Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

૯ વર્ષની માસુમ ભારતીના બળાત્કારી હત્યારાઓને ફાંસી આપો : વિરાટ રેલી રૃપે સરકાર પાસે માંગણી

રાજકોટ : બોટાદમાં તા.૧પમી જાન્યુઆરીના દેવીપુજક સમાજની ૯ વર્ષની માસુમ બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેની હત્યા કરી નાખવાની ધૃણાસ્પદ ઘટના બની હતી. કોઇ પણ સમાજને હચમચાવી જાય તેવી આ ઘટનામાં ભોગ બનેલી બાળકીને ન્યાય અપાવવા માટે આજે રાજકોટના મુખ્ય રસ્તાઓ ઉપર વિરાટ દેવીપુજક સંઘના નેજા તળે વિરોધ પ્રદર્શીત કરી ભોગ બનનાર બાળાના બળાત્કારી હત્યારાઓને ફાંસી આપવાની માંગણી સરકાર પાસે કરવામાં આવી હતી. 'હું પણ દેશની બેટી છું મને પણ ન્યાય જોઇએ, આરોપીઓને ફાંસીથી ઓછી સજા ન ખપે' તેવા બેનરોમાં માસુમ ભારતીના ફોટો સાથે રોષ પ્રદર્શીત કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર કચેરી સમક્ષ આ માંગણી દોહરાવવામાં આવી હતી. પત્રકારો સાથે વાતચીત કરતા રેલીમાં સામેલ લોકોએ જણાવ્યું હતું કે, આવી ઘટના કોઇ પણ સમાજ સાથે બનવી ન જોઇએ. દેવીપુજક સમાજ સરકારને સવાલ પુછે છે કે 'બેટી બચાવો' અભિયાન ચલાવો છો ત્યારે આ બેટીને ન્યાય અપાવો. આ કેસ ત્વરીત ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો અને ભારતીના બળાત્કારી હત્યારાઓને ફાંસીએ ચડાવો. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(3:28 pm IST)