Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

ભણવું ગમતું ન હોવાથી કૃષ્ણનગરમાં ધો-૧૧ની છાત્રા તુલસીએ જિંદગી ટૂંકાવી

૧૬ વર્ષની છાત્રાએ ઝેર પી લેતાં સારવારમાં દમ તોડ્યોઃ પટેલ પરિવારમાં અરેરાટી

રાજકોટ તા. ૨૩: ગોંડલ રોડ પી.ડી. માલવીયા કોલેજ પાછળ સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર મેઇન રોડ પર રહેતી અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતી છાત્રાને ભણવું ગમતું ન હોવાથી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

કૃષ્ણનગરમાં રહેતી તુલસી મહેન્દ્રભાઇ પાઘડા (ઉ.વ.૧૬) નામની બાળાએ ઝેરી દવા પી લેતાં સારવાર માટે ખસેડાઇ હતી. પરંતુ તેણે દમ તોડી દીધો હતો. પોલીસને જાણ થતાં માલવીયાનગરના પીએસઆઇ ખાચર અને પૃથ્વીરાજસિંહે એડી નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર તુલસીના પિતા હયાત નથી. તે બે બહેન અને એક ભાઇમાં મોટી હતી અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતી હતી. તેણીને ભણવું ગમતું ન હોવાથી આ પગલુ ભર્યાનું હાલ બહાર આવ્યું છે. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(12:58 pm IST)