Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

આર. કે. યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરનું ભેદી મોત

હૈદરાબાદ રહેતાં માવતરે પોતે રાજકોટ આવે પછી જ પોસ્ટ મોર્ટમ કરાવવું એવું પોલીસને કહ્યું: લેકચર બાદ સાઇપ્રણામી કોલેજથી ઘરે આવ્યા બાદ પ્રોફેસર પતિ કલાક રહીને આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો

રાજકોટ તા. ૨૭: શહરેના ભાવનગર રોડ પર ત્રંબા પાસે આવેલી આર. કે. યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતાં મુળ હૈદરાબાદના સાઇપ્રણામીબેન મુરલીનાથ પાતીમાલા (ઉ.૨૮) ગત સાંજે લેકચર પુરા થયા પછી  પોતાને કોલેજ તરફથી ફાળવાયેલા રહેણાંકમાંથી બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મહિલા પ્રોફેસરે કોઇ કેમિકલ કે પોઇઝન લઇ આપઘાત કર્યો કે પછી કુદરતી મોત થયું? તે જાણવા ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે. જો કે તેણીના માવતર પક્ષના સભ્યો બપોર બાદ રાજકોટ પહોંચે પછી જ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે.

પ્રાપ્ત માહિતી મુજબ આર. કે. યુનિવર્સિટીના ત્રંબામાં આવેલા સ્ટાફ કવાર્ટરમાં રહેતાં અને આર. કે. કોલેજમાં બીએસસી સાયન્સમાં લેકચરર તરીકે ફરજ બજાવતાં સાઇપ્રણામી પાતિમાલા (ઉ.૨૮)ને રાત્રે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં એએસઆઇ જગુભા ઝાલાએ આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. વી. કડછા અને કેતનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃત્યુ પામનારના પતિ મુરલીનાથ પાતિમાલા પણ આર. કે. યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. બંનેના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સાંજે ચારેક વાગ્યે સાઇપ્રણામી લેકચર પુરા કરી પોતાના ઘરે ગયા હતાં. એ પછી પતિ પણ પાંચેક વાગ્યે ઘરે આવ્યા હતાં. પણ દરવાજો અંદરથી બંધ હોઇ ખખડાવવા છતાં નહિ ખોલાતાં રેકટર હિતેષ શાહને બોલાવતાં તેણે દરવાજાનું લોક તોડી નાંખ્યું હતું. તપાસ કરતાં અંદરથી મહિલા પ્રોફેસર સાઇપ્રણામી બેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં પતિ શોકમાં ગરક થઇ ગયા હતાં.

પોલીસે હૈદરાબાદ તેણીના માતા-પિતાને જાણ કરતાં તેમણે પોતે રાજકોટ પહોંચે પછી જ પોસ્ટ મોર્ટમ કરાવવાનું કહેતાં તેઓ આજે બપોર બાદ રાજકોટ પહોંચે પછી પોલીસ આગળ કાર્યવાહી કરશે. મોત કઇ રીતે થયું? તે પોસ્ટ મોર્ટમ બાદ બહાર આવશે. પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં વિશેષ તપાસ થઇ રહી છે.

(3:45 pm IST)