Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ઓલ સૌરાષ્ટ્ર સુન્ની મુસ્લિમ ખલીફા પ્રગતિ મંડળ દ્વારા રવિવારે સમૂહલગ્ન

રાજકોટ તા. ૨૬ : ઓલ સૌરાષ્ટ્ર સુન્ની મુસ્લિમ ખલીફા પ્રગતિ મંડળ  પ્રેરીત ખલીફા એકતા સમૂહ શાદી કમીટી દ્વારા આગામી તા. ૧ માર્ચના રવિવારે સમૂહ શાદીનું આયોજન કરાયુ છે.

 'અકિલા' ખાતે આ આયોજન અંગેની વિગતો વર્ણવતા કમીટી મેમ્બરોએ જણાવેલ કે આ ચતુર્થ સમૂહ શાદીનું આયોજન છે. જેમાં ૫ દુલ્હા દુલ્હન સમુહમાં નિકાહ પઢશે.

મોહનભાઇ સરવૈયા કોમ્યુનીટી હોલ, ૮૦ ફુટ રોડ, ભાવનગર રોડ, ફિલ્ડ માર્શલની બાજુમાં, રિલાયન્સ પંપની સામે યોજેલ આ સમૂહ શાદીમાં ૨૯ મીના રાત્રે મિલાદ શરીફ અને તા.૧ ના સવારે ૬ થી ૮.૩૦ નાસ્તો રાખેલ છે. નિકાહ સવારે ૧૦ કલાકે અને ૧૧ વાગ્યે સમૂહ ભોજન રાખેલ છે.

સમૂહ શાદીમાં આગલા દિવસે આવી જનાર મહેમાનો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દુલ્હા દુલ્હનોને કરીયાવર પેટે રોકડ રકમ અને અન્ય ભેટ અપાશે.

શાદી મુબારકના પ્રસંગે અતિથિ વિશેષ તરીકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, તા.પં. વાંકાનેરના પ્રમુખ ગુલમહમદભાઇ બ્લોચ, રાજપીપળીયાના માજી સરપંચ ગનીભાઇ ડેકાવાડીયા, સેળવા રાજસ્થાનના હાજી સાલેમહમદભાઇ ભમરા, ઓલ ગુજરાતી સિપાહી સમાજના યુવા પ્રમુખ સાજીદ આર. ખોખર ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે ઓલ સૌરાષ્ટ્ર સુન્ની મુસ્લિમ ખલીફા પ્રગતિ મંડળના પ્રમુખ અબ્દુલભાઇ વી. જુણેજા (મો.૯૮૭૯૪ ૧૦૪૫૦), ઉપપ્રમુખ અનવરભાઇ જુસબભાઇ જુણેજા  (મો.૯૮૭૯૦ ૫૮૫૫૬) (રાજકોટ), વસા શફિકભાઇ ઓસમાણભાઇ (રાજકોટ), મંત્રી જુણેજા ઇબ્રાહિમભાઇ વલીમહમદ, સહમંત્રી જુણેજા લતીફભાઇ કાસમભાઇ તથા કમીટી સભ્યો ઉપસ્થિત રહી દુલ્હા દુલ્હનને આશીર્વચનો આપશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા ખલીફા એકતા સમૂહ શાદી કમીટીના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા સુન્નિ મુસ્લિમ ખલીફા પ્રગતિ મંડળના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:27 pm IST)