Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

ખત્રીવાડમાં જૂના ભાડુઆતોને હાંકી કાઢવા માટે બે શખ્સોની ધમકી

ખત્રીવાડ કબીર શેરીમાં રહેતા હરકિશનભાઈ મણીયારની પોલીસ કમિશનરને મયુર વ્યાસ અને ગીરીરાજસિંહ ઝાલા વિરૂદ્ધ લેખીત ફરિયાદ

રાજકોટ, તા. ૨૨ :. ખત્રીવાડ કબીર શેરી જામનગરના ઉતારામાં રહેતા જૂના ભાડુઆતોને હાંકી કાઢવા માટે બે શખ્સો ધાકધમકી આપી ખોટા એફીડેવીટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટી રજૂઆત કરી પરેશાન કરતા ભાડુઆતે પોલીસ કમિશનરને લેખીત ફરીયાદ કરી છે.

ખત્રીવાડ કબીર શેરીમાં જામનગરનો ઉતારો શેરી પાસે સર્વે નંબર ૧૪૨૭ની જમીન જામનગરના જૂના ઉતારા તરીકે ઓળખાતી મિલ્કતના જૂના ભાડુઆત હરકિશનભાઈ નટવરભાઈ મણીયાર (ઉ.વ. ૬૧) એ પોલીસ કમિશનરને કરેલી લેખીત ફરીયાદમાં મયુર વ્યાસ ્ને ગીરીરાજસિંહ ઝાલાનું નામ આપ્યુ છે. હરકિશનભાઈએ જણાવ્યુ છે કે જામનગરના જૂના ઉતારા તરીકે ઓળખાતી મિલ્કતના જૂના ભાડુઆત છીએ, અમોએ કોર્ટમાં દાવો કરેલ જે કેસમાં અમોને મનાઈ હુકમ મળેલ છે અને સુચીત પક્ષકાર તથા કાઉન્ટર કલેઈમને કોર્ટે કાઢી નાખેલ છે છતા પણ તેવો ખોટી અને ગેરકાયદેસર બાંધકામની પરવાનગી મળ્યા વગર તેનુ કામ કરી રહ્યા છે.

આ લોકોએ કપીલા હનુમાન રોડ ઉપર કપચી નાખીને અડધો રોડ બંધ કરી દીધેલ છે. તેના લીધે ટ્રાફીક સમસ્યા સર્જાય છે. મયુર વ્યાસે અમારા મકાનના ખોટી એફીડેવીટ કરેલ છે તે ખોટી રજુઆત મ્યુનિસિપલને કરેલ કે તે ૩૧ નંબર હંસાબેન હરકિશનભાઈ મણીયારનું છે. તેના પુરતા પુરાવા છે એટલે કે ભાડાની પહોંચ જે ગીરીરાજસિંહના મળતીયાઓએ આપેલ, ઘરમેળે સમજુતી કરાર તથા મની ઓર્ડરથી મોકલેલ ભાડુ સ્વીકારવાની પહોંચ છે.

ગીરીરાજસિંહે ખોટી એફીડેવીટ કરેલી છે. મે તમામ ભાડુઆતની સંમતિ લીધેલ છે. તો અમારી કોઈ પણ જાતની સંમતિ અમે આપેલ નથી. આ રજુઆત અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર રજુઆત કરવા છતા કોઈ કાર્યવાહી થઈ નથી. અમે મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવાથી મંજુર થયેલ પ્લાનનું બાંધકામ બંધ કરાવવા નોટીસ આપેલી તા. ૨૮-૩ના રોજ બાંધકામ ન કરવા કહેલ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનનો અનાદર કરી તા. ૧૩-૫ના રોજ બુલડોઝરથી કામ ચાલુ કરી ખાડા ખોદી નાખેલ છે. અમારા બ્લોક નં. ૩૧માં આવવા-જવાનો રસ્તો પણ બંધ કરી દીધેલ છે. આ બાબતે રજૂઆત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરી હતી, પરંતુ કોઈ પગલા લેવાયા નથી અને કોર્પોરેશનની મંજુરી વગર ડિમોલીશન કરી ડંકી પણ કાઢી નાખેલ છે. તેથી ભાડુઆતોને પીવાના પાણીની સમસ્યા સર્જાઈ છે. ભાડુઆતોની સંમતિ વગર ગેરકાયદેસર રીતે પ્લાન પાસ કરાવેલ છે અને અમારી ગાંધીનગર સુધી પહોંચ છે, તમારે દોડવુ હોય ત્યાં દોડો, કયાંય તમારૂ ચાલશે નહીં, તેમ કહી ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી અને મયુર વ્યાસે પણ ધમકી આપી હતી અને આ જગ્યાના કોન્ટ્રાકટર રતિભાઈ કુંભારે કહેલ કે, ધોકા ઉડશે જો અમારા કામમાં તમે કયાંય પણ અરજી કરશો' તો અને ખોટા કેસ કરીને તમને જેલ ભેગા કરી દેશુ તેમ ધમકી આપે છે. આ મામલે કોર્પોરેશન અને પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે ગેરકાયદેસર રીતે થતુ ડીમોલીશન અટકાવ્યુ હતુ. મયુર, હિરેન અને રતિભાઈ કુંભાર તથા તેના મળતીયાઓ કોર્ટના મનાઈ હુકમ અને કોર્પોરેશનએ આપેલ તા. ૨૮-૩ની નોટીસ કે જે મંજુર થયેલ પ્લાનનું બાંધકામ બંધ કરાવવા આપેલ છે. તેનુ તે લોકો ખોટુ અર્થઘટન કરી રહ્યા છે. આ અંગે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેમ જણાવાયુ છે.

(3:35 pm IST)