Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

પવિત્ર માસને આવકારવા મુસ્લિમોમાં આધ્યાત્મિક ઉત્સાહ

૭ મી મેથી રમઝાન માસઃ સતત ત્રીજા વર્ષે પણ ર૯ રોઝા થશેઃ પ્રથમ જ વાર રોઝદારો માટે ખુશીનો સંયોગઃ અંતિમ શુક્રવાર, શબેકદ્રની રાત્રિ અને હરણી રોઝો ક્રમશઃ એક સાથે

સોમવારે સાંજે ચંદ્રદર્શન થશેઃ મંગળવારે શરૂ થઇ મંગળવારે રમઝાન માસ પુર્ણ થશેઃ પમી જુન બુધવારે ઇદ થશે : ગત વર્ષ કરતા ઘટાડો થતા : ર૮ મિનીટની વધઘટ ઉપર ૧૪II કલાકથી પોણા પંદર કલાકનો રોઝો રહેશે : આ વર્ષે ૧૧ દિ' વ્હેલી શરૂઆત જેથી કાળઝાળ ગરમી યથાવત રહેશે : આ વખતે સહેરીનો સમય વ્હેલો થતો જશે અને ઇફતારનો : સમય વધતો જશે

(ફાઇખ દ્વારા) રાજકોટ, તા., ર૫: આગામી છઠ્ઠી મેના સાંજેચંદ્રદર્શન થવાની સાથે સાથે પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થનાર હોઇ તા.૭-પ-ર૦૧૯ના પ્રથમ રોઝો રહેશેઅને આવખતે મંગળવારે શરૂ થઇ મંગળવારે રમઝાન માસ પુર્ણ થતા બુધવારે તા.પ-૬-ર૦૧૯ના રોજ 'ઇદ' નો મહત્વનો તહેવાર ઉજવવામાંઆવનાર છે.

ઇસ્લામી પંચાગ ચંદ્રદર્શન પર આધારીતછે અને તેમાં ર૯ અથવા ૩૦  દિવસના પુરાના ૧ર મહીના હોય છે હાલના હિજરીસન ૧૪૪૦ના કેલેન્ડરમાં ગત રબી ઉલ આખર, જમાદીઉલ અવ્વલ અને જમાદીઉલ આખર એમ ત્રણ મહીનાના ૩૦ દિવસો પુરા થયા પછી રજજબ માસ ર૯ દી'નો થયેલ અને હાલમાં ઇસ્લામી માસ શાબાન ચાલી રહયો છે જે ૩૦ દી'નો પુરો થનાર હોઇ તા.૬-પ-૧૯ના સોમવારે જ ચંદ્રદર્શન થશે.

જો કે ગત વર્ષે પણ શાબાન મહીનો ૩૦ દી'નો થયો હતો અને આ વખતે પણ શાબાન માસ ૩૦ દી'નો થનાર છે જેના લીધે તા.૭-પ-૧૯ના મંગળવારે રમઝાન માસનો પહેલો રોઝો થશે.

વાસ્તવમાં મંગળવારથી શરૂ થઇ મંગળવારે રમઝાન માસ આ વખતે ચાલશે અને એટલું જ નહી ગત કેટલાક વર્ષોનો ક્રમ આ વખતે પણ જળવાઇ રહેવાનો હોઇ તેમ રમઝાન માસના ર૯ રોઝા થશે અને તા.૪-૬-૧૯ને મંગળવારના સાંજે ચંદ્રદર્શન થયા બાદ તા.પ-૬-૧૯ને બુધવારે 'ઇદુલફિત્ર' મનાવવામાં આવશે.

