Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

બારદાનકાંડઃ યાર્ડની ગુજકોટની ઓફિસમાંથી કબ્જે થયેલા રજીસ્ટરોની તપાસઃ કર્મચારીઓ, મજૂરોની પુછતાછ

મગનના તરઘડીના ગોડાઉનના અને રાજકોટ યાર્ડના મજૂરોની પુછપરછ કરવામાં આવી :અન્ય આરોપીઓની પણ પુરાવા એકત્ર થયે ધરપકડ થશેઃ રિમાન્ડ પર રહેલા પાંચેયના વિસ્તૃત નિવેદન નોંધાયા

રાજકોટ તા. ૨૩: જુના માર્કેટ યાર્ડમાં બારદાનમાં  આગ લાગતાં કરોડોના બારદાન સળગીને ખાક થઇ ગયા હતાં. તે પૈકી  બચી ગયેલા બારદાનમાંથી લાખોના બારદાન કાવત્રુ રચી બારોબાર વેંચી નાંખી કોૈભાંડ આચરવાના ગુનામાં સોૈરાષ્ટ્ર ગુજકોટના મેનેજર પડધરીના તરઘડીયા ગામના મગન નાનજીભાઇ ઝાલાવડીયા (ઉ.વ.૫૫) અને આ કાવત્રામાં તેને મદદ કરનારા બીજા પાંચ શખ્સો હાલ પોલીસ રિમાન્ડ પર હોઇ તમામની જુદી-જુદી ટીમો દ્વારા વિસ્તૃત પુછતાછ કરી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. મગને બારદાનના બે ટ્રક બારોબાર રવાના કરી દીધા હતાં તેની એન્ટ્રી રજીસ્ટરમાં થઇ ગઇ હોઇ એ પાના ફાડી નાંખી નવેસરથી એન્ટ્રી કરાવડાવી હતી. પોલીસે એ રજીસ્ટરો બે દિવસ પહેલા યાર્ડમાંથી કબ્જે કર્યા હતાં. તે અંગે હાલ રિમાન્ડ પર રહેલા નિરજ અને પરેશની વિશેષ પુછતાછ થઇ રહી છે. તેમજ મગનના તરઘડી ખાતેના ગોડાઉનના અને રાજકોટ યાર્ડના ગોડાઉનના મજૂરો કે જે ટ્રકોમાં બારદાન ચડાવવા ઉતારવાનું કામ કરે છે તેની અને કોન્ટ્રાકટરની પણ પુછતાછ કરવામાં આવી છે.

બી-ડિવીઝન પોલીસે મગન સાથે કાવત્રામાં સામેલ અન્ય પાંચ કાવત્રાખોરને પણ પકડી લીધા છે. તેની રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે. ત્યારે બારદાન સળગ્યા એ વખતે લેવાયેલા બળેલા-બચેલા કોથળાઓના સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા હતાં. તેનો રિપોર્ટ આવી ગયાનું જાણવા મળે છે. જે મુજબ આ બારદાન સળગાવવામાં કોઇપણ પ્રકારના જ્વલનશીલ પદાર્થનો ઉપયોગ થયો નહોતો એ સ્પષ્ટ થયું છે.

બી-ડિવીઝન પોલીસે  કોૈભાંડમાં સામેલ વધુ પાંચ આરોપીઓની ગઇકાલે ધરપકડ કરી લેવામાં આવી હતી. આ પાંચેયના પણ ૩૧મી સુધીના રિમાન્ડ મંજુર થયા  છે. તેમાં મનસુખ ભીખાભાઇ ઉર્ફ બાબુભાઇ જેઠાભાઇ લીંબાસીયા (ઉ.૫૧-રહે. તરઘડી), કાનજી દેવજીભાઇ ઢોલરીયા (ઉ.૪૬-રહે. આર્યનગર-૧૭ શાળા નં. ૭૨ પાસે, મુળ ડેરોઇ તા. રાજકોટ), નિરજ મનસુખભાઇ ગજેરા (ઉ.૨૬-રહે. આસ્થા સાલિગ્રા બ્લોક નં. ૧૨૭, અવચર મેંદપરાના મકાનમાં માધાપર-રાજકોટ), પરેશ હંસરાજભાઇ સંખાવરા (ઉ.૩૬-રહે. મોરબી રોડ અર્જુન પાર્ક, મુળ તરઘડી) તથા કાળુ બાબુભાઇ ઝાપડા (ઉ.૩૫-રહે. તરઘડી તા. પડધરી)નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં મગન ઝાલાવડીયા સાથે તેના કોેટુંબીક ફઇના દિકરા મનસુખ લીંબાસીયાએ બારદાન મગનના તરઘડીના પનામ એગ્રોટેકમાં મોકલી ત્યાંથી કોને કોને વેંચવા એ માટે વેપારીઓ શોધવાનું કામ કર્યુ હતું. સસ્તા ભાવના બારદાન હોવાનું વેપારીઓને પ્રલોભન આપ્યું હતું.

