Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

વિદ્યાર્થીઓના થનગનાટ સાથે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો ત્રિદિવસીય શાનદાર યુવક મહોત્‍સવનો શુભારંભ

શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીના હસ્‍તે ઉદ્‌ઘાટન અને લોકાર્પણ - ખાતમુહૂર્તના કાર્યક્રમો

રાજકોટ તા. ૨૪ : આજે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના શાનદાર યુવક મહોત્‍સવનો શુભારંભ થયો છે. યુવક મહોત્‍સવ પ્રારંભ વિદ્યાર્થીઓમાં ભારે થનગનાટ જોવા મળે છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા યુવાનોમાં રહેલી સુશુપ્‍ત શકિતઓને બહાર લાવવા અને યુવા પ્રતિભાને પ્રોત્‍સાહિત અને પુરસ્‍કૃત કરવા તેમજ યુવાનોની શકિતને પ્રગટાવતી વિવિધ સ્‍પર્ધાઓમાં હજારો સ્‍પર્ધકો સામેલ થાય તેવા શુભ હેતુથી પ્રતિવર્ષ યુવક મહોત્‍સવનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનો પ૦મો યુવક મહોત્‍સવ ‘અમૃત કલા મહોત્‍સવ'નું ઉદ્‌ઘાટન શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ કર્યું છે.
સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે યોજાનાર પ૦ મા યુવક મહોત્‍સવમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જીલ્લાઓની ૬ર કોલેજોના આશરે ૧૩પ૦ સ્‍પર્ધકો જુદી જુદી ૩૬ ઈવેન્‍ટસમાં સહભાગી થવા માટે થનગની રહ્યા છે.
ઉપરાંત સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી પરિસરમાં નવનિર્માણ પામેલ ત્રણ બિલ્‍ડીંગો રૂા. ૧૧૧.૪૩ લાખના ખર્ચે ઓપન એર સ્‍ટેજ, રૂા. ૧૪૩.૭૦ લાખના ખર્ચે એક્ષટેન્‍શન ઓફ કમ્‍બાઈન્‍ડ સાયન્‍સ લેબોરેટરી અને અંદાજે ૩૦૦ લાખના ખર્ચે સ્‍પોર્ટસ હોસ્‍ટેલનું લોકાર્પણ તથા આગામી સમયમાં નિર્માણ પામનાર રૂા. પ૦૦ લાખના ખર્ચે એમ.સી.એ. ભવન, રૂા. ૮૦૦ લાખના ખર્ચે ભાષા ભવન અને રૂા. ૪૦૦ લાખના ખર્ચે નવું આઈ.કયૂ.એ.સી. ભવનનું ખાતમૂહૂર્ત શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્‍તે કરવામાં આવ્‍યું છે.

 

(11:58 am IST)