Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

ખોડલધામમાં ખેડૂતોને માર્ગદર્શન માટે રિસર્ચ સેન્ટર ખોલાશે

મીડિયા પરિવાર દ્વારા ખોડલધામ મંદિરે ધ્વજારોહણ : નરેશભાઈ પટેલની ઉપસ્થિતિ

રાજકોટ, સુપ્રસિદ્ઘ યાત્રાધામ શ્રી ખોડલધામ મંદિર ખાતે રવિવારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નિમિત્ત્। માત્ર બનીને પ્રથમ વખત સૌરાષ્ટ્રના પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયા પરિવાર માટે ધ્વજારોહણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આહ્લાદક વરસાદી વાતાવરણમાં ભકિતસભર માહોલ વચ્ચે સૌરાષ્ટ્રભરમાંથી મીડિયા જગતના ૩૫૦દ્મક વધુ લોકોએ સહપરિવાર મા ખોડલના ધ્વજા પૂજનથી માંડી ધ્વજાજીના સામૈયા અને મા ખોડલને ધ્વજા આરોહણ કરવાનો અલભ્ય લ્હાવો લીધો હતો.

શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેમેનશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૦માં કાગવડની ધરતી ઉપર મા ખોડલનું ભવ્ય મંદિર બનાવવાનો સંકલ્પ જાહેર કર્યા બાદ ૨૦૧૭માં આ ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ કરી ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજી મંદિર રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યું હતું. ૧૦૦ એકરના આ વિશાળ સંકુલમાં આકર્ષક પ્લાન્ટેશન, શકિતવન, સત્સંગ હોલ, ૧૬ ગજીબા, યજ્ઞશાળા, અન્નપૂર્ણાલય,ચા-દ્યર, પ્રસાદદ્યર, મંદિર પરિસરમાં આર.સી.સી રોડ, એમ્ફી થિયેટર સહિતની જરૂરી વ્યવસ્થાઓ સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટનો પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. જયારે બીજા તબક્કામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ અમરેલી પાસે વિશાળ શૈક્ષણિક સંકુલ બનાવવાનું આયોજન છે. આ શૈક્ષણિક સંકુલમાં કયા પ્રકારનું શિક્ષણકાર્ય શરૂ કરવું તે અંગે ટ્રસ્ટની કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત ત્રીજા તબક્કામાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ખેડૂતોને આધુનિક ખેતી માટે માર્ગદર્શન અને મદદ મળી રહે તે માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કૃષિ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવાનું આયોજન છે.

ધ્વજારોહણ સમારંભમાં પધારેલા મીડિયા પરિવારનો આભાર માનતા નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખોડલધામની સ્થાપનાનો વિચાર આવ્યો ત્યારથી લઈને આજદિન સુધી તમામ મીડિયાના મિત્રોએ ખોડલધામને ખૂબ જ સાથ-સહકાર અને પ્રેમ આપ્યો છે અને આજના આ દિવ્ય ધ્વજારોહણ સમારંભમાં અમારા આમંત્રણને માન આપીને બહોળી સંખ્યા મીડિયાના મિત્રો પરિવાર સાથે હાજર રહ્યા છો ત્યારે સૌને હું આવકારી સૌનો આભાર માનું છું.

આ પૂર્વે મીડિયા પરિવાર દ્વારા ધ્વજારોહણના કાર્યક્રમમાં ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધ્વજાજીને એમ્ફી થિયેટર ખાતે દર્શનાર્થે રાખી ત્યાંથી ધ્વજાજીના સામૈયા કરવામાં આવ્યા હતા. સત્સંગ હોલથી મંદિર સુધીના ધ્વજાજીના સામૈયામાં રંગબેરંગી સાફામાં સજ્જ થઈને મીડિયાના મિત્રો પરિવાર સાથે જોડાયા હતા. બેન્ડની સુરાવલીઓના સંગાથે મીડિયા પરિવારે મા ખોડલના સાનિધ્યમાં રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી અને ત્યારબાદ મા ખોડલના દર્શન કરીને શિખર પર બાવન ગજની ધ્વજા ચઢાવી મા ખોડલનો જયજયકાર કરી ધન્યતા અનુભવી હતી.

ધ્વજારોહણ પૂર્ણ થયા બાદ સમગ્ર મીડિયા પરિવારે મંદિર પરિસરના યજ્ઞશાળા, ગજીબા, પ્રસાદઘર, વહીવટી ઓફિસ, શકિતવન વગેરેની મુલાકાત લીધી હતી અને મંદિરનો વહીવટ તથા સમગ્ર મંદિર પરિસરની સ્વચ્છતા, પ્લાન્ટેશન નિહાળી સૌ અભિભૂત થઈ ગયા હતા.

શ્રી ખોડલધામ ટ્રસ્ટના નામે નોંધાયેલા રેકોર્ડ

(૧) ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ-૨૦૧૨-  ૨૪૪૩૫ દંપતી દ્વારા શિલાપૂજન વિધિ, ૪૮૮૭૦ લોકોએ એક સાથે હસ્તધૂનન કર્યા.

(૨) એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ- ૨૦૧૨-  ૨૪૪૩૫ દંપતી દ્વારા શિલાપૂજન વિધિ, ૪૮૮૭૦ લોકોએ એક સાથે હસ્તધૂનન કર્યા.

(૩) એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ- ૨૦૧૫-  એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના ૫૨૧ દંપતીના સમૂહલગ્ન.

(૪) ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ-૨૦૧૫-  એક જ જગ્યાએ એક જ જ્ઞાતિના ૫૨૧ દંપતીના સમૂહલગ્ન.

(૫) ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ- ૨૦૧૭-  ૨૧,૧૧૭ વાહનો સાથેની સૌથી મોટી શોભાયાત્રા રાજકોટથી ખોડલધામ સુધીની.

(૬) ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ- ૨૦૧૭-  ૫ લાખ ૯ હજાર ૨૬૧ લોકોએ એક સાથે રાષ્ટ્રગાન ગાઈને બાંગ્લાદેશનો રેકોર્ડ તોડ્યો.

(૭) એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ-૨૦૧૭-  ૧૦૦૮ કુંડી હવનમાં એક જ જ્ઞાતિના ૬૦૪૮ આહૂતિ આપવા બેઠા હતા તેનો રેકોર્ડ.  અને ૧૫ મહિનામાં ૪૩૫ તાલુકા, ૩૫૨૧ ગામ અને ૧ લાખ ૨૫ હજાર કિલોમીટર રથનું પરિભ્રમણ.

(૮) ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ-૨૦૧૭-  ૧૦૦૮ કુંડી હવનમાં એક જ જ્ઞાતિના ૬૦૪૮ આહૂતિ આપવા બેઠા હતા તેનો રેકોર્ડ.

-૧૫ મહિનામાં ૪૩૫ તાલુકા, ૩૫૨૧ ગામ અને ૧ લાખ ૨૫ હજાર કિલોમીટર રથનું પરિભ્રમણ.

(3:55 pm IST)