 કાનજી ઢોલરીયા મગનના સગા થાય છે અને તેનો નજીકનો માણસ ગણાય છે. આર્થિક લાભ ભાટે તેણે કાળુ ઝાપડાની બે ટ્રક ભાડે કરી બે ટ્રકની બિલ્ટી ગોંડલના ગોડાઉનની બનાવી હતી અને ત્યાં આ ટ્રક મોકલવાને બદલે ત્રંબા તથા સરધાર ખાતે ઓળખાતાઓની વાડીમાં ઉતારી લઇ મગન અને મનસુખ સાથે કાવત્રામાં ભાગ ભજવ્યો હતો.

નિરજ ગજેરાનું કામ બારદાનના ટ્રકની એન્ટ્રીઓ પાડવાનું હતું. બચી ગયેલા બારદાનના બે ટ્રક જે તે ગોડાઉનમાં મોકલવાની બિલ્ટી બની ગયા બાદ તેના પાના ફાડી નંખાયા પછી નવી એન્ટ્રીઓ પાડી રજીસ્ટરોમાં ખોટી નોંધ કરી ગુનામાં ભાગ ભજવ્યો હતો.

પરેશ સંખાવરા મગન ઝાલાવડીયાનો અંગત માણસ છે. તે જુના માર્કે૭ યાર્ડમાં મેનેજર પણ હતો અને બારદાનને લગતું તમામ કામ તે સંભાળતો હતો. તેણે નિરજ સાથે મળી રજીસ્ટરોમાં ખોટી એન્ટ્રીનું કામ કર્યુ હતું. કાળુ ઝાપડા બધુ જાણતો હોવા છતાં આર્થિક લાભ માટે પોતાના ટ્રકોમાં બારદાન ભરી સરકારી બારદાન હોવા છતં જે જગ્યાની બિલ્ટી હતી તેને બદલે બીજી જગ્યાએ બારદાન ઉતારી આવ્યો હતો અને સસ્તામાં બારદાન વેંચવાના છે તેવી વાત પણ વેપારીઓ સુધી પહોંચાડી હતી. પોલીસે રાજકોટ યાર્ડમાં અને મગનના તરઘડી ખાતેના ગોડાઉનના મજૂરો અને કોન્ટ્રાકટરની પણ પુછતાછ કરી નિવેદન નોંધ્યો છે. તેમજ જે રજીસ્ટરોમાંથી મગને પાના ફાડી નાંખી નિરજ અને પરેશ પાસે નવી એન્ટ્રીઓ કરાવી હતી એ રજીસ્ટરો પણ કબ્જે કરાયા હોઇ તે બાબતે આ બંનેની વિશીષ્ટ પુછતાછ શરૂ થઇ છે. અન્ય આરોપીઓની પણ પુરાવા એકત્ર થયે ધરપકડ થશે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા તથા એસીપી બી. બી. રાઠોડ, પી.આઇ. એચ. એમ. ગઢવી, પી.આઇ. આર. એસ. ઠાકર, પી.આઇ. એસ. એન. ગડુની રાહબરીમાં ચાર ટીમો તપાસ કરી રહી છે. મુખ્ય તપાસમાં બી-ડિવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર,  જગેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રસિંહ જાડેજા, પીએસઆઇ ડામોર, મહેશગીરી ગોસ્વામી, વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, એભલભાઇ બરાલીયા, અજીતભાઇ લોખીલ સહિતની ટીમ પણ સામેલ છે. ઉલ્લેખનિય છે કે પોલીસ બે દિવસથી અમદાવાદ ગુજકોટના અધિકારીઓ, કર્મચારીઓની પણ પુછતાછ કરી રહી છે.  (૧૪.૭)

પોલીસની ટૂકડીઓ કોલકત્તા અને મહારાષ્ટ્ર તરફ પણ તપાસાર્થે પહોંચી

. બારદાન કાંડની તપાસમાં ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ જુદી-જુદી ટીમો તપાસ કરે છે. મગન ઝાલાવડીયાની સાથે કોૈભાંડમાં સામેલ પાંચ શખ્સો હાલ બી-ડિવીઝન પોલીસ પાસે હોઇ તેની વિસ્તૃત પુછતાછ કરી પુરાવા મેળવાઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ અન્ય ટૂકડીઓ કોલકત્તા અને મહારાષ્ટ્ર તરફ પણ તપાસાર્થે દોડી ગઇ છે. રાજકોટ યાર્ડમાં કરોડોના બારદાન કોલકત્તા અને મહારાષ્ટ્રથી મંગાવાયા હતાં. પોલીસ ત્યાં પહોંચી ખરેખર ત્યાંથી કેટલા બારદાન આવ્યા હતાં અને કેટલા ભાવથી મોકલાયા હતાં? તે સહિતના મુદ્દે તપાસ કરશે. (૧૪.૭

(4:08 pm IST)