રાજકોટ તા. ૨૫: સંગઠીત ગુનાખોરી આચરતી ટોળકીઓ સામે ગુજસીટોક હેઠળ રાજકોટ શહેરમાં નોંધાયેલા બીજા ગુનામાં ભીસ્તીવાડમાં રહેતાં એઝાઝ ઉર્ફ ટકો અકબરભાઇ ઉર્ફ હકુભા ખીયાણી સહિત ૧૧ સામે પ્ર.નગર પોલીસ મથકમાં એફઆઇઆર દાખલ થયા બાદ છ આરોપીઓને પકડી લેવાયા હતાં. અન્ય ચાર જેલમાં હોઇ તેનો પણ બાદમાં કબ્જો લેવાયો હતો. જો કે આ ગેંગનો સુત્રધાર ભીસ્તીવાડ મોરબી હાઉસ કવાર્ટર હવા મંજીલ ખાતે રહેતો એઝાઝ ઉર્ફ ટકો અકબરભાઇ ઉર્ફ હકુભા ખિયાણી (ઉ.વ.૩૪) ફરાર હોઇ તેને પણ ક્રાઇમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર કુવાડવા રોડ ખેરવા ગામના પાટીયા પાસેથી દબોચી લીધો છે. પોતે ઓળખાઇ ન જાય તે માટે દાઢી વધારી વેશપલ્ટો કરીને ભાગતો ફરતો હતો. પોલીસે દબોચ્યો ત્યારે માથે ફાળીયુ બાંધેલુ હોઇ ખેડૂત જેવો દેખાવ લાગતો હતો.
પોલીસે એઝાઝ ઉર્ફ ટકો ખિયાણી તથા મીરજાદ અકબરભાઇ ઉર્ફ હકુભા ખીયાણી, સરતાજ ઉર્ફ રાજન હમીદભાઇ ખીયાણી, જામનગર રોડ હુડકો કવાર્ટરના મજીદ ઉર્ફ પપ્પુ સુલેમાનભાઇ જુણાચ, ભીસ્તીવાડના ઇમરાન જાનમહમદ મેણુ, રિયાઝ ઇસ્માઇલભાઇ દલ, રિઝવાન ઇસ્માઇલભાઇ દલ, યાસીન ઉર્ફ ભુરો ઓસમાણભાઇ કઇડા, શાહરૂખ ઉર્ફ રાજા અલ્લારખાભાઇ ઉર્ફ બાબુ જૂણેજા, માજીદ રફિકભાઇ ભાણુ અને મુસ્તુફા ઉર્ફ હકુભા ખીયાણી સામે ધી ગુજરાત કન્ટ્રોલ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ (ગુજસીટોક) એકટ-૨૦૧૫ની કલમ ૩ (૧) (૧), ૩ (૧) (૨), ૩ (૨) તથા કલમ ૩ (૪) મુજબ ગુનો નોંધ્યો હતો.
આ ટોળકી એકબીજા સાથે સંગઠન રચી ખૂન, મહાવ્યથા-ખૂનની કોશિષ, ગેરકાયદે હથીયારોનો ઉપયોગ, એટ્રોસીટી, ધાડ, ધમકીઓ, જૂગાર, રાયોટીંગ, જીવલણે હુમલા સહિતના ગુનાઓ આચરી પ્રજાજનોમાં ભય ફેલાવી પોતાની ધાક ઉભી કરવાના હેતુથી નેટવર્ક ઉભુ કરી સતત ગુનાખોરી આચરતી હોવાનો આરોપ મુકાયો છે. ક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
૧૧ શખ્સોની ટોળકીનો સુત્રધાર એઝાઝ ઉર્ફ ટકો જે હાલ ફરાર હતો. આ સિવાયના ૧૦ પૈકીના ૪ આરોપી રિયાઝ દલ, રિઝવાન દલ, યાસીન ઉર્ફ ભુરો અને શાહરૂખ ઉફ રાજા અલગ-અલગ ગુનામાં જેલહવાલે હતાં. જ્યારે બાકીના ૬ આરોપી સરતાજ ઉર્ફ રાજન, માજીદ ઉર્ફ પપ્પુ, ઇમરાન મેણુ, મિરજાદ ખીયાણી, મુસ્તુફા ખીયાણી અને માજીદ ભાણુની ધરપકડ કરી રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા હતાં. એ પછી બાકીના ચારનો પણ જેલમાંથી કબ્જો મેળવી રિમાન્ડ મેળવાયા હતાં.
ફરાર સુત્રધાર એઝાઝ ઉર્ફ ટકો કુવાડવા રોડ ખેરવાના પાટીયા તરફ દેખાયો હોવાની બાતમી હેડકોન્સ. રઘુવીરસિંહ વાળા, સુભાષભાઇ ઘોઘારી, રાજેશભાઇ બાળા અને કોન્સ. શકિતસિંહ ગોહિલને મળતાં પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા અને ટીમ ત્યાં પહોંચી હતી અને વોચ રાખી હતી. એ દરમિયાન ખેડૂત જેવા દેખાવમાં એઝાઝ નજરે ચડતાં પહેલી નજરે તો પોલીસ પણ થાપ ગાઇ હતી. કારણ કે દાઢી ખુબ વધેલી હતી અને માથે ફાળીયુ બાંધેલુ હતું. ખાત્રી થતાં જ તેને દબોચી લેવાયો હતો.
તે આટલા દિવસો સુધી મોરબી, વાંકાનેર, સિંધાવદર, મોડાસા તરફ વેશપલ્ટો કરીને ભાગતો ફરતો હોવાનું રટણ તેણે કર્યુ છે. સાચી વિગતો ઓકાવવા રિમાન્ડ મેળવવામાં આવશે. ક્રાઇમ બ્રાંચ પાસેથી પ્ર.નગર પોલીસ કબ્જો મેળવી આગળની કાર્યવાહી કરશે. એઝાઝ ઉર્ફ ટકો પ્ર.નગરના જૂગાર, એ-ડિવીઝનના મારામારી-ધમકીના અને પ્ર.નગરના ગુજસીટોકના ગુનામાં ફરાર હતો. તેના વિરૂધ્ધ હત્યાની કોશિષ, મારામારી, રાયોટીંગ, આર્મ્સ એકટ, તોડફોડ, ધાકધમકી, અપહરણ-બળાત્કાર, જૂગાર સહિતના ૧૧ ગુના નોંધાઇ ચુકયા છે.
શહેર પોલીસે સોૈ પહેલા ગુજસીટોક હેઠળ દૂધસાગર રોડની ટોળકી ઇમ્તિયાઝ ઉર્ફ લાલો રાઉમા અને સાગ્રીતો સામે ગુનો નોંધ્યો હતો. એ પછી એઝાઝ ઉર્ફ ટકાની ગેંગને આ કાયદા હેઠળ સકંજામાં લીધી છે.
પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ એચ. બી. ધાંધલ્યા, હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, રઘુવીરસિંહ વાળા, રાજેશભાઇ બાળા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. શકિતસિંહ ગોહિલ, અશોકભાઇ ડાંગર સહિતે આ કામગીરી કરી હતી.
પ્ર.નગર પોલીસ કબ્જો સંભાળી રિમાન્ડની તજવીજ કરશે. ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ.એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલ, દેવશીભાઇ ખાંભલા, વિજયરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, મહાવીરસિંહ જાડેજા, અક્ષયભાઇ ડાંગર, હરેશભાઇ કુકડીયા, સંજયભાઇ દવે, જનકભાઇ સહિતની ટીમ વધુ તપાસ કરે છે.