Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મોટામવાના પૂર્વ સરપંચ મયુર શીંગાળા હત્‍યા કેસમાં માનવતાની જામીન અરજી રદ

આરોપી ઉત્તમ ગાંડુએ કાકાની બિમારી સબબ ૩૦ દિવસના જામીન માંગેલ

રાજકોટ, તા. ૨૫ :. સૌરાષ્‍ટ્રભરમાં ચકચાર જગાવનાર મોટામવાના સરપંચ અને રાજકીય અગ્રણી મયુર શીંગાળા હત્‍યા કેસમાં સંડોવાયેલ ઉત્તમ ગાંડુભાઈ વકાતરે ૩૦ દિવસના વચગાળાના જામીન પર મુકત થવા તેઓના કાકાની બિમારી સબબ માનવતાના ધોરણે સારવાર અર્થે વચગાળાની જામીન અરજીની કરેલ માંગણી રાજકોટના  એડી. સેસન્‍સ જજે નામંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ બનાવની હકીકત જોઈએ તો મોટામવા ગામના સરપંચ ગુજરનાર મયુર તળશીભાઈ શીંગાળાનું તેના જ ગામના આરોપીઓ (૧) ગાંડુ ભુરાભાઈ (૨) મહેશ ગાંડુભાઈ (૩) ઉત્તમ ગાંડુભાઈ (૪) વજુબેન ગાંડુભાઈ (૫) હંસા ઉર્ફે હેમા ગાંડુભાઈ (૬) લતા ઉર્ફે ટીની ગાંડુભાઈ (૭) વિનુ ઉર્ફે દેવજીભાઈ પુંજાભાઈ (૮) જયેશ વિનુભાઈનાઓએ પૂર્વયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી રચી હત્‍યા કરેલ હતી.

ઉપરોકત કેસના આરોપી ઉતમ ગાંડુ ભરવાડે અગાઉની જેમ જ તેઓના કાકાની બિમારી સબબ વચગાળાની માનવતાની જામીન અરજી કરતા મૂળ ફરીયાદીના એડવોકેટ સુરેશ ફળદુ તેમજ સ્‍પે. પી.પી. દ્વારા જણાવવામાં આવેલ કે આરોપીઓ જામીન મુકત થવા કોઈને કોઈ માનવતાના કારણો આગળ ધરી જેલમુકત થવા આવી અરજી કરી રહેલ હોય અને અગાઉ પણ આ જ આરોપી દ્વારા આ જ કારણ આગળ ધરી માનવતાના ધોરણે જામીન પર મુકત થવા અરજી કરેલ, જે અરજી પણ અદાલત દ્વારા નામંજુર કરવામાં આવેલ હોય, સદર કેસ આખરી તબક્કામાં હોય, જે તમામ સંજોગો ધ્‍યાને લઈ જામીન અરજી રદ કરવા રજુઆતો કરેલ હતી.

ઉપરોકત તમામ રજુઆતો, રેકર્ડ પરની હકીકતો ધ્‍યાને લેતા આરોપી ટ્રાયલમાં હાજર ન  રહે તો ટ્રાયલ વિલંબીત થવાના સંજોગો હોય, જે તમામ હકીકતો ધ્‍યાને લેતા અરજદારની ફેવરમાં અંતર્ગત સત્તાનો ઉપયોગ કરવો મુનાસીબ ન માની આરોપી ઉતમ ગાંડુની કોર્ટે વચગાળાની માનવતાની જામીન અરજી નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવેલ છે.

ઉપરોક્‍ત કામમા મૂળ ફરીયાદી ભરત શીંગાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા તથા સ્‍પે. પી.પી. તરીકે નિરંજન એસ. દફતરી તથા મદદમાં ભાવીન દફતરી, દિનેશ રાવલ રોકાયેલ હતા.

(11:00 am IST)