Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

મનપા કરશે ૮ લગડી પ્લોટની ઓનલાઇન હરાજી

નાનામૌવા ચોક, અયોધ્યા ચોક, સાધુ વાસવાણી - રૈયા રોડ કોર્નર, સોમનાથ સોસાયટી અને કિડવાઇનગરના ખુલ્લા પ્લોટોનું થશે 'ઇ-ઓકશન': સમગ્ર દેશમાંથી ખરીદદારો તથા જમીનના ઉંચા ભાવો મળવાની આશાઃ ૩ થી ૧૩ માર્ચ સુધી રજીસ્ટ્રેશન : રર થી રપ દરમિયાન હરરાજીઓ

રાજકોટ તા. ૧૨ : મહાનગર પાલીકા દ્વારા છેલ્લા ઘણા વર્ષો પછી જમીનોની હરરાજીથી વેચાણ કરવાનો નિર્ણય લેવાયો છે એટલુ જ નહી આ વખતે પરંપરાગત ઢબે જમીનનાં સ્થળ પર બેસીને હરરાજી કરવાને બદલે ઓન લાઇન હરરાજી એટલે કે 'ઇ-ઓકશન' કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત નવા રાજકોટમાં લગડી જેવા ૮ પ્લોટની હરરાજી નક્કી થઇ ગઇ છે.

આ અંગે પ્રાપ્ત વિસ્તૃત વિગતો કે શહેરની ટી.પી. સ્કીમોમાં કોમર્શીયલ વેચાણ હેતુનાં મ.ન.પા.ની માલીકાના ખુલ્લા પ્લોટોનું જાહેર હરરાજીથી વેચાણ થશે.

કેમ કે આવા પ્લોટો વધુ સમય સુધી ખુલ્લા રહેવાથી તેમા ગેરકાયદે દબાણો થઇ જાય છે. આથી બને તેટલુ વહેલુ આ જમીનોનું વેચાણ કરવું જરૂરી છે. 

આ વખતે મ.ન.પા.ના કોરોના કાળને કારણે ઇતિહાસમાં સૌ પ્રથમ વખત જમીનોની હરરાજી ઓન લાઇન એટલે કે ઇ-ઓકશન પધ્ધતીથી થશે.

આ માટે જી.એન.એફ.સી.નાં માધ્યમથી શહેરમાં આવેલા ખુલ્લા પ્લોટોની ઓનલાઇન હરરાજીની ગોઠવણી થઇ રહી છે.

ન્યુુ. રાજકોટમાં કંપની જમીનના પ્લોટો હરરાજીમાં મુકવામાં આવ્યા છે.

આ માટે જમીનની પ્રતિ ચો.મી.ની અપસેટ કિંમત નક્કી કરી તેના ઉપર હરરાજી શરૂ કરાશે. જેમાં ઓછામાં ઓછા પ્રતિ ચો.મી.એ ૧૦૦૦થી વધુ બોલી લગાવીને હરરાજી પડશે. ૧ કલાક સુધી આ વધુ બોલી માન્ય રહેશે. એ દરમિયાન જો કોઇ તેમાંથી વધુ બોલી લગાવશે તો સમય આગળ વધશે આ પ્રમાણે આખો દિવસ સુધી પણ હરરાજી ચાલી શકશે. એટલું જ નહી ઓન લાઇન હરરાજી હોવાથી સમગ્ર દેશમાંથી જમીનના ગ્રાહકો આ હરરાજીમાં ભાગ લઇ શકશે જેમાં કારણે હરીફાઇ વધશે અને તંત્રને જમીનની વધુ કિંમત પણ મળશે. સાથોસાથ પારદર્શીતા રહેશે. કેમ કે આ હરરાજીમાં ખરીદ નારાઓની સિન્ડીકેટ થવી લગભગ અશકય છે.

આમ હવે મ.ન.પા. દ્વારા વર્ષો પછી જમીનોની હરરાજી થનાર હોઇ તંત્રને કરોડોની આવક થશે તેવી આશા વ્યકત થઇ રહી છે.

દરમિયાન હરરાજીના જે પ્લોટ નક્કી થયા છે. તેમાં નાનામૌવા રોડ, અયોધ્યા ચોક, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ કોર્નર, સોમનાથ સોસાયટી, કીડવાઇનગર વગેરે વિસ્તારમાં આવેલા ૬૬૮ ચો.મી.થી લઇને ૯૪૩૮ ચો.મી. સુધીના કુલ : પ્લોટની હરરાજી થશે.

૧ થી ર૭ લાખની ઇ-એમ.ડી.

દરમિયાન હરરાજી માટે પાર્ટીએ ૧ થી ર૦ લાખની ઇ.એમ.ડી. જમા કરાવવાની રહેશે.

૩ માર્ચથી હરરાજી અંગે રજીસ્ટ્રેશન શરૂ થશે. અને ૧૩ માર્ચે પુરૂ થશે ત્યાર બાદ રર થી રપ માર્ચ સુધી દરરોજ બે, ત્રણ, એ પ્રકારે જુદા જુદા પ્લોટની હરરાજી શરૂ થશે. ઇ-એકશનમાં ૧ કલાક સુધી હરરાજીથી બોલી લગાવવાની સમય મર્યાદા છે. આજે સાંજે  વાગ્યે ઓફીસ ટાઇમ સુધી આ હરરાજી ચાલી શકે જો છેલ્લી  પ મીનીટમાં કોઇ વધુ બોલી લગાવેતો પછી ૧૦ મીનીટો સમય વધી જશે. એ દરમિયાન કોઇ વધુ બોલી નહીં લગાવે તો છેલ્લા ખરીદદાર સાથે હરરાજી બંધ થઇ જશે.

(3:11 pm IST)