Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

વાજપેયીજીને રાજકોટ સાથે અતૂટ નાતો હતો

અટલજીને રાજકોટના ગાંઠીયા ખૂબ ભાવતાઃ સ્વ. ચીમનભાઈના ઘરે રોકાતા

સરકીટ હાઉસ ખાતે રોકાયા હોય ત્યારે પણ તેમનુ જમવાનું સ્વ. ચીમનભાઈ શુકલના ઘરેથી જ જતુ હતું, કાઠીયાવાડી વાનગીઓ ખાવાનો ભારે શોખ હતોઃ રાજકોટ જિલ્લા લાયબ્રેરીમાં પુસ્તકો વાંચવા પણ જતા : રાજકોટમાં ભાજપે ૬૦માંથી ૫૯ બેઠકો મેળવેલી ત્યારે અટલજીએ કહેલું કે સારૂ થયું આપણે એક બેઠક હાર્યા, કારણ કે જો તમામ બેઠકો જીતી જાત તો લોકશાહીમાં જેનુ સૌથી વધુ મહત્વ છે તે વિપક્ષ ખતમ થઈ જાતઃ તેઓ હરહંમેશ માનતા કે લોકશાહીમાં જેટલુ મહત્વ શાસક પક્ષનું છે તેટલું જ મહત્વ વિપક્ષનું પણ રહેલુ છે

રાજકોટ ,તા.૨૫: આજે ૨૫ ડિસેમ્બર એટલે કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને જેમની ગણના અજાતશત્રુમા થાય છે. તેવા અટલબિહારી વાજપાઇ નો જન્મદિવસ છે. આજે ભલે અટલબિહારી વાજપાઈ આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો તેમના નૈતિક મૂલ્યો અને તેમની કવિતાઓ હર હંમેશા આપણી સાથે છે.  ત્યારે અટલજી અને રાજકોટ શહેરના નાતાની વાત કરવામાં આવે તો તે પાંચ દાયકા જૂનો છે. વર્ષ ૧૯૫૨ થી સમયાંતરે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની મુલાકાતે અટલબિહારી વાજપાઇ આવતા રહ્યા છે.

અટલજી રાજકોટ જ્યારે પણ આવતા ત્યારે તેઓ લોધાવાડ ચોક સ્થિત ગુજરાત જનસંઘના પાયાના પથ્થર એવા સ્વ.ચીમનભાઇ શુકલના ઘરે રોકાતા હતા. અટલજી વર્તમાન પત્રો વાંચવાના શોખીન હતા. જેથી તેઓ જેટલા દિવસો રાજકોટ રોકાતા તેટલા દિવસો તેઓ લોધાવાડ ચોક થી રાજકોટ જિલ્લા લાઇબ્રેરી કે જે માલવિયા ચોક ખાતે આવેલી છે ત્યાં વાંચવા જતા હતા.

સૌ કોઈ જાણે છે કે અટલજી ખાવાના ખૂબ શોખીન હતા. ત્યારે તેઓ રાજકોટ જયારે પણ આવતા તેઓ અચૂક રાજકોટ શહેરના સૌથી પ્રખ્યાત લાબેલા ગાંઠીયા વાળાના ગાંઠીયા ખાવાનું પસંદ કરતા હતા.

તો ક્યારેક અટલજી રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રોકાયા હતા ત્યારે પણ તેમનું જમવાનું ટિફિન ચીમનભાઇ શુકલના ઘરેથી જ જતું હતું અને તેમાં પણ તેઓ કાઠીયાવાડી વાનગીઓ ખાવાનું પસંદ કરતા હતા.

 નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાયબ્રેરીના સભ્ય ડોક્ટર કમલેશ જોશીપુરાએ કહ્યું હતું કે, અટલજી ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કાર્યકરને માન અને સન્માન આપતા હતા. અટલબિહારી બાજપાઈ જ્યારે પણ રાજકોટ આવતા ત્યારે યુવા કાર્યકર્તાઓ ને પોતાના બાળપણનો એક કિસ્સો હર હંમેશ કહેતા હતા. અટલબિહારી બાજપાઈ જ્યારે ધોરણ પાંચમાં અભ્યાસ કરતા હતા તે સમયે ગ્વાલયરની અંદર એક વક્તૃત્વ સ્પર્ધા ની અંદર તેમને ભાગ લીધો હતો.તે સમયે વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વ્યક્તિએ દસ મિનિટ બોલવાનું હતું.  તે સમયે જે તે વિષય પસંદ કર્યા બાદ અટલબિહારી વાજપાઇ જે તે વિષય પર માત્ર પાંચ મિનિટ જ બોલી શક્યા હતા. ત્યારબાદ તેઓ તે વિષય સંબંધિત બાબતો ભૂલી ગયા હતા  તે સમયે ત્યાં હાજર રહેલા વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ તેમને બેસી જવાનો આગ્રહ કર્યો હતો, બસ તે જ સમયે અટલજીએ મનોમન એક નિશ્ચય કર્યો હતો કે, હવેથી હું જ્યારે પણ બોલીશ મારો વક્તવ્ય મૌલિક ચિંતન ના આધાર પર હશે. અટલબિહારી વાજપાઇની કવિતા લોક જીવે હંમેશા જીવાતી હોય છે ત્યારે તેમણે પોતાની પ્રથમ કવિતા ૧૩ વર્ષની ઉંમરમાં લખી હતી. વર્ષ ૧૯૮૪ ચૂંટણીમાં ગ્વાલિયર ખાતે માધવરાવ સિંધિયા ની સામે અટલબિહારી વાજપાઇ ની હાર થઇ હતી. જે ચૂંટણી પૂર્ણ થતાં જ તરત જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ આવી હતી જેમાં પ્રચાર-પ્રસાર અર્થે અટલજી રાજકોટ આવી પહોંચ્યા હતા. તે સમયે પણ તેમના ચહેરા પર કોઇ પણ જાતની હતાશા કે દુઃખ કે નિરાશા જોવા નહોતી મળી. કમલેશ જોશીપુરાએ અટલબિહારી વાજપાઇ જણાવ્યું છે કે, હું જ્યારે રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ હતો. તે સમયે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટી ૬૦ બેઠકો પૈકી ૫૯ બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો. ત્યારે સર્કિટ હાઉસ ખાતે અટલબિહારી વાજપાઇ ને હું કારમાં લઈ જઈ રહ્યો હતો ત્યારે એક શહેર પ્રમુખ તરીકે શા માટે આપણો એક ઉમેદવાર હાર્યો છે તે બાબતે ખુલાસો કર્યો હતો. પરંતુ અટલજીએ જે માટે તેઓ જાણીતા છે સાફ અને સચોટ વાત માટે તે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, જો આપણે તમામ બેઠકો હારી ગયા હોત તો અથવા તો તમામ બેઠકો જીતી ગયા હોત તો મને ખૂબ અફસોસ થાત. સારું થયું કે એક બેઠક આપણે હાર્યા છીએ. કારણ કે જો આપણે તમામ બેઠકો જીતી જાત તો લોકશાહીમાં જેનું સૌથી વધુ મહત્વ છે તે વિપક્ષ ખતમ થઈ જાત. અટલજી હર હંમેશ માનતા હતા કે લોકશાહીમાં જેટલું મહત્વ શાસક પક્ષનું છે તેટલું જ મહત્ત્વ વિપક્ષનું પણ રહેલું છે. કારણ કે શાસક પક્ષમાં બેઠેલા લોકો જે કંઈ પણ ભૂલ કરી રહ્યા છે. તે અંગે ધ્યાન દોરવાનું તેમને અરીસો બતાવવાનું કામ વિપક્ષનું છે. ં (સંપૂર્ણ સમાચારમાંથી સાભાર)

(3:54 pm IST)