Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

રૈયામાં પતિ તમાકુ ખાતો જોઇ જતાં શિતલનો ગળાફાંસો ખાઇ આપઘાત

પતિએ આ બાબતે જેતપુર સાસુને પણ જાણ કરી હતીઃ વણકર પરિણીતાના આપઘાતથી માસુમ પુત્ર મા વિહોણો

રાજકોટ તા. ૨૫: રૈયા ગામમાં જુના વણકરવાસમાં રહેતી શિતલબેન સુરેશભાઇ મકવાણા (ઉ.૨૫) નામની વણકર પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. પતિ તમાકુ ખાતો જોઇ જતાં અને તે બાબતે તેણે જેતપુર પોતાના સાસુ રમાબેનને જાણ કરતાં શિતલબેને આ પગલુ ભરી લીધાનું પરિવારજનોએ કહ્યું હતું.

બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ કે. એમ. ડોડીયા સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આપઘાત કરનાર શિતલબેનના માવતર જેતપુર રહે છે. તેણીના લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં દોઢ વર્ષનો પુત્ર વિશ્વજીત છે જે મા વિહોણો થઇ ગયો છે. પતિ સુરેશભાઇ કડીયા કામની મજૂરી કરે છે. તે સવારે ઉઠ્યા ત્યારે પત્નિને પાઇપમાં બાંધેલી દોરીના ફાંસામાં લટકતી જોતાં હતપ્રભ થઇ ગયા હતાં. દેકારો મચાવતાં બીજા પરિવારજનો અને અડોશી પડોશી ભેગા થઇ જતાં ૧૦૮ને જાણ કરી હતી. પરંતુ ઇએમટીએ તેણીને મૃત જાહેર કરી હતી.

શિતલબેન તમાકુ ખાતી હોવાની જાણ પતિને થઇ જતાં પતિએ આ બાબતે પોતાના સાસુ રમાબેનને જેતપુર જાણ કરી દીધી હતી. આ કારણે માઠુ લાગી જતાં તેણીએ આ પગલું ભર્યાનું પરિવારજનોનું માનવું છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે. (૧૪.૧૧)

(3:47 pm IST)