Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

૭૧માં પ્રજાસત્તાક દિન પ્રસંગે તિરંગા લહેરાવીએ અને દિલમાં દેશદાઝના દિવા પ્રગટાવીએ

ઉતરાયણના દિવસે પતંગ ચગાવવાનો આનંદ આપણે લૂંટયો. રોજીંદા જીવનમાં અનેક ધાર્મિક, સામાજીક, પરંપરાગત કે જ્ઞાતિગત તહેવારો કે ઉત્સવો ઉજવવામાં આપણે બધા ખૂબજ ઉત્સાહ દાખવીએ છીએ જે જરૂરી પણ છે, પણ કયારેક તો આવી ઉજવણીઓમાં ઉન્માદનો અતિરેક જોવા મળે છે. જ્યારે આપણા રાષ્ટ્રીય તહેવારોની ઉજવણીમાં આપણે સાવ નિરસ અને નિષ્ક્રીય રહીએ છીએ. ખરેખર રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક થવી જોઈએ જેથી સમાજ જીવનમાં રાષ્ટ્રભાવનાનું તત્વ ઉજાગર થાય. રાષ્ટ્રધર્મને તમામ ધર્મો અને પરંપરાઓ કરતો ઉંચો ગણવો એ પ્રજાસત્તાક રાષ્ટ્રના સ્વસ્થ નાગરીકની નિશાની છે. પ્રજા જીવનમાં રાષ્ટ્રીયતાને વધુ દ્રઢ કરવાની આપણ સૌની પવિત્ર ફરજ અને કર્તવ્ય પણ છે. રાષ્ટ્રધર્મનો પ્રચાર-પ્રસાર આજની તાતી જરૂરીયાત છે.

અત્યારના સમયમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી માત્ર સરકારી કાર્યક્રમ બની રહે છે. થોડી સ્કૂલ-કોલેજો પુરતી જ મર્યાદીત બની જાય છે. આમ પ્રજાને પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન, શહિદ દિન, ઓગષ્ટક્રાંતિ કે ગાંધી જયંતિ વિશે પુરી જાણકારી કે સમજણ પણ નથી હોતી કે જરા સરખો ઉત્સાહ પણ નથી હોતો. વેલેન્ટાઈન ડે કે થર્ટીફર્સ્ટ નિમિતે યોજાતી વલ્ગર ડાન્સ પાર્ટીઓમાં ગળાડૂબ યુવાધનને રાષ્ટ્રધર્મના પ્રચાર - પ્રસારમાં જરા પણ રસ હોતો નથી. ખરેખર લોકશાહીના હાર્દને જીવંત રાખવામાં, જનસામાન્યમાં રાષ્ટ્રીયતાનો ભાવ જગાવવામાં અને નવી પેઢીને રાષ્ટ્રપ્રેમનું મહત્વ સમજાવવામાં આપણે બધા જ ઉણા ઉતર્યા છીએ એ હકીકત પણ સ્વીકારવી જ રહી.

જરા વિચારીએ, ઉતરાયણના દિવસે આકાશમાં જેટલા પતંગો ચગે તેના થોડા ભાગના પણ તિરંગા પ્રજાસત્તાક દિને અગાસીઓ પર ફરકે તો ? મહાશિવરાત્રી, જન્માષ્ટમી કે ઈદના દિવસે નીકળતી રવેડી, શોભાયાત્રા કે જુલુસમાં જે માનવ મહેરામણ ઉમટે છે તેનો થોડો ભાગ પણ સ્વાતંત્ર્ય દિને પ્રભાત ફેરીમાં નીકળે તો ? હોમ, હવન, યજ્ઞ, કથા-કિર્તન, પારાયણ વિગેરેમાં જે સમય, શકિત અને નાણા ખર્ચાય છે તેનો થોડો અંશ પણ જો રાષ્ટ્રધર્મના પ્રચાર અને પ્રસારમાં વપરાય તો ? નવરાત્રી, ગણેશોત્સવ કે તાજીયાની જેમ મહોલ્લે-મહોલ્લે રાષ્ટ્રપર્વે ધ્વજવંદનના કાર્યક્રમો યોજાય તો ? ધાર્મિક અને પરંપરાગત તહેવારો-ઉત્સવોની ઉજવણીમાં જે ઉત્સાહ આપણે દાખવીએ તે પૈકીના થોડો ભાગ પણ જો રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં   દાખવીએ તો ?

તો આપણા આ વિવિધતામાં એકતા ધરાવતા અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતા દેશને મહાસત્તા બનતા કોણ રોકી શકે ? જય હિન્દ.

સંકલનઃ મનસુખ કાલરીયા,

મો. ૯૪૨૬૯ ૯૪૪૫૦ કોર્પોરેટર-રાજકોટ મ.ન.પા.

(4:00 pm IST)