અત્રે એ નોંધનીય છે કે રમઝાન માસ દર વર્ષે છેલ્લા કેટલાક વર્ષોથી ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચેથી પસાર થઇ રહયો છે અને આ રમજાન માસમાં દરેક પુખ્ત વયના મુસ્લીમ સ્ત્રી-પુરૂષોને ખુદા તરફથી 'રોઝા' રાખવા ફરજીયાત છે. આ રોઝા એક 'ઉપવાસ' જ છે. જેમાં પરોઢીયેથી લઇ છેક સુરજ આથમે ત્યાં સુધી મુસ્લીમ ભાઇ-બહેનો રોઝા રાખે છે અને આ રોઝામાં અન્નજળનો ત્યાગ કરવામાં આવે છે. એ ત્યાં સુધી કે ગળા નીચે થુંક પણ ઉતારવામાં આવતું નથી. આમ નર્યા નકોર ઉપવાસ કરવામાં આવે છે એ સાથે દિવસના પાંચ વખતની નમાઝ સમયસર પઢવામાં આવે છે. એટલું જ નહી રાત્રે પણ મસ્જીદોમાં વધારાની 'સળંગ' તરાવીહની નમાઝ દોઢ કલાક માટે પઢવામાં આવે છે. ઉપરાંત મુસ્લીમો કુઆર્ન પઠન અને ઇબાદતમાં મશગુલ બની જાય છેએ જોતા રમઝાન માસ શરૂ થતા જ મુસ્લીમ સમાજમાં આધ્યાત્મીકતા છવાઇ જાય છે.

હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે, ત્યારે રમઝાન માસ વધુ એક વાર ઉનાળામાં આવી ચુકયો છે અને એ સમય જોતા હવામાન મિશ્ર રહેનાર હોઇ આમ છતાં કેટલાક રોઝામાં રોઝા રાખનારા 'રોઝેદારો'ને આકરો તાપ સહન કરવો પડે તેવા સંજોગો છે. જો કેતાપમાન ૩પ થી ૪૦ ડીગ્રી સુધી જઇ રહેશે તેવો વર્તારો છે.

આધ્યાત્મીક ઉત્સવ સમા તપસ્યાનો અપાર મહિમા અર્થાત રમઝાન માસ આવતા જ મુસ્લીમ સમાજમાં હર્ષ વ્યાપી જાય છે. જેથી રોઝા માસને સત્કારવા ભારે ઉત્સાહ પ્રવર્તી રહયો છે.

આ રમઝાન માસમાં દાન-પુણ્યના કામો પણ એટલા જ કરવામાં આવે છે જેના લીધે પરોઢીયે ભોજન અર્થાત 'સહેરી' અને સાંજે રોઝા ખોલાવવા માટેના મનમોહક ભોજનના થાળ એટલે 'ઇફતારી'ના પણ અનેક સદગૃહસ્થો અને સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો દરરોજ માટે યોજાઇ છે.

ખાસ કરીને રમઝાન માસમાં સાંજ પડતા જ રોઝેદારો તમામ મસ્જીદોમાં એકત્ર થશે અને સમુહમાં ઇફતાર કરશે એટલે રોઝા છોડશે. જેના માટે ફ્રુટ ફરસાણ ઠંડા-પીણા ઉપલબ્ધ કરાશે અને એ માટેની તૈયારીઓ આરંભી દેવાઇ છે.

રમઝાન માસ ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુઆન શરીફની વર્ષગાંઠ હોઇ અને રમઝાન માસમાં દાન-પુણ્યનું વળતર ૭૦ ગણું હોઇ કુઆર્ન પઠન મસ્જીદોમાં વધી જશે અને તેના લીધે રાત્રી-દિવસ મસ્જીદો ખુલ્લી જ રહેશે અને મોડી રાત  સુધી મસ્જીદોમાં ચહલ-પહલ પણ રહેશે. આથી મસ્જીદોને રોશની શણગાર કરવામાંપણ આવશે.

આ તમામ વચ્ચે ખાસ કરીને રમઝાન મહીનામાં રોઝાનું મહત્વ વધારે છે અને આ રોઝા કાળઝાળ ગરમી વચ્ચેપણ મુસ્લીમ ભાઇ-બહેનો રાખી રોજીંદા કામોમાં પ્રવૃત રહે છે.

જો કે આ વખતે રોઝાના સમયગાળાની માત્રા ઘટી છે. રોઝાનું સમયપત્રક જોતા ગત વર્ષે શરૂઆતમાં રોઝાનો સમય લાંબો હતો પરંતુ આ વખતે તેનાથી ઓછુ સમયપત્રક ચાલશે જેથી પ્રારંભમાં ૧૪ કલાક ર૩ મીનીટનો રોઝો રહેશે. જે વધીને ૧૪ કલાક પ૧ મીનીટનો રોઝો થઇ જશે.

જો કે ર૮ મીનીટની વધઘટ આખા માસમાં રહેશે એકંદરે સાડા ૧૪ થી પોણા પંદર કલાક સુધીનો રોઝો રહેશે.

