રાજકોટ,તા.૨૬: આફ્રિકન દેશમાં સફળ ઉદ્યોગપતિ એવા શ્રી રીઝવાન આડતિયાના જીવન ઉપર ફિલ્મ બની છે અને આ ફિલ્મનું નામ છે ''રિઝવાન'' ઉદ્યોગપતિ રિઝવાનભાઈ તેમજ આ ફિલ્મના કલાકારોની ટીમ સાથે આજે 'અકિલા'ની મુલાકાતે આવેલા. તેઓએ જણાવેલ કે મારા જીવન ઉપર આ ફિલ્મ નિહાળી હું ખુબ જ ગદ્દગદ્દીત થઈ ગયેલો. આ ફિલ્મને જીવંત બનાવવા કલાકારોએ ખૂબ જ મહેનત કરી છે. ફિલ્મ દર્શકોને જરૂર ગમશે તેવી આશા વ્યકત કરી હતી.
'રિઝવાન' ફિલ્મ શ્રી રિઝવાન અડાતિયાના વાસ્તવિક જીવન પર આધારિત છે, જે આફ્રિકામાં જાણીતા ઉદ્યોગપતિ અને પરોપકારી સમાજ સેવક છે. રિઝવાન આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ રજૂ થવાની તૈયારીમાં છે. ઓટોગ્રાફ એન્ટરટેઇનમેન્ટ અને રિઝવાન અડાટિયા પ્રોડકશન્સના સહયોગથી , આ ફિલ્મનું નિર્માણ અને નિર્દેશન શ્રી હરેશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે.
એક સાચી કથા પર આધારીત ફિલ્મ કે જેની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. આ ફિલ્મ એક પ્રામાણિક સજજનના જીવનનો ગ્રાફ દર્શાવે છે અને તે ચોક્કસપણે દરેક વય જૂથના લોકોને પ્રેરણા આપશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ જાણીતા લેખક ડો.શરદ ઠાકરે લખી છે. અભિનેતા વિક્રમ મહેતા, કેયુરી શાહ, રાજકોટના ભાર્ગવ ઠાકર, જલ્પા ભટ્ટ, ચિરાગ કથરેચા ઉપરાંત ગૌરવ ચાંસોરિયા, દિગીષા ગજ્જર, સોનુ મિશ્રા, સાગર મસરાણી, હિતેશ રાવલ ફિલ્મના મુખ્ય પાત્રો બહાર લાવ્યા છે.
નિર્દેશક કારકિર્દી દરમિયાન આને સીમાચિહ્રનરૂપ પ્રોજેકટ તરીકે દર્શાવતા, ફિલ્મ રિઝવાનના નિર્દેશક શ્રી હરેશ વ્યાસ કહે છે, રિજવાન ફિલ્મના પ્રસંગને તમે રૂપેરી પડદે જોશો તે મારા માટે એક સપનું હતું જે હવે સાકાર થયું છે. અને હું સ્વાભાવિક રીતે ખૂબ જ ખુશ છું અને આ હકીકત પર ગર્વ અનુભવું છું. અમે આ ફિલ્મ સાથે સંપૂર્ણ ન્યાય કરવાનો પ્રયાસ કર્યો છે કારણ કે તે સાચી જીવનની વાર્તા પર આધારિત છે, જો કે તે અમારા દરેક માટે એક મોટો પડકાર હતો. એક જીવંત વ્યકિત માટે એક ફિલ્મ તરીકે જીવનની સફર બનાવવી અને જનતાનું મનોરંજન કરતી વખતે કોઈ જીવંત વ્યકિતની પ્રતિભા ને હાની ન પહોંચે છતાં તથ્યને જાળવવું એ એકદમ મુશ્કેલ કાર્ય હતું. તમામ કલાકારોએ ફિલ્મને જીવંત બનાવવા માટે ખૂબ મહેનત કરી છે અને મને ખાતરી છે કે પ્રેક્ષકો આ ફિલ્મ પસંદ કરશે.
ફિલ્મમાં શ્રી રિઝવાન આડતીયાની ભૂમિકા ભજવનાર અભિનેતા વિક્રમ મહેતા કહે છે, આ બાબતે મને ગર્વ થાય છે કે આ ફિલ્મમાં શ્રી રિઝવાન આડતીયાની ભૂમિકા નિભાવવા માટે મને પસંદ કરવામાં આવ્યો. ડિરેકટર શ્રી હરેશ વ્યાસના મનમાં પાત્ર બનવા માટે મેં ખૂબ જ તણાવપૂર્ણ અને મુશ્કેલ ઓડિશન આપ્યું. જો કે, એકવાર પસંદ કર્યા પછી મેં શ્રી રિઝવાન અડા તિયા વિશેની બધી માહિતી એકત્રિત કરી જે ઉપલબ્ધ અને શકય હતી. મેં તેની સાથે સમય વિતાવ્યો જેથી હું તેને નજીકથી જાણી શકું અને તેની શૈલી અને પદ્ઘતિઓ તેમ જ મુદ્દાઓને ઉકેલવાની તેમની પદ્ઘતિનું અનુકરણ કરી શકું. આ શિક્ષણ ફકત ફિલ્મ માટે જ નહોતું પરંતુ તે મારા જીવન દરમ્યાન મને માર્ગદર્શન આપશે કારણ કે હું મારા જીવનમાં અમુક સકારાત્મક પાસા લાવવામાં સફળ થયો છું. પ્રેક્ષકો મારી સખત મહેનતની સફળતા અંગે નિર્ણય કરશે.
