Gujarati News

Gujarati News

News of Sunday, 24th May 2020

અન્ય રાજ્યોમાંથી રાજકોટ આવતા લોકો માટે પાસ અને ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન ફરજીયાતઃ કલેકટરનું જાહેરનામું

આંતર જીલ્લામાં આવન-જાવન માટે પાસની જરૂરિયાત નહિઃ પરંતુ મેડીકલ ચેક અપ જરૂરી..: જીલ્લામાં ડેરી સવારે ૭ થી સાંજે ૭ સુધી ચાલુ રાખી શકાશેઃ ઉદ્યોગો -પેટ્રોલ પંપને સવારે ૮ થી ૬ સુધીની છુટ

રાજકોટ,તા.૨૩: રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને ગઇ કાલે મોડી રાત્રે એક જાહેરનામું બહાર પાડી ગાઇડ લાઇન જાહેર કરી છે.

આ જાહેરનામા મુજબ આંતર જીલ્લામાં આવન-જાવન માટે કોઇ જ પાસ/ મંજુરીની આવશ્યકતા રહેશે નહીં પરંતુ આંતર રાજ્ય તથા રાજ્યની સરહદ પરથી આવન -જાવન માટે પાસ / મંજુરી અગાઉની સુચના મુજબ લેવાની રહેશે.

આંતર જિલ્લા આવન -જાવન માટે જીલ્લા ચેક પોસ્ટ ખાતે જીલ્લામાં આવતા લોકોએ આરોગ્ય ચકાસણી કરાવવાની રહેશે. અને પોતાના હાલના જિલ્લા અને રાજકોટ જિલ્લાના સરનામા, મોબાઇલ નંબર વગેરે વિગતો આપવાની રહેશે. અને તે સંબંધેના પુરાવા રજુ કરવાના (દેખાડવાના) રહેશે. જો કોઇ વ્યકિત કોવિદ-૧૯ના લક્ષણો ધરાવતી જણાશે. તો તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલાઇન કરવામાં આવશે. તથા આગળની મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે નહીં.

અન્ય રાજ્યોમાંથી રાજકોટ જીલ્લામાં આવતા લોકો પાસે અધિકૃત પાસ/ પરમીટ મંજુરી હોવી જોઇએ. અન્યથા આ જીલ્લામાં પ્રવેશ આપવામાં આવશે નહીં. બહારના રાજ્યોમાંથી રાજકોટ જીલ્લામાં પ્રવેશ મેળવવા ઇચ્છતા આવા લોકોને સક્ષમ આરોગ્ય અધિકારીશ્રીનું (લક્ષણો રહીત) હોવાનું મુસાફરી શરૂ કર્યા તુરંત પહેલાનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે.

અન્ય રાજ્યોમાંથી રાજકોટ જિલ્લામાં આવતા તમામ લોકોએ ૧૪ દિવસ હોમ કોરોન્ટાઇન થવાનું રહેશે. તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉન લોડ કરવાની રહેશે.

આ ઉપરાંત ઉદ્યોગો તથા પેટ્રોલપંપ સવારે ૮:૦૦ સાંજે ૬ સુધી ચાલુ રાખી શકાશે. તમામ પ્રકારના દવાખાના, લેબોરેટરી, દવાની દુકાન તથા હાઇવે ઉપરના પેટ્રોલપંપો સમયના કોઇ પણ બાધ વગર ખુલ્લા રાખી શકાશે. આવશ્ય ચીજવસ્તુઓ/ સેવા સાથે સંકળાયેલી દુકાનોને ઓડ-ઇવનની જોગવાઇ લાગુ પડશે નહીં. દુધ એકત્રીકરણ અને સંલગ્ન ડેરીને લગતી કામગીરી સવારના ૭ થી સાંજના ૭ કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ જાહેરનામું રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૩૧ મે સુધી અમલમાં રહેશે.

(10:57 am IST)