રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશબાબુએ આજે પ્રથમ વખત પત્રકારો સાથે વાતચીત કરી હતી તે સમયે એડી. કલેકટર શ્રી પરિમલ પંડયા હાજર રહ્યા હતા.
રાજકોટના પ૦ મા કલેકટર તરીકે ચાર્જ સંભાળનાર શ્રી અરૂણ મહેશબાબુએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો શહેર-જીલ્લામાં વેકસીનેશનની કામગીરી ઝડપી અને વધુમાં વધુ થાય તે જોવાની છે, અમુક ગામોમાં અંધશ્રધ્ધાની વાતો છ ે, લોકો ડરે છે, તે ડર કાઢવાનો છે, અને આ માટે DDO અને મ્યુ. કમીશ્નર સાથે ટુંકમાં મીટીંગો યોજી પ્રચાર-પ્રસાર ખાસ કરાશે.
તેમણે ઉમેર્યું હતું કે કોરોનાની ત્રીજી વેવ સામે મારી તંત્ર-ટીમ સાબદી જ છે, વધુને વધુ હોસ્પીટલો, બાળકોની હોસ્પીટલો-બેડ, ઓકસીજન પ્લાન્ટ, ઓકસીજનની અવરજવર અંગે કાર્યવાહી થશે, તેમજ કદાચ ત્રીજી વેવ તો અમદાવાદમાં જે રીતે અપગ્રેડેશન કાર્યવાહી કરાઇ તે પ્રકારે અમે આયોજન કરી રહ્યા છીએ.
કલેકટરશ્રી અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી વેવ આવે તે પહેલા શહેર-જીલ્લામાં ૧ દિવસથી ૧પ વર્ષ સુધીના બાળકોનો ખાસ પિડયાટ્રીક સર્વે હાથ ધરાશે, આ માટે RCH-(હેલ્થ), પ્રાથમિક શિક્ષણ ખાતા તથા ICDS એટલે કે આંગણવાડીઓ પાસેથી ડેટા મેળવી-તેનું સંકલન કરી સર્વે હાથ ધરાશે, જેમાં કેટલા બાળકો વનટેબલ છે, અને તેમાં પણ જેએસ્ટ વનટેબલ બાળકો જણાશે તેમને રીવર્સ કવોરન્ટાઇન કરાશે, બાળકો અને વૃધ્ધોને ઘરની અંદર જ રખાશે, તેમને બહાર નહીં નીકળવા દેવાય તેમણે ઉમેર્યું હતું કે સરકારની ૧૪ પ્રકારની ગાઇડ લાઇન મુજબ વનટેબલ બાળકો નકકી કરાશે, આ માટે DDO- મ્યુ. કમિશ્નર- તથા અન્ય અધીકારીઓ સાથે ૧ થી ર દિ'માં મીટીંગ કરી-યાદી ફાઇનલ કરી સર્વે શરૂ કરી દેવાશે.
કલેકટરે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારની બે મહત્વની યોજના એઇમ્સ અને હિરાસર એરપોર્ટની કામગીરી ઝડપી પૂર્ણ થાય, તેમજ આપણી પાસે રહેલું શાસ્ત્રી મેદાન, ઇશ્વરીયા પાર્કનું અદ્યતન ડેવલપમેન્ટ થાય તે યોજનાને પણ પ્રાધાન્ય આપી રહ્યો છું. શાસ્ત્રી મેદાન અંગે એડી. કલેકટર પાસેથી હાલની સ્થિતિ અંગે વિગતો મંગાઇ છે.
સેકન્ડ વેવ- અને અનાથ બાળકો માટે ખાસ હેલ્પલાઇન
કલેકટરે જણાવ્યું હતું કે સેકન્ડ વેવમાં માતા-પિતા બંને ગુમાવનાર બાળકો અથવા તો માતા કે પિતા ગુમાવનાર બાળકો માટે બાળ સુરક્ષા અધીકારી મારફત ખાસ સર્વે હાથ ધરી રહ્યા છીએ. જેથી કરીને તેમણે દર મહિને મળતી સહાય અને શિક્ષણ સહાય આપી શકાય, હાલ ૧૦૯ બાળકો અંગે કાર્યવાહી થઇ છે, પરંતુ સર્વે દ્વારા પણ વધુ શોધી શકાશે, તેમજ બાળકો માટેની ખાસ હેલ્પલાઇન ૧૦૯૮ ઉપર પણ આવા બાળકો માટે લોકો જાણકારી આપી શકે છે, જેથી કરીને એડોપ્ટ અને NGO મારફત બાળકોના ભવિષ્ય અંગે કાર્યવાહી કરી શકાય.
દિકરીઓ માટે સુકન્યા સમૃધ્ધિ
કલેકટરે ઉમેર્યું હતું કે એક અન્ય યોજના જે વર્ષોથી ચાલુ છે તે કેન્દ્રની દિકરીઓ માટે સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત આવી દિકરીઓના પોસ્ટ ઓફીસમાં વધુને વધુ ખાતા ખુલે તે અંગે કાર્યવાહી શરૂ થશે, આવા ખાતામાં કોઇપણ ગાર્ડીયન દર મહિને ૧ હજાર રૂપિયા જમા કરાવી શકે છે, અને દિકરી ૧૮ વર્ષની થાય ત્યાં સુધી આ નાણા ઉપડતા નથી...અને જે તે દિકરીને તેના શિક્ષણ-લગ્ન અંગે કામ આવી શકે.
કન્ટેન્ટ ડેપો રેલ્વે પ્રોજેકટ
રાજકોટ રેલ્વે જામનગર રોડ ઉપર ખંઢેરી પાસે દેશનો મોટો કન્ટન્ટ ડેપો બનાવવા માંગે છે, જે તે વખતે કલેકટરશ્રીએ જમીનો આપી પરંતુ સરકારે જે ભાવ નકકી કર્યા તે મુજબ રેલ્વેને પોષાય તેમ ન હોય, આખો પ્રોજેકટ અટકી પડયો છે, આ પ્રોજેકટથી હજારો લોકોને રોજીરોટી મળી શકે તેમ છે, આ પ્રોજેકટ પૂનઃ શરૂ થાય તે અંગે કલેકટરે જણાવ્યું હતું. કે પોતે આ બાબતે એડી. કલેકટર પાસેથી વિગતો મેળવી પ્રોજેકટ ઝડપી અમલી બને તે માટે કાર્યવાહી થશે.
- દરેક પીચ નવી હોય છે.. રાજકોટ કલેકટર તરીકેની મારી આ ''પીચ'' પણ નવી જ છે કોવીડ-૧૯ અને અન્ય પ્રોજેકટ અંગે વિદાય લેનાર કલેકટરની કામગીરીને બિરદાવાઇ
રાજકોટ જીલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ ચાર્જ સંભાળ્યા બાદ આજે પ્રથમ વખત પત્રકારોને મળ્યા હતા. તેમણે એક ''રમુજ'' માં જણાવેલ કે દરેક પીચ નવી હોય છે... ભલે મે ભૂતકાળમાં રાજકોટમાં ફરજ બજાવી. પરંતુ રાજકોટ કલેકટર તરીકેની મારી આ ''પીચ'' નવી જ છે. તેમણે સૌ પ્રથમ વિદાય લેનાર કલેકટર શ્રી રેમ્યા મોહનની કોવીડ-૧૯ અને અન્ય પ્રોજેકટ અંગે થયેલ કામગીરીને બિરદાવી-અભિનંદન પાઠવ્યા