Gujarati News

Gujarati News

News of Tuesday, 25th February 2020

વૃધ્ધ માતાને અગાશી ઉપરથી ફેંકી દઇને હત્યા કરવાના ગુનામાં પુત્રની માનવતાની અરજી રદ

આરોપી પુત્રએ ૩૦ દિવસના વચગાળાના જામીન મળવા અરજી કરેલ

રાજકોટ તા. રપઃ અહીંના ગાંધીગ્રામ પાસે ૧પ૦ ફુટ રીંગ રોડ પાસે રામેશ્વર પાર્ક નાણાવટી ચોક પાસે રહેતી વૃધ્ધ માતા જયશ્રીબેન વિનોદભાઇ નથવાણીને અગાશી ઉપરથી ફેંકી દઇને હત્યા કરવા અંગે પકડાયેલ મૃતકના પુત્ર સંદિપ વિનોદભાઇ નથવાણીએ માનવતાનું કારણ બતાવીને જામીન અરજી કરેલ હતી.

આ અંગેની વિગત એવી છે કે, તા. ૩-૧-૧૮નાં રોજ ઘરકંકાસના કારણે આરોપી પૂત્રએ તેની સગી વૃધ્ધ માતાને તેના બિલ્ડીંગની અગાશી ઉપરથી નીચે ફેંકી દઇને હત્યા કરી હતી.

આ બનાવ અંગે પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કરતા આરોપીએ વચગાળાના ૩૦ દિવસ માટે માનવતાના કારણે જામીન પર છુટવા અરજી કરી હતી.

આ કામે સરકારી વકીલ મહેશભાઇ જોષીએ રજુઆત કરેલ કે, આરોપી સામે પ્રથમ દર્શનીય ગંભીર ગુનો છે. ઘરકંકાશ જેવા સામાન્ય કારણે સગા પુત્રએ પોતાની માતાની હત્યા કરી છે, આવા સમાજ વિરોધી ગંભીર ગુનામાં આરોપીને માનવતા ખાતર પણ જામીન પર છોડી શકાય નહિં.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને એડી. સેસન્સ જજ શ્રી પી. એન. દવેએ આરોપીએ ૩૦ દિવસ માટે વચગાળાના જામીન મળવા કરેલ અરજીને નકારી કાઢી હતી.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. શ્રી મહેશભાઇ જોષીએ રજુઆત કરી હતી.

(3:40 pm IST)