Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

અગાઉ પાસામાં જઇ આવેલો પોપટપરાનો અજય લોહીલુહાણ મળ્યોઃ હુમલાની શંકા

સંતોષીનગર પાટા પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સો ધોકા તથા તિક્ષ્ણ હથીયારના ઘા કરી લોહીલુહાણ હાલતમાં ઘર પાસે ફેંકી ગયાનું રટણઃ જુનો ડખ્ખો ચાલે છે એ શખ્સો હોવાની શંકા

રાજકોટ તા. ૨૩: પોપટપરા શેરી નં. ૧૪માં રહેતાં અજય માનસિંગભાઇ હરસોંડા (ઉ.વ.૧૯) નામના કોળી યુવાન પર મોડી રાતે સંતોષીનગર પાટા પાસે બેઠો હતો ત્યારે અજાણ્યા શખ્સોએ ધોકાના ઘા કરતાં બેભાન જેવો થઇ ગયો હતો. ભાનમાં આવ્યો ત્યારે ઘર પાસે લોહીલુહાણ પડ્યો હોઇ પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. પોતાને અગાઉ માથાકુટ થઇ તેના મનદુઃખમાં કોઇએ હુમલો કર્યાની તેણે શંકા દર્શાવી હતી.

અજય વહેલી સવારે ચારેક વાગ્યે તેના ઘર પાસે લોહીલુહાણ પડ્યો હતો. તેને હાથના આંગળામાં ગંભીર ઇજા હતી તેમજ શરીરમાં બીજા ઘા હતાં. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ પ્ર.નગરમાં જાણ કરી હતી.

અજય બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને પ્લમ્બીંગ કામ કરે છે. અગાઉ પાંચેક મહિના પહેલા મનહરપુરમાં તેને મારામારી થઇ હતી. એ પછી તેને પાસા પણ થયા હતાં. અજય મોડી રાતે સંતોષીનગર પાસે બેઠો હતો ત્યારે કોઇ ઘા કરી ગયું હતું. પોતે અચાનક માથામાં ઘા થતાં ચક્કર આવતાં પડી ગયાનું અને એ પછી બેભાન જેવો થઇ ગયો હોઇ કોણે હુમલો કર્યો તે અંગે અજાણ હોવાનું તેણે કહ્યું હતું. પોલીસે ખરેખર શું ઘટના બની? તે અંગે તપાસ શરૂ કરી છે.

(11:55 am IST)