સમયપત્રક મુજબ રોઝો પરોઢીયે ૪.પર ના શરૂ  થશે અને જેને સહેરી કહેવાય છે તેનો સમય યાદ રાખવો જ પડે તે રીતે ક્રમશઃ ઘટતો રહેતો હોઇ છેલ્લે ૪.૪૦ના રોઝો શરૂ થશે.

જયારે સાંજે પ્રથમ રોઝો ૭.૧૯ના પુરો થશે અને તેનું સમયપત્રક યાદ રહી જાય તેમ દર બે દિ'એ બદલતો રહેશે અને બે-બે મીનીટના વધારાથી છેલ્લે ૭.૩૦ના રોઝા ખુલશે.

જો કે આ વખતે સહેરીનો સમય૮ મીનીટ ઉપર ગયો છે અને ઇફતારનો સમય માત્ર ૪ મીનીટ વ્હેલો થયો છે.  બીજી તરફ  આ વખતે પોણા પંદર કલાકની તપસ્યા છે જે ગયા વખતે સાડા પંદર કલાકની હતી અને આ વખતે ૧૧ દિ' વ્હેલો રમઝાન માસ શરૂ થઇ રહયો હોઇ તાપમાં રાહત નહીં રહે પણ સમયગાળો ઘટતા રોઝા રાખનારાઓને એ રાહત મળી રહેશે.

બીજું એ કે સહેરી સમય વ્હેલો થતો જશે  દરરોજ ઇફતાર સમય સાંજે વધતો જશે પણ સહેરી સમય યાદ રાખવો પડે યા તો દરરોજ જોવો પડે એ રીતે અટપટ્ટો છે તો ઇફતાર સમય દર બે દી'નો હોય યાદ રાખવામાં સરળતા રહેશે.

જો કે સતત ત્રીજા વર્ષે ર૯ રોઝાનો ક્રમ જળવાઇ રહેનાર છે. આ ઉપરાંત આખા માસમાં ચાર જ શુક્રવાર રહેશે અને રપમાં રોઝાના દિવસે તા.૩૧-પ-૧૯ના અંતિમ શુક્રવાર (આખર જુઆ) રહેશે.

આ વખતે રોઝા રાખનારાઓ માટે ઉત્સાહજનક સમાચાર એ છે કે હિન્દુ સમાજના અનેક ભાઇ-બહેનો પણ જે રોઝો રાખે છે અને તેને 'હરણી રોઝો' તરીકે ઓળખવામાં આવે છે તે ર૭ મો રોઝો તા.ર-૬-૧૯ના રહેશે એ દિને રવિવાર હોઇ રજાના દિવસનો સૌને લાભ અને આરામ મળી રહેશે.

બીજી તરફ રોઝા રાખનારાઓ માટે આ વખતે એક ઉત્સવ સમો સંયોગ સર્જાવા પામેલ છે. જેમાં તા.૩૧-પ-૧૯ના અંતિમ શુક્રવાર છે એ દિને રપ મો રોઝો છે. જયારે બીજા દિવસે તા.૧-૬-૧૯ના ર૬માં રોઝાના દિને શનિવારે રાત્રે 'શબેકદ્ર'ની રાત્રી મનાવવાશે અને રવિવારે ત્રીજા દિ'એ ર૭ મો રોઝો રહેશે. આમ અંતિમ શુક્રવાર, પવિત્ર રાત્રી અને હરણી રોઝો ક્રમવાર એક સાથે થયા છે.

આ સંયોગના બે દી'  પછી 'ઇદ' ઉજવાઇ જશે એટલે છેલ્લા પાંચ રોઝાના દિવસો ઉત્સાહભર્યા બની રહેશે.

દરમિયાન રમઝાન માસમાં પાંચ રાત્રીનું મહત્વ વધારે છે. જેમાં ર૧મી રાત્રી તા. ર૬-પ-રવિવાર, ર૩ મી રાત્રી ર૮-પ મંગળવાર, રપ મી રાત્રી ૩૦-પ-ગુરૂવાર, ર૭ મી રાત્રી ૧-૬ શનિવાર અને ર૯ મી રાત્રી તા.૩-૬ સોમવારના મનાવાશે.

(3:36 pm IST)