીભગતથી થયેલા આવા કાળા કરતૂતો ભૂતકાળ બનશે. તાજેતરમાં જ મીનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા અપાયેલી માહિતી મુજબ ભારતની ૨૧૦૦ જેટલી કંપનીઓએ તેના બેન્કના બાકી લેણા કુલ ૮૩ હજાર કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે બેન્કોને ચૂકવી દીધા છે. તેથી જ કહી શકાય કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં આપણો દેશ બદલાઇ રહ્યો છે આગળ વધી રહ્યો છે.

પ્રશાંત વાળા

 નેતા-ભાજપા  મો.૯૯૨૪૨ ૦૯૧૯૧

(1:56 pm IST)