Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સરદાર પટેલની એકતા યાત્રાનું વોર્ડ નં. ૩ માં ઉમળકાભેર સ્વાગત : કાલે વોર્ડ નં. પ માં પ્રસ્થાન

રાજકોટ : દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી એવા ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલને યથોચિત આદરાંજલી આપવા કેવડીયાથી શરૂ થયેલ એકતા યાત્રા દેશભરમાં ફરી રહી છે. ગુજરાતમાં પ્રવેશી રાજકોટ આવી પહોંચતા દરેક વોર્ડમાં ભાવભીનું સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. આજે વોર્ડ નં. ૩ માં પ્રવેશ કરતા બેડીનાકા ટાવર ખાતેથી મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ મેયર જનકભાઇ કોટક, મહામંત્રી દેવાંગ માંકડ, કિશોર રાઠોડ, ડે. મેયર અશ્વિન મોલીયા, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી, દંડક અજય પરમાર, વોર્ડના પ્રભારી દીનેશ કારીયા, વોર્ડ પ્રમુખ હેમુભાઇ પરમાર, મહામંત્રી રાજુભાઇ દરીયાનાણી, જગદીશ ભોજાણી, ડાયાભાઇ ડેલાવાળા, કનુભગત, નટુભાઇ કાપડીયા, અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડી. બી. ખીમસુરીયાની ઉપસ્થિતીમાં એકતા યાત્રાને આગળ પ્રસ્થાન કરાવાયુ હતુ. બહેનોએ તલવાર રાસ રજુ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ધુન મંડળો, સાધુ સંતો, ૧૦૦ થી વધુ બાઇક સવાર યુવાનોએ કેસરીયો માહોલ સર્જી દીધો હતો. ડી.જે.ના તાલે અને આતશબાજીની ધણેણાટી વચ્ચે એકતા યાત્રાને સત્કારવામાં આવી હતી. આવતીકાલે આ એકતા યાત્રા વોર્ડ નં. પ  માં સ્થાન લેશ. પારૂલ બગીચા ખાતેથી પ્રસ્થાન કરાવાશે. વેકરીયા રોડ, રણછોડનગર, અમૃતા ચોક, કડવાભાનુ રોડ, ખોડીયાર મંદિર પ્રા.શાળા, ખાદીગ્રામોદ્યોગ મંદિર, પેડક રોડ સહીતના વિસ્તારોમાં ફરશે. શહેરીજનોએ મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કરાયો છે. આગામી તા. ૩૧ ના સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિએ વિશ્વની સૌથી ઉચ્ચી પ્રતિમા એટલે કે 'સ્ટેચ્યુ ઓફ યુનિટિ' ના અનાવરણ પ્રસંગે આ યાત્રા વિરામ પામશે.

(3:24 pm IST)