Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

રાષ્‍ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.નો કાલે ૫૨મો જન્‍મોત્‍સવઃ કચ્‍છના પુનડીમાં માનવતા મહોત્‍સવ ઉજવાશે

પરમ ગુરુદેવના બ્રહ્મનાદે શ્રી ઉવસગ્‍ગહરંસ્ત્રોતની વિશિષ્‍ટ સિધ્‍ધિદાયક જપ સાધના

રાજકોટ તા. ૨૪ : એક માત્ર અમીદ્રષ્ટિ જેમની હજારો હજારો જીવોના જીવનનું આધાર બની રહી છે એવા ગરીબજનોના બેલી,અબોલ જીવોના રક્ષણહાર, હજારોના જીવન આધાર, માનવતાપ્રેમી કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના ૫૨ માં જન્‍મોત્‍સવ અવસરે કચ્‍છના પુનડી ગામમાં ભવ્‍યાતિભવ્‍ય માનવતા મહોત્‍સવનું આયોજન આવતીકાલ તા. ૨૫ને રવિવાર, સવારના ૮.૩૦ કલાકથી કરવામાં આવ્‍યું છે.

પરમ ગુરૂદેવના અવતરણ દિવસે બ્રહ્મનાદે કરાવવામાં આવતી મહાપ્રભાવક શ્રી ઉવસગ્‍ગહરં સ્‍તોત્રની વિશિષ્ટ જપ સાધના કરાવવામાં આવશે.  પરમ ગુરૂદેવના નાભિનાદથી પ્રગટતા દિવ્‍ય મંત્રધ્‍વનિ સાથે આ જપ સાધના ત્રણ તબક્કામાં કરાવી સહુને પ્રભુ ભક્‍તિની અલૌકિક અનુભૂતિમાં જોડી દેવામાં આવશે.

પુનડી ગામના SPM આરોગ્‍યધામ ખાતે આયોજિત કરવામાં આવેલા આ માનવતા મહોત્‍સવમાં પોતાના શ્રદ્ધાપાત્ર એવા પરમ ગુરૂદેવને જન્‍મોત્‍સવની અભિવંદના અર્પણ કરવા માટે સમગ્ર દેશના ખૂણે ખૂણેથી તેમજ વિદેશના અમેરિકા, લંડન, કોંગો, દુબઈ, સુદાન આદી અનેક ક્ષેત્રોના ભાવિકો પુનડી માં પ્રત્‍યક્ષ પધારીને તેમજ લાઈવના માધ્‍યમે અને દેશ-વિદેશના સંઘો, મહિલા મંડળો, સંસ્‍થાઓ, સેવાભાવી ગ્રુપ્‍સ અને ભાવિકો મળીને ૨૫ લાખથી વધુ ભાવિકો આ મહોત્‍સવમાં જોડાશે. SPM પરિવાર તરફથી સર્વ ધર્મપ્રેમી ભાવિકોને આ અવસરે જોડાવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્‍યું છે.

(3:31 pm IST)