Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

સરકારે ધીરાણ નીતિ હજુ સુધી જાહેર ન કરતા વીમો લેવાની પ્રક્રિયા અટકી પડી !

દર વર્ષે ૧૫ જૂન આસપાસ ઓનલાઈન અરજી લેવાનુ શરૂ થઈ જાય છે આ વખતે હજુ અરજી થઈ શકતી નથી : ખેતી નિયામક કહે છે, કંપનીઓ અને પ્રીમીયમનો દર નક્કી જ છે, ઓનલાઈન અરજી પ્રક્રિયા માટે તૂર્તમાં પરિપત્ર બહાર પડશે

રાજકોટ, તા. ૨૫ :. ગુજરાતમાં ચોમાસાની મોસમે દરવાજે ટકોરા મારી દીધા છે. ઘણા વિસ્તારોમાં વાવણી થઈ ગઈ છે છતા હજુ સરકારે ધીરાણ બાબતની માર્ગદર્શિકા જાહેર ન કરતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. વીમાનું પ્રીમીયમ નક્કી થયુ ન હોવાથી ખેડૂતો વીમો લઈ શકતા નથી. જાણકારોનું કહેવુ છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી પાક વિમા યોજનામાં ફેરફાર કરવા માગે છે. હાલ ધીરાણ માટે વિમો લેવો ફરજીયાત છે તેને મરજીયાત કરવાની વિચારણા થઈ રહી છે તે કારણસર પરિપત્રમાં વિલંબ થઈ રહ્યો હોય તે સંભવ છે.

કૃષિ ક્ષેત્રના વર્તુળોના જણાવ્યા મુજબ દર વર્ષે સરકાર ધીરાણ નીતિ અને પ્રિમીયમનો દર નક્કી કરતો પરિપત્ર પ્રસિદ્ધ કરે પછી ૧૫ જૂન આસપાસથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થતી હોય છે. આ વખતે સરકારે આવી કોઈ સ્પષ્ટતા કરી ન હોવાથી ઓનલાઈન અરજીનુ પોર્ટલ ખુલતુ જ નથી. લાખો ખેડૂતો માટે આ મુંઝવણનો વિષય થઈ ગયો છે. કેટલીક સહકારી બેન્કોએ ખેડૂતોના હિતમાં મંજુરીની અપેક્ષાએ ધીરાણ માટેની પ્રાથમિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. 

દરમિયાન આ અંગે રાજ્યના ખેતી નિયામક શ્રી ભરત મોદીનો સંપર્ક સાધતા તેમણે અકિલાને જણાવેલ કે ૩ વર્ષ માટે વિમા કંપનીઓ નક્કી જ છે. પ્રિમીયમના દર પણ નક્કી કરેલા છે. પરિપત્ર બહાર પાડવો તે વહીવટી પ્રક્રિયા છે તે ટૂંક સમયમાં જ પુરી કરવામાં આવશે.

(4:00 pm IST)