Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

રવેચીનગરમાં નશાખોરે ઘર નજીક પેશાબ કરનારાને જયેન્દ્રસિંહ જાડેજાએ ટપારતાં પથ્થરમારોઃ છરી ઝીંકાઇ

કોઠારીયા સોલવન્ટ દિનદયાળનગર કવાર્ટરમાં રહેતાં ધમા રજપૂતના બે ભાઇઓ મિલન અને ટીડો તથા અજાણ્યા શખ્સોએ ધમાલ મચાવ્યાની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૫: ગોંડલ રોડ કોઠારીયા સોલવન્ટ પાસે રવેચીનગરમાં રહેતાં ટ્રાન્સપોર્ટ સંચાલક ક્ષત્રિય યુવાન પર દિનદયાળનગર કવાર્ટરમાં રહેતાં રજપૂત શખ્સો તથા અજાણ્યા માણસોએ હુમલો કરી ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા કરતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. આ યુવાનના ઘર નજીક એક શખ્સ પેશાબ કરતો હોઇ યુવાનના મોટાબાપુએ તેને ટપાર્યો હતો. આ બાબતનો ખાર રાખી ડખ્ખો કરવા આવેલા શખ્સો હુમલો કરી ભાગી ગયા હતાં. આ શખ્સોએ ઘર પર પથ્થરમારો પણ કર્યો હતો.

રવેચીનગરમાં રહેતાં અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં જયેન્દ્રસિંહ તાનુભા જાડેજા (ઉ.વ.૨૨) નામના યુવાનને રાતે સાડા નવેક વાગ્યે ઘર પાસે હતાં ત્યારે નીકના રૂડાનગર દિનદયાળનગર આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં  ધમા રજપૂતના ભાઇ મિલન તથા ટીડો અને બીજા અજાણ્યા શખ્સોએ મારકુટ કરતાં અને છરીથી ઇજા કરતાં સિવિલમાં દાખલ કરાયો હતો. પીએસઆઇ જી.એસ. ગઢવીએ તેની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.

જયેન્દ્રસિંહના કહેવા મુજબ રાત્રીના અમારા ઘર નજીક એક નશાખોર જેવો લાગતો શખ્સ આવીને ઉભો રહી ગયો હતો અને પેશાબ કરવા માંડ્યો હતો. તેને મારા મોટા બાપુ રણજીતસિંહ કનુભા જાડેજાએ દૂર જવાનું કહેતાં તે બોલાચાલી કરી જતો રહ્યો હતો. એ પછી આ શખ્સ તથા નજીકમાં રહેતાં ધમા રજપૂતના બે ભાઇઓ સહિતના શખ્સો આવ્યા હતાં અને ગાળાગાળી કરી અમારા ઘર પર પથ્થરમારો કરતાં હું બહાર નીકળતાં અને સમજાવવા જતાં મારા પર હુમલો કરી ભાગી ગયા હતાં.

(12:52 pm IST)