Gujarati News

Gujarati News

News of Wednesday, 24th January 2018

૨૬મીએ ૨૦૦ ફૂટના રાષ્ટ્રધ્વજ સાથે ગૌરવયાત્રા નિકળશે

ભારત માતાનો મુખ્ય ફલોટ આકર્ષણ જમાવશે : શહિદોને સમૂહ શ્રદ્ધાંજલી : બાપા સીતારામ ચોક ખાતેથી શરૂ ગરૂડ ગરબી ચોક ખાતે સમાપન : ક્ષત્રિય સમાજના લોકો પરંપરાગત વસ્ત્રો સાથે જોડાશે : બિન રાજકીય હેતુ સાથે આયોજન : સૌને જોડાવવા જાહેર આહવાન

રાજકોટ, તા. ૨૪ : તા.૨૬ જાન્યુ. એટલે કે ગણતંત્ર દિવસની આખા ભારતમાં ભુલકાઓ હોય કે યુવાનો કે પછી વૃદ્ધો, ભારતના આ રાષ્ટ્રીયપર્વની દરેક લોકો ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરતાં હોય છે. આવી જ એક ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં સર્વપ્રથમ વખત સામાજીક સમરસતા મજબૂત બનાવવા દેશમાં પ્રસરેલી સામાજીક બટવારાની ભાવનાને દૂર કરવા અમે બધા ભારતીયો એક છીએ. (હમ સબ ભારતીય એક હૈ)નો નારો સિદ્ધ કરવા રાજકોટ ખાતે એક ભવ્ય ''રાષ્ટ્ર ગૌરવ યાત્રા''નું આયોજન કરવામાં આવેલ છે.

આ યાત્રાનું મુખ્ય આકર્ષણ ભારત માતાનો મુખ્ય ફલોટ રહેશે. ૨૦૦ ફૂટનો રાષ્ટ્રધ્વજ જેને ચાલીને સમગ્ર રૂટમાં લઈ જવામાં આવશે. ભારત માતાનું જીવંત પાત્ર તેમજ દેશના અલગ અલગ ફ્રિડમ ફાઈટર્સના જીવંત પાત્ર. યાત્રાની પૂર્ણાહૂતિ બાદ સમૂહ રાષ્ટ્રધ્વજ વંદન, સમૂહ રાષ્ટ્રગાન, શહીદ કુટીર પર શહીદોને સમૂહ શ્રદ્ધાંજલી, સમૂહ ભારતમાતા પૂજન, માલધારી સમાજના યુવકો પોતાના પરંપરાગત વસ્ત્રો પહેરીને યાત્રામાં જોડાશે. ક્ષત્રિય સમાજના લોકો પણ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં આ યાત્રામાં જોડાશે. કોઈ જાહેર યાત્રામાં પહેલીવાર નારી શકિતનું પ્રભુત્વ દેખાડવા તથા બહેનો પણ આવા રાષ્ટ્રીય કાર્યક્રમમાં પુરૂષો સાથે ખભે ખભા મિલાવીને કામ કરી શકે છે તે બતાવવા બાઈક લઈને મોટી સંખ્યામાં જોડાશે. સમગ્ર યાત્રા દરમિયાન સાઉન્ડ સિસ્ટમ પર દેશભકિતના ગીત સાથે રાષ્ટ્રપ્રેમીઓ ઝુમશે.આ યાત્રાનું જુદી જુદી સંસ્થાઓ દ્વારા યાત્રાના રૂટ પર યાત્રાનું પુષ્પોથી, નાસ્તો તેમજ અલગ અલગ રીતે યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. રાજકોટની જુદી જુદી સંસ્થાઓ અને રાષ્ટ્રપ્રેમી લોકો દ્વારા ૧૫૦ જેટલા બાઈક અને ૧૫ જેવી કાર તથા ૫ બુલેટની નોંધણી પણ થઈ ચૂકી છે. હજુ પણ જોડાવવા અપીલ કરાઈ છે.

યાત્રાનું આયોજન રાષ્ટ્ર ગૌરવ યાત્રા સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. જેનો હેતુ બિનરાજકીય છે. યાત્રાને સફળ બનાવવા માટે હિન્દુસ્તાન સંરક્ષણ સંઘ, શ્રી બડા બજરંગ મિત્ર મંડળ, યુવા શકિત સેવા સંઘ આ ત્રણેય સંસ્થાઓ સાથે મળીને મહેનત કરી રહેલ છે.

યાત્રા અંગે વધુ માહિતી માટે ભાવિન સોની - ૯૦૩૩૯ ૪૪૪૮૦, કલ્પેશ ગમારા- ૮૧૨૮૮ ૮૮૮૩૫, જીતેશ રાઠોડ - ૭૭૭૮૮ ૮૧૧૫૬, આશિષ મુલીયાણા - ૯૯૦૯૦ ૩૫૪૨૦, ધ્રુવ કુંડેલ - ૯૮૯૮૦ ૪૨૪૩૫નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૩૭.૧૩)

યાત્રાનો રૂટ

યાત્રાની શરૂઆત સવારે ૮:૩૦ વાગ્યે બાપા સીતારામ ચોક, રૈયા ચોકડી, કનૈયા ચોક, હનુમાન મઢી ચોક, આમ્રપાલી ફાટક, કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, ત્રિકોણબાગ, લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, કોઠારીયા પોલીસ ચોકીથી રામનાથ પરા ગરૂડ ગરબી ચોક ખાતે પહોંચી પૂર્ણ થશે.

(3:42 pm IST)