Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ર૬ સપ્ટેમ્બરઃ ઓશો અભિનવ સંન્યાસ દિવસ

સૌંદર્ય જયાં સાળે કળાએ ખીલી રહૃયુ છે એવા હિમાચલ પ્રદેશના મનાલીમાં એક એક શિબિર યોજવામાં આવી હતી. આ સાધના શિબિર આચાર્ય શ્રી રજનીશજી(ઓશો) ના સાનિધ્યમાં રાખવામાં આવી હતી. તા. રર સપ્ટે. ૭૦ થી પ ઓકટો.૭૦ સુધી યોજાયેલ આ શિબિરનો વિષય હતો શ્રી કૃષ્ણ લીલા અને ગીતા શ્રી કૃષ્ણનું વિરલ વ્યકિતત્વ, કૃષ્ણ લીલાનું અદભુત રહસ્ય અને ગીતાની ગહનતા અને ગંભીરતાનું રસપાન આચાર્યશ્રી જેવી મૌલિક વિભૂતિના મુખેથી કરવું એ જીવનનો મહામૂલો અવસર હતો. ભારતભરમાંથી તેમજ વિદેશમાંથી આવેલ અનેકવિધ શિબિરાર્થીઓ સમક્ષ મધુર વાણી વહેવડાવતા આચાર્યજીએ સાંભળતા એમ લાગતુ કે જાણે હિમાલય જ જીવંત થઇ વહી રહ્યો છે.

આ શિબિર દરમ્યાન ર૬ સપ્ટે ૭૦ના રોજ આચાર્યજીએ ક્રાંતિના એક નવા કદમની ઘોષણા કરી અને તે ''અભિનવ સન્યાસની''. ભારતીય સંસ્કૃતિની અમરવેલનું પુષ્પ તે સંન્યાસ છે. અને આ મહામૂલુ઼ ફૂલ બચાવી લેવું જોઇએ એવી ભાવના તેમણે પ્રગટ કરી. પરિણામ સ્વરૂપ એમની આ અભિલાષાને ત્યા હાજર રહલામાંથી ર૧ જેટલા ભાઇ-બહેનોએ ઝીલી અને સંન્યાસ ધારણ કર્યાે. જેમાંના આજમાં ધર્મજયોત હયાત છે.

અભિનવ સન્યાસ વિષે ઓશો કહે છે કે મારી દૃષ્ટિએ સન્યાસ ત્યાગ નહી, આનંદ છે. સન્યાસ એ નિષેધ નથી, ઉપલબ્ધી છે પરંતુ આજ સુધી પૃથ્વી ઉપર સન્યાસને નિષેધાત્મક દૃષ્ટિએ જ જોવામાં આવ્યો છે. આજસુધી સન્યાસને ત્યાગના અર્થમાં, છોડવાના અર્થમાં લેવામાં આવ્યો છે, મેળવવાના અર્થમાં નહી.

પરંતુ હું સન્યાસને પ્રાપ્તિના અર્થમાં જોઉ છું જયારે કોઇ વ્યકિત હીરાઝવેરાત મેળવે છે ત્યારે જરૂર તે કાંકરા પથરાને છોડી દે છે. પરંતુ કાંકરા પથરાને છોડવા એનો અર્થ એટલો જ છે કે હીરા ઝવેરાત માટે જગ્યા કરવી. કાંકરા પથરાનો ત્યાગ કરી શકાતો નથી. ત્યાગ તો આપણે એવી વસ્તુઓનો કરીએ છીએ કે જેનું મૂલ્ય વધારે હોય છે. જયારે કાંકરા પથરા તો એવી રીતે છૂટી જાય છે જાણે ઘરમાંથી કચરો કાઢયો. કચરાનું આપણે મુલ્ય સમજતા નથી અને કેટલો કચરો ફગાવ્યો તેનો હિસાબ પણ રાખતા નથી. જે કાંઇ છોડવામાં આવે છે તેનો હિસાબ કિતાબ અત્યાર સુધીનો સંન્યાસ રાખતો રહૃયો છે. હું સંન્યાસને એવી ભાષામાં, એવા હિસાબ કિતાબમાં જોઉં છુ કે જે પ્રાપ્ત થાય છે. આ બંને દૃષ્ટિકોણમાં જરૂર પાયાનો ફરક પડશે.

જો સન્યાસ એ આનંદ છે, જો સન્યાસ એ ઉપલબ્ધિ છે, જો સંન્યાસ એ પ્રાપ્તિ છે, વિધાયક છે-તો સન્યાસનો અર્થ વિરાગ ન હોઇ શકે, ઉદાસીનતા ન હોઇ શકે, સન્યાસનો અર્થ છે જીવનમાં અહોભાવ, સન્યાસનો અર્થ ઉદાનસીનતા નહીં, પ્રફુલ્લતા હોઇ શકે. સંન્યાસનો અર્થ હોઇ શકે જીવનનો વિસ્તાર, ઉડાણ, સંકોચાવું નહીં, વિસ્તરવું. -અત્યારસુધી જને આપણે સંન્યાસી કહીએ છીએ તેઓ પોતાને સંકોચે છે, બધાથી અલગ કરે છે. પોતાની જાતને બધી બાજુથી અંદર પૂરી રાખે છે. હું તેને સન્યાસી કહું છું જે પોતાની જાતને જોડે, પોતાની જાતને બંધ ન કરે એટલું જ નહિ ઉપરથી ખુલ્લી કરે.

સ્વામી સત્ય પ્રકાશ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર મો. ૯૪ર૭ર પ૪ર૭૬

(4:18 pm IST)