Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ગંજીવાડામાં રમેશ ચાવડાને લાલા રાઠોડે છરીના બે ઘા ઝીંકી દીધા

રમેશના દિકરાને લાલાએ મારકુટ કરી લેતાં સમજાવવા જતાં તૂટી પડ્યો

રાજકોટ તા. ૨૪: ગંજીવાડામાં રહેતાં વણકર યુવાનના ૧૬ વર્ષના દિકરાને આ વિસ્તારના જ વણકર શખ્સે કારણ વગર મારકુટ કરી લેતાં યુવાન તેને સમજાવવા જતાં તેના પર છરીથી હુમલો કરી પડખામાં ઘા ઝીંકી દેતાં સારવાર માટે દાખલ કરવામાં આવતાં પોલીસે ફરિયાદ નોંધી છે.

ગંજીવાડા-૨૮માં રહેતા અને છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતાં રમેશભાઇ આણંદભાઇ ચાવડા (ઉ.૩૬)ને ઘર પાસે હતો ત્યારે લાલે હરિભાઇ રાઠોડ નામના વણકર શખ્સે ગાળો દઇ છરીથી હુમલો કરી વાંસા અને પડખાના ભાગે બે ઘા મારી દેતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં થોરાળાના પીએસઆઇ કે. કે. પરમારે તેની ફરિયાદ પરથી લાલા રાઠોડ સામે ગુનો નોંધ્યો છે.

રમેશભાઇના કહેવા મુજબ તેનો દિકરો પ્રભાત (ઉ.૧૬) ઘર નજીક ઉભો હતો ત્યારે લાલાએ આવી તેની સાથે ઝઘડો કરી મારકુટ કરી લીધી હતી. આ બાબતની જાણ થતાં પોતે લાલાને સમજાવવા ગયો હતો. પણ તે વધુ ઉશ્કેરાયો હતો અને છરીથી તૂટી પડ્યો હતો. પોલીસે લાલાની શોધખોળ હાથ ધરી છે. લાલો નશો કરેલી હાલતમાં હોવાનો આક્ષેપ રમેશભાઇએ કર્યો હતો. તેમજ આ વિસ્તારમાં તે વારંવાર માથાકુટ કરી લેતો હોવાનો આરોપ પણ મુકયો હતો. (૧૪.૬)

 

(4:10 pm IST)