Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

‘મોડો કેમ આવે છે, કામધંધો કેમ કરતો નથી' ઠપકો આપતા વૃધ્‍ધ વજુભાઇને પુત્રએ મારમાર્યો

રૈયાધાર દલીતનગરમાં બનાવઃ પુત્ર પ્રફુલ ઉર્ફે ઘોઘી સામે ગુનોઃ પુત્રના ડરથી પિતા શાપર દીકરીના ઘરે જતા રહ્યા

રાજકોટ તા. રપઃ રૈયાધાર દલીતનગરમાં વૃધ્‍ધે પુત્રને ‘મોડો કેમ આવ્‍યો છો, કામ ધંધો કેમ કરતો નથી' ઠપકો આપતા પુત્રએ ઉશ્‍કેરાઇ જઇ પિતાને મારમારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ રૈયાધાર દલીતનગરમાં રહેતા વજુભાઇ ભુરાભાઇ પરમાર (ઉ.વ. પ૬) ત્રણ દિવસ પહેલા પોતાના ઘરે હતા ત્‍યારે પુત્ર પ્રફુલ ઉર્ફે ઘોઘી પરમાર ઘરે આવતા પિતા વજુભાઇએ તેને ‘મોડો કેમ આવ્‍યો છો, કામ ધંધો કેમ કરતો નથી' તેમ કહેતા પુત્ર પ્રફુલ ઉર્ફે ઘોઘીએ ઉશ્‍કેરાઇ જઇ ઝઘડો કરી પિતાને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા પ્રફુલ ઉર્ફે ઘોઘી ભાગી ગયો હતો બાદ પુત્રના ડરથી પિતા વજુભાઇ શાપર-વેરાવળમાં રહેતી પુત્રીના ઘરે જતા રહ્યા હતા આ બનાવ અંગે વૃધ્‍ધે યુનિવર્સિટી પોલીસ મથકમાં પુત્ર વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવતા હેડ કોન્‍સ. જે. બી. ગોહિલે તપાસ હાથ ધરી છે.

(3:04 pm IST)