Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

બળાત્કારના ગુના સબબ ડો. સચીન જેલહવાલે

સિવિલ હોસ્પિટલના તબિબના બે દિવસના રિમાન્ડ પુરા થતાં સોમવારે સાંજે જ કોર્ટ હવાલે કરવામાં આવતાં જેલહવાલેનો હુકમ થયોઃ ડીન દ્વારા ડો. સચીનને એક ટર્મ માટે છુટા કરી આરોગ્ય વિભાગને રિપોર્ટ કર્યોઃ હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી

રાજકોટ તા. ૨૫: સિવિલ હોસ્પિટલની નવી ઓપીડીમાં પાંચમા માળે ફિમેલ વોર્ડના રેસિડેન્ટ ડોકટરના આરામ માટેના રૂમમાં ૩૧-૮ની મોડી રાત્રે ત્રણેક વાગ્યે મહિલા તબિબ પર સર્જરી વિભાગના સિનીયર ડો. સચીન સંતોષકુમાર સિંઘ (ઉ.૨૮)એ બળાત્કાર ગુજાર્યાની ઘટનામાં  પોલીસે ગુનો દાખલ કરી ડોકટર સચીનની ધરપકડ કરી લઇ તબિબી પરિક્ષણ પણ કરાવ્યું હતું. આ ગુનામાં બે દિવસના રિમાન્ડ સોમવારે સાંજે પુરા થતાં હોઇ તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટ દ્વારા જેલહવાલે કરવા હુકમ કરવામાં આવ્યો છે.

મહિલા તબિબે ઘટના બની તે વખતે બીજા બે સાથી ડોકટરોને અને બાદમાં માતા-પિતાને બોલાવીને ડીન સમક્ષ પોતાની સાથે સેકસ્યુઅલ હેરેસમેન્ટ થયાની રજૂઆત કરી હતી. ડીન અને બીજા ડોકટરોએ તાકીદે કમિટી રચી હતી અને તપાસ શરૂ કરી હતી. બાદમાં ડો. સચીન સિંઘને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. જે તે વખતે ડોકટરે જો આ વાત કોઇને કરી તો કારકિર્દી ખતમ કરી નાંખશે તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. તે સસ્પેન્ડ થયા બાદ હિમ્મત આવતાં પોલીસ કમિશ્નરશ્રીને મળી રજૂઆત કરતાં જ પોલીસે તુર્ત જ ગુનો દાખલ કરી ડો. સચીન સિંઘની ધરપકડ કરી લીધી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી હતી. બળાત્કારના કેસમાં આરોપીનું ખાસ તબિબી પરિક્ષણ થતું હોય છે એ પરિક્ષણ પણ કરાવાયું હતું.

ડોકટર સતત પાછળ પડી ગયાની અને રિલેશનશીપ માટે અનેક વખત દબાણ કર્યાની વિગતો પણ મહિલા તબિબે એફઆઇઆરમાં જણાવી હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજા, પી.આઇ. બી. એમ. કાતરીયાએ ઘટનાની ગઇકાલે વિગતો આપી હતી. ડોકટર સામે ખુબ જ આકરી કલમ હેઠળ કાર્યવાહી થયાનું જણાવાયું હતું. બે દિવસના રિમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટ દ્વારા ડો. સચિનને જેલહવાલે કરવા હુકમ થયો હતો. મેડિકલ કોલેજના ડીન તરફથી આ મામલે ડોકટર વિરૂધ્ધ આરોગ્ય વિભાગને પણ આકરો રિપોર્ટ કરાયો છે. તેમજ ડોકટરને રાજકોટની હોસ્ટેલમાંથી પણ હાંકી કઢાયાનું જણાવાયું છે.

ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પી.આઇ. બી.એમ. કાતરીયા, મહિલા પીએસઆઇ એચ. જે. બરવાડીયા, એએસઆઇ સંજયભાઇ દવે, મહેન્દ્રભાઇ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, અરવિંદભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, અશોકભાઇ કલાલ, જયદિપભાઇ ધોળકીયા, પ્રદિપસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, મનજીભાઇ ડાંગર, જયેન્દ્રસિંહ પરમાર, વિરભદ્રસિંહ જાડેજા સહિતે કાર્યવાહી કરી હતી. (૧૪.૬)

(12:58 pm IST)