Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

મહાપાલીકામાં થયેલ જીતથી લોકો ભાજપનું વિઝન સ્વીકારે છે એ પૂરવારઃ ભુપેન્દ્રસિંહ

રાજકોટ તા.ર૪ : મહાનગરપાલીકાની ચુંટણીમાં ભારતીય જનતા પક્ષે કરેલા અભૂતપૂર્વ દેખાવ બદલ રાજયના શિક્ષણ અને રાજકોટના પ્રભારી  મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ખુશી વ્યકત કરી છે અને ભારતીય જનતા પક્ષને અકલ્પનીય બહુમતી સાથે જીવ અપાવવા બદલ શહેરની પ્રજાનો આભાર માન્યો છે.ભારતીય જનતા પક્ષના શાસનમાં થયેલા વિકાસ કાર્યોથી શહેરની પ્રજા સંતુષ્ટ છે અને આગામી સમય માટે ભારતીય જનતા પક્ષે જાહેર કરેલા વિઝનને પણ લોકોએ આવકાર્યું છે આવેલા પરિણામ ઉપરથીએ સ્પષ્ટ થયું છે.

ગોવિંદભાઇ પટેલ

રાજકોટના તમામ મતદારોનો આભાર માનતા ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે જણાવ્યું છે કે ર૦૧પ ની સાલમાં વિધાનસભા ૭૦ માં વોર્ડ નંબર ૧૩, ૧૭,૧૮ ની બાર સીટમાંથી માત્ર બે સીટ મળી હતી જે આ ચૂંટણીમા તમામ વોર્ડમાં જંગી બહુમતી જ નહી બલ્કે વોર્ડ નંબર ૧૩માં ત્રણ અને વોર્ડ નંબર ૧૪ માં ચાર કોંગ્રેસના ઉમેદવારોની ડીપોઝીટ પણ જપ્ત થાય તેવી પ્રચંડ બહુમતી મળી છે.લોકોએ જે વિશ્વાસ મુકેલ છે એટલી જ મોટી જવાબદારી પણ પક્ષની અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની રહેશે. તેમ નિવેદનના અંતે શ્રી પટેલ જણાવ્યુંછે.

ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

છ મહાનગર પાલીકામાં ભાજપના વિજયને ભવ્ય બનાવી મહાનગરની મનપાઓને કોંગ્રેસ મુકત બનાવનાર તમામ મતદારો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરતા ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતીનભાઇ ભારદ્વાજ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર અને રાજયની ભાજપા સરકાર સંપુર્ણ સાથે જનહિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરી રહી છે. મનપાની ચૂંટણીના ઐતિહાસીક પરિણામો દર્શાવે છે જે જનતાનો ભાજપા ઉપરનો વિશ્વાસ અંકબંધ છે ભાજપે કરેલી વિકાસ કાર્યોને જનતાએ આવકારી મનપા ચુંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવ્યો છેે આ વિશ્વાસ કાયમ જળવાઇ રહેશે તેમ અંતમાં શ્રી ભંડેરી, શ્રી ભારદ્વાજ, અને શ્રી મિરાણીએ જણાવેલ છે.

રાજુભાઇ બોરીચા

વોર્ડ નં. ૧૧માં ભાજપની જીત રાજુભાઇ બોરીચાની વોર્ડના કાર્યકર્તાઓ સમર્થકો સાથેની પરીવાર ભાવનાની તપશ્ચર્યાનું પરીણામ ગણાવાય રહ્યું છે. ૧૯૮૯ થી ગ્રામ પંચાયત વખતથી રાજુભાઇ બોરીચા વોર્ડનં. ૧૧/૧રના લોકો સાથે પારીવારિક રીતે જોડાયેલ છે. ત્યારે હાલ વોર્ડ નં. ૧૧/૧ર ની પેનલ અપાવી શકયા ના સંતોષ સાથે રાજુભાઇ બોરીચાએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની વિકાસ સાથ અને વિશ્વાસની રાજનીતી લોકોને સમજાવવામાં વોર્ડની સક્રિય સંગઠનની ટીમ સફળ થઇ છે. મારો વિસ્તાર સુંદર તો છે જ પણ અતિ સુંદર બનશે તેમ અંતમાં વિશ્વાસ અપાવતા રાજુભાઇ બોરીચએ જણાવ્યુંછે.

(3:50 pm IST)