Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

વાલ્વ કૌભાંડમાં નવ પૈકી પાંચ આરોપીની આગોતરા જામીન અરજીઃ પોલીસનું સોગંદનામુ

પકડાયેલા પિતા-પુત્રના સાંજે રિમાન્ડ પુરા થતાં કોર્ટહવાલે : પીએસઆઇ ધાંધલ્યાએ આગોતરા જામીન ન આપવા રજૂઆત કરીઃ સાંજે સુનાવણી

રાજકોટ તા. ૨૨: વાલ્વ કૌભાંડમાં મ્યુનિસ્પિલ કોર્પોરેશનના સિવિલ એન્જિનીયરની ફરિયાદ પરથી ડીસીબી પોલીસ મથકમાં  ૧૧ સામે ગુનો નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે કોન્ટ્રાકટર પિતા-પુત્રની ધરપકડ કરી હતી. તેના એક દિવસના રિમાન્ડ આજે સાંજે પુરા થતાં કોર્ટ હવાલે કરવા તજવીજ કરાઇ હતી. બીજી તરફ બાકી રહેલા નવ પૈકી પાંચ આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરતાં તેની સામે તપાસનીશ અધિકારીએ જામીન ન મળવા અંગે સોગંદનામુ કર્યુ હતું.

પોલીસે મ્યુ. કોર્પોરેશનના સિવિલ એન્જિનીયર હિતેષભાઇ હસમુખભાઇ ટોળીયા (ઉ.૫૦)ની ફરિયાદ પરથી નવા થોરાળા વણકરવાસ-૬માં રહેતાં મહાનગર પાલિકાના વાર્ષિક ઝોનલ કોન્ટ્રાકટર લાલજી નથુભાઇ પરમાર, પેટા કોન્ટ્રાકટર મોહન ભલાભાઇ, મહાવેદ ડેવલોપર્સના મજૂર રમેશ ધરમશીભાઇ ઉદેશા (રહે. વેજાગામ વાજડી), વિનુ નારણભાઇ મેણીયા, રૈયા ગામ હુશેની ચોકના કરસન તેજાભાઇ મેરીયા, વેજાગામ સો વારીયા પ્લોટના જેન્તી ભાણાભાઇ માલકીયા, નાના મવા રોડ શિવગંગા સોસાયટીમાં રહેતાં પ્રિયા કન્સ્ટ્રકશનવાળા દિનેશ રામજીભાઇ વાણીયા, આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટી-૭માં રહેતાં ચામુંડા કન્સ્ટ્રકશનવાળા લક્ષમણ કરસનભાઇ ચોૈહાણ,    રૈયા ગામ ડો. બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે રહેતાં દેવ કન્સ્ટ્રકશનવાળા દેવજી તેજાભાઇ મેરીયા, મવડી ધરમનગર-૧માં રહેતાં બજરંગ કન્સ્ટ્રકશનવાળા નરેશ વિનુભાઇ મેરીયા અને વાલ્વ ખરીદનાર ગરેડીયા કુવા રોડ પર આવેલા શિતલ સેનેટરી સ્ટોરવાળા બુરહાન સિદ્દીકઅલી દારૂગલી સામે ગુનો દાખલ કર્યો હતો.

તપાસ દરમિયાન  ધરમનગર-૧માં રહેતાં અને કોર્પોરેશનમાં ૨૦૧૫થી બજરંગ કન્સ્ટ્રકશન નામે કોન્ટ્રાકટ ધરાવતાં નરેશ વિનુભાઇ મેરીયા (ઉ.૩૧)એ તેના પિતા વિનુ નારણભાઇ મેરીયા (ઉ.૫૧) (રહે .બંને ધરમનગર-૧, મવડી)ને આજીડેમ ચોકડીએથી પકડી લીધા હતાં. બંનેએ અડધા ભાવે નવા વાલ્વ વેંચી દીધાની કબુલાત આપી હતી. એક દિવસના રિમાન્ડ સાંજે પુરા થયા છે. બીજી તરફ બાકી રહેલા ૯માંથી પાંચ આરોપીએ આગોતરા જામીન અરજી મુકતાં તપાસનીશ પી.એસ.આઇ. એચ. બી. ધાંધલ્યાએ આ ગંભીર ગુનો હોઇ આગોતરા જામીન નહિ આપવા વ્હોરાસાહેબની કોર્ટમાં સોગંદનામુ કર્યુ હતું. જેની સાંજે ચાર વાગ્યે સુનાવણી રાખવામાં આવી હતી.એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પી.એસ.આઇ. પી.એસ.આઇ. એચ.બી. ધાંધલ્યા, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. સામતભાઇ ગઢવી સહિતનો સ્ટાફ વિશેષ તપાસ કરે છે.

(4:09 pm IST)