Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

પર સ્ત્રીને માં-બહેન ગણે, સરકારના અન્યાયનો પ્રતિકાર કરે, રાવણને પણ ભોંમાં ભંડારી દે તે જ સાચો ક્ષત્રિયઃ મહિપતસિંહ જાડેજા :: મરસીયાની મોજ કાર્યક્રમમાં સુરતના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પણ

રાજકોટઃ ગઈકાલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના જન્મ દિવસ નિમિતે મરસીયાની મોજ કાર્યક્રમ રીબડા ખાતે યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને વહેલી સવાર સુધી મરસીયાની મોજ કાર્યક્રમ માણ્યો હતો. આ તકે મહિપતસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે, સમાજમાંથી દુષણો નાબુદ થાય તે માટે કામગીરી કરવી જોઈએ. પર સ્ત્રીને માં-બહેન ગણે તે સાચો ક્ષત્રિય. રાવણને પણ ભોંમાં ભંડારી દે તે સાચો ક્ષત્રિય, સરકારના અન્યાયનો પ્રતિકાર કરે તે સાચો ક્ષત્રિય કહેવાય છે. મહિપતસિંહ બનવુ ખૂબ જ અઘરૂ છે. અનેક દુઃખો વેઠીને મહિપતસિંહ બન્યો છું. ગોંડલ તાલુકાના રીબડા ગામના વતની અને પૂર્વ ધારાસભ્ય તથા જુદા-જુદા ક્ષેત્રોમાં લોક ઉપયોગી કાર્યો કરનારા અને ક્ષત્રીય સેનાના પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ શુક્રવારે ૮૩ માં જન્મ દિવસની ઉજવણી અલગ રીતે કરવાનું નકકી કર્યુ છે. આ માટે કાલે રીબડામાં 'મરસીયાની મોજ' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.  મહિપતસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું કે, મારા સમાજ આવા કાર્યક્રમોમાં કંઇ ગ્રહણ કરે તો સમાજ સુખી થાય તેવી ભાવના છે. મહિપતસિંહ જાડેજાએ કહ્યું હતું કે, ઇશ્વરે ઘણું આપ્યું છે. ખેતી સંપતિ થકી આજે પરિવાર સુખી છે અને ત્યાર પછી જે વધ્યું છે તે પ્રજાના હિતમાં અને લોકોને મદદ માટે વાપરવા નિર્ણય કર્યો છે. આ કાર્યક્રમ થકી મારા સમાજના લોકોને એ સંદેશ આપવો છે કે તેઓ કશું ખોટું ન કરે, અત્યાચારનો સામનો કરે એ જ ખરો રાજપૂત કહેવાય. મારા અવસાન પછી તો મારા દીકરાઓ મારા માટે ઘણું કરવાના છે પણ મારે જીવતા જ મારા મરસીયા કેવા ગવાય છે એ જાણવા આ કાર્યક્રમ રાખ્યો હતો.  આ તકે રાજ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, જયેશભાઈ રાદડિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જવાહરભાઈ ચાવડા, આઈ.કે. જાડેજા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પદ્મશ્રી ભીખુદાન ગઢવી, હમીરદાન ગઢવી, જીતુદાન દાદબાપુ ગઢવી, રાજભા ગઢવી, અનુભા ગઢવી, શંકરદાન ગઢવી સહિતનાએ વહેલી સવાર સુધી મરસીયાની મોજ કાર્યક્રમમાં મરશિયાનું ગાન કર્યુ હતું. સુરતમાં સર્જાયેલ દુર્ઘટનામાં મૃતક વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં અંજલી આપવામાં આવી હતી. કલાકારો તથા મરસીયાની મોજ માણવા આવેલ લોકો ઉભા થયા હતા અને બે મીનીટ મૌન પાળીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે અંદાજે દોઢ થી બે લાખ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માટે સ્વ. મોહનસિંહ ભાવુભા જાડેજા, સ્વ. ભગીરથસિંહ મહિપતસિંહ જાડેજા, સ્વ. રામદેવસિંહ મહિપતસિંહ જાડેજાના આર્શિવાદ પ્રાપ્ત થયા હતા.સફળ બનાવવા જયદિપસિંહ ભગીરથસિંહ જાડેજા, મેહુલસિંહ રામદેવસિંહ જાડેજા, રાહુલસિંહ રામદેવસિંહ જાડેજા, ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, સત્યજીતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા, રાજદિપસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા સહિત મહિપતસિંહ જાડેજા પરિવારે જહેમત ઉઠાવી હતી.

(3:25 pm IST)