Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

આજીડેમ ચોકડી નજીક'હિટ એન્ડ રન'માં નવદંપતિ ફંગોળાયું, પત્નિનું મોતઃ ૭ દિ' પહેલા જ લગ્ન થયા'તા

ઉત્તમ ચુડાસમા (ઉ.૨૧) પોતાની પત્નિ કાજલ (ઉ.૧૮)ને બાઇકમાં બેસાડી મંછાનગરમાં માસીને ત્યાં જમી શાપર જવા નીકળ્યા ને નવદંપતિ ખંડિત થયું: દેવીપૂજક પરિવારમાં શોકની કાલિમાઃ જે દિકરીના હાથમાંથી લગ્નની મહેંદી પણ સુકાઇ નહોતી તેની 'અરથી' ઉઠતાં સ્વજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૪: આજીડેમ ચોકડી નજીક રવિવારે સાંજે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ટ્રકે બાઇકને ઉલાળતાં બાઇકસ્વાર શાપર વેરાવળનું દેવીપૂજક નવદંપતિ ફંગોળાઇ ગયું હતું. જેમાં પત્નિનું મોત નિપજ્યું હતું. કરૂણતા એ છે કે સાત દિવસ પહેલા જ લગ્ન થયા હતાં. આ નવદંપતિ રાજકોટ માસીના ઘરે જમવા આવ્યું હતું ત્યાંથી પરત શાપર પોતાની ઘરે જતી વખતે અકસ્માત નડ્યો હતો.

જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં રાયનો પંપ કંપ્નીની ઓરડીમાં ધરતી ગેઇટની સામે રહેતો ઉત્તમ અશોકભાઇ ચુડાસમા (દેવીપૂજક) (ઉ.૨૧) ગઇકાલે પોતાની પત્નિ કાજલ (ઉ.૧૮)ને પોતાના ટુવ્હીલર જીજે૧૪એકયુ-૦૬૨૮માં બેસાડી રાજકોટ માર્કેટ યાર્ડ પાછળ મંછાનગરમાં રહેતાં માસીને ત્યાં જમવા માટે આવ્યા હતાં. ત્યાંથી સાંજે સાડા સાતેક વાગ્યે પરત પોતાના ઘરે શાપર જવા નીકળ્યા ત્યારે ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ રોડ ચોકડી તરફ જતાં નેશનલ હાઇવે પર આજીડેમ ચોકડી નજીક માનસરોવરના ઢાળીયા સામે પહોંચ્યા ત્યારે અજાણ્યા ટ્રકનો ચાલક પાછળથી બાઇકને ઉલાળીને ભાગી જતાં પતિ-પત્નિ બંને ફંગોળાઇ ગયા હતાં.

જેમાં પતિ ઉત્તમને નજીવી મુંઢ ઇજા થઇ હતી. જ્યારે પત્નિ કાજલને ગંભીર ઇજા પહોંચી હતી. ૧૦૮ના ઇએમટી પિયુષભાઇ ધોળકીયા અને પાઇલોટ રાજેશભાઇ ઝાપડીયા પહોંચ્યા હતાં. પરંતુ કાજલનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હોઇ આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ સી.એચ. આસુન્દ્રા અને કોૈશલેન્દ્રસિંહે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકના પતિ ઉત્તમની ફરિયાદ પરથી અજાણ્યા ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

કરૂણતા એ છે કે સાત દિવસ પહેલા ઉત્તમ અને કાજલના લગ્ન થયા હતાં. તેણીના માવતર પણ શાપરમાં જ રહે છે. જે દિકરીને હજુ હઠવાડીયા પહેલા રંગેચંગે સાસરે વળાવી અને જેના હાથમાંથી હજુ લગ્નની મહેંદી પણ સુકાઇ નથી તેની અરથી ઉઠાવવાની વેળા આવતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

(12:58 pm IST)