પ્રખ્યાત વેપારી વ્યકિત અને પરોપકારી શ્રી રિઝવાન આડતિયા ની સફળતાની વાર્તા તેમના પોતાના જીવનમાં ભારત અને ભારતીયો માટે ચોક્કસ પ્રેરણાદાયક છે. આ વાત પર શ્રી રિઝવાન આડતિયા કહે છે, ''મને મારા જીવનની સફરનો ગૌરવ છે અને મને લાગે છે કે આ ચોક્કસપણે કોઈને પ્રેરણા આપી શકે છે. એક નાનો છોકરો, જે ઈમાનદારીથી કામ કરવા માંગે છે, તેના હૃદયમાં વિશાળ સપના છે, મારી યાત્રા કયારેય સરળ નહોતી અને મારા માર્ગમાં દરેક પ્રકારના અવરોધો હતા. મારા જે સપના હતાં તે પ્રાપ્ત કરવું એ કંઈ પણ સરળ નહોતું, પણ હું ચોક્કસ એટલું જાણતો હતો કે મારી પાસે હાર સ્વીકારવાનો અને પ્રયત્નો છોડવાનો કોઈ વિકલ્પ નહોતો. આજે, એક ફિલ્મ દ્વારા આ પ્રેરણાદાયી યાત્રા જોઈને મને ખૂબ આનંદ થાય છે.''
ફિલ્મ 'રિઝવાન'નું સંગીત તમને એક જાદુઈ વાતાવરણ તરફ લઈ જાય છે. ફિલ્મ માં 'શુકર હૈ, વ્યાધિ નાથી'નું થીમ ગીત તમને અવરોધોને કેવી રીતે દૂર કરવા અને હંમેશાં સકારાત્મક જીવન જીવી શકે છે તેનો મહત્વપૂર્ણ સંદેશ આપે છે. સોહેલ સેન દ્વારા આ ગીતને સંગીત આપ્યું છે તો અનિલ ચાવડા અને ભાવેશ ભટ્ટે શબ્દોથી સજાવું છે. આ ગીતને પ્રખ્યાત ગાયક અલ્તામશ ફરીદીએ ભાવનાત્મક રીતે રજૂ કર્યું છે. ફિલ્મ માં 'આઓ સબકો શીખલડે હમ'બીજું પ્રેરણાદાયી ગીત સોહેલ સેન દ્વારા સંગીત બદ્ઘ અને અનિલ ચાવડા અને ભાવેશ ભટ્ટ દ્વારા લખાયેલું છે અને આ ઉદિત નારાયણ દ્વારા સુંદર રીતે ગવાયું છે. ફિલ્મ 'રિઝવાન'નું મુખ્ય આકર્ષણ એક પોર્ટુગીઝ ભાષાનું ગીત છે જે નિર્દેશક શ્રી હરેશ વ્યાસે જાતે નિલજાની સહાયથી લખ્યું હતું. ફ્રાન્સિસ્કો ફોર્ટુના દ્વારા સંગીત અપાયું અને મેરીઓન દ્વારા આ ગીત ગાયું છે.
ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહે તેવી આ ફિલ્મ લોકોને પસંદ પડશે તેવો ફિલ્મ 'રિઝવાન'ના તમામ કલાકારો એ અને ખુદ રિઝવાન આડતિયા એ વિશ્વાસ જતવ્યો હતો. ત્રણ અલગ અલગ દેશો કોંગો મોઝામ્બિક અને ભારતમાં શૂટ થયેલી આ ફિલ્મમાં થ્રિલ અને ડ્રામા પણ છે અને પ્રેરણાત્મક સંદેશ પણ છે.
તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ઉદ્યોગપતિ શ્રી રિઝવાન આડતિયા સાથે ફિલ્મના ડાયરેકટર શ્રી હરેશ વ્યાની તેમજ કલાકારો શ્રી વિક્રમ મહેતા, તેજ જોશી, શ્રી હિતેષ રાવલ, શ્રી ભાર્ગવ ઠાકર, શ્રી જલ્પા ભટ્ટ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)
આફ્રિકાના અંબાણી તરીકે જાણીતા એવા રિઝવાન આડતિયાનો આછેરો પરિચય : દુનિયાના ૯ દેશોમાં ૧૫૦ સ્ટોર્સના સ્થાપક સંચાલક છે, ૩૭ જેટલા વેર-હાઉસીઝના માલિક છે
રાજકોટ,તા.૨૬: નાની ઉંમરમાં દુનિયાભરમાં નામના મેળવનાર એવા ઉદ્યોગપતિ શ્રી રિઝવાન આડતિયાનો આછેરો પરિચય આ મુજબ છે.
શ્રી રિઝવાન આડતિયા દુનિયાભરના ૯ જેટલા દેશોમાં વિસ્તરેલા ૧૫૦ જેટલા સ્ટોર્સના સ્થાપક અને સંચાલક છે. ૩૮ જેટલા વેર- હાઉસિઝના તેઓ માલિક છે. તેઓની ફેકટરીઓમાં બિસ્કીટસના કાર્ટન્સ સોફટ ડ્રિંકસ, વિનેગાર, છત માટેના પતરા અને કૂકીઝ જેવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. જાણકારો તેમને સાઉથ- ઈસ્ટ આફ્રિકાના અંબાણી તરીકે પણ ઓળખે છે.
અંગત જીવનમાં તેઓ સાવ સાદગીભર્યા અને સેવાભાવી માનવી છે. તેઓના નામે કરોડોની સખાવત થાય છે. એકદમ સરળ સ્વભાવના એવા રિઝવાનભાઈ આજે મોઝામ્બિક નામના આફ્રિકાન દેશમાં બિઝનેશ જગતના સૌથી મોટા ઉદ્યોગપતિ બની ગયા છે.