Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

સાધુ વાસવાણી રોડ શાકમાર્કેટ પાસે બકાલુ વેંચવા ગયેલો ૧૪ વર્ષનો સુનીલ ભેદી રીતે ગુમ

દેવીપુજક સગીરના પિતાએ જાણ કરતા યુનિવર્સિટી પોલીસે અપહરણનો ગુનો દાખલ કરી તપાસ આદરી

રાજકોટ, તા., ૨૬: શહેરના સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર કવાટર પાસે શાક માર્કેટ પાસે બકાલુ વેચવા માટે ગયેલો ૧૪ વર્ષનો દેવીપુજક સગીર ભેદી રીતે લાપતા બનતા યુનિવર્સિટી પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ રૈયા રોડ પર સવન સીગ્નેટ બીલ્ડીંગ સામે, આરએમસી આવાસ યોજનાના કવાટર્સ બ્લોક નં. ૪/૪૧૨માં રહેતા ભીખુભાઇ જલુભાઇ સોલંકી (ઉ.વ.૩૮)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે પોતે બકાલુ વેંચી પરીવારનું ગુજરાન ચલાવે છે. પોતાને સંતાનમાં ચાર બાળકો છે.  જેમાં નાનો દીકરો સુનીલ (ઉ.વ.૧૪) નો છે. તે પોતાની સાથે સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગર કવાટર્સમાં પાસે શાક માર્કેટમાં બકાલુ વેચે છે. ગત તા. તા.ર૪-રના રોજ સવારે પોતે બકાલુ લઇને ઘરે આવ્યા બાદ  બપોરે પુત્ર સુનીલ તેના નિત્ય ક્રમ મુજબ શાક માર્કેટે બકાલુ વેચવા ગયો હતો. બાદ પોતે અને પત્ની રંજનબેન બંન્ને બકાલુ વેચવા ગયા ત્યારે સુનીલ પોતાની લારીએ ઉભો હતો. બાદ સાંજે પોતે બાથરૂમ કરવા જતા પુત્ર સુનીલ તેની લારીએ જોવામાં ન આવતા પોતે તેની બાજુમાં ઉભા રહેતા લારીવાળા દેવાભાઇ ભરવાડને પુછતા તેમણે કહેલ કે સુનીલ અડધી કલાક પહેલા અહીથી કયાંક જતો રહેલ છે અને બાદ પોતાને થયું કે કામ સબબ કયાંક ગયો હશે પરંતુ રાત્રે ઘરે ગયા ત્યારે સુનીલ પરત આવ્યો ન હોવાનું જાણવા મળતા પોતે સગાસબંધી તથા તેના મિત્રોને ત્યાં તપાસ કરતા તેનો કોઇ પતો લાગ્યો ન હતો. બાદ પોતે યુનિવર્સિટી પોલીલસ મથકમાં જાણ કરતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પીઆઇ આર.એસ.ઠાકર તથા રાઇટર ગીરીરાજસિંહ સહીતે તપાસ હાથ ધરી છે. જો કોઇને આ સગીર જોવા મળે તો મોબાઇલ નં. ૮૯૮૦૯ પર૦૭૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:29 pm IST)