Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

આયુષ્ય હંમેશા અશાશ્વતતાનો સ્વભાવ લઇને આવે છે : પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે આદર્શયોગિની પૂજ્યશ્રી પ્રભાબાઇ મહાસતીજીની ગુણાંજલિ સભા યોજાઇ

રાજકોટ તા. ૨૩ : ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર કેસરી ગુરૂ પ્રાણ પરિવારના તપસમ્રાટ પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેનના શ્રીમુખેથી ૬૧ વર્ષ પહેલાં દીક્ષા અંગીકાર કરનારા અને પૂજય શ્રી મુકત - લીલમ ગુરુણીનાં સુશિષ્યા એવાં ૮૧ વર્ષીય આદર્શયોગિની પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજી કાળધર્મ પામતાં એમની ગુણાનુવાદ સભાનું આયોજન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાનિધ્યે લાઈવ પ્રસારણના માધ્યમથી કરવામાં આવ્યું હતું.

રાજકોટના શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટાસંઘ -સી.એમ. પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રય ખાતે ચાતુર્માસ બિરાજિત 'પ્રભુજી'ના નામે ઓળખાતા પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીને સરળ અને શ્રેષ્ઠ આત્મા તરીકે ઓળખાવીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે શ્રદ્ઘાંજલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, કોઈકના આગમનનો જેટલો આનંદ હોય, એની વિદાય એટલી જ વેદનાકારક બની જતી હોય છે. માટે જ, પરમાત્માએ સંયોગમાં આનંદથી અને વિયોગમાં વેદનાથી પરે થઈ જવાનો બોધ આપ્યો છે. મુખ પર સદાબહાર પ્રસન્નતાના ધારક એવા પૂજય પ્રભાબાઈ મહાસતીજી એક સદભાગી આત્મા હતા જેમના પર સૌરાષ્ટ્ર કેસરી ગુરુ પ્રાણ જેવાં સમર્થ ગુરુની દૃષ્ટિ પડી હતી. કેમકે ગુરુની એક દૃષ્ટિ અને પ્રેરણા પણ જીવનની ભાગ્યરેખાઓ બદલાવી દેતી હોય છે. એ સાથે જ, પૂજય મહાસતીજીની વર્ષો સુધી અગ્લાન ભાવે કરનારા પૂજય શ્રી રેણુકાબાઈ મ. તેમ જ, કોરોનાના સમયમાં પણ પૂજય મહાસતીજીની ક્ષણ ક્ષણની ખેવના રાખીને સુવ્યવસ્થા કરનારા એવાં શ્રી ચંદ્રકાન્તભાઈ શેઠની સેવા ભાવનાની પ્રશસ્તિ કરી હતી.

આ અવસરે, અનકાઈ બિરાજિત પૂજય શ્રી સંબોહિજી મહાસતીજીએ પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીને સરળહૃદયા અને નિખાલસ આત્મા તરીકે ઓળખાવી એમને જલ્દીથી મોક્ષગતિની પ્રાપ્તિ થાય એવી ભાવના સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી.

દેવલાલીમાં બિરાજિત ડો. પૂજય શ્રી તરૂલતાબાઈ મહાસતીજીએ શ્રદ્ઘાંજલિ અર્પણ કરતાં પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીની સ્વીકારભાવના, સરળતા અને નિખાલસતાના ગુણોના ગુણાનુવાદ કર્યા હતાં.

વસઈ, માણેકપુર સંઘમાં બિરાજિત, વિરલપ્રજ્ઞા પૂજય શ્રી વીરમતીબાઈ મહાસતીજીએ પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીની વૈરાગી અવસ્થા અને સંયમી અવસ્થાના વર્ષોના સંસ્મરણો પર પ્રકાશ પાડીને ગુણાજંલિ અર્પણ કરતાં કહ્યું હતું કે, નાના- મોટા સહુની સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખનારા, ગુરુઆજ્ઞાને જ સદા શિરોમાન્ય રાખનારા અને અશાતાને પણ સમાધિભાવે સ્વીકાર કરનારા એવાં પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજી જલ્દીથી સિધ્ધત્વને પામે એવી મંગલ ભાવના ભાવીએ.

પાર્લાથી પૂજય શ્રી સુધાબાઈ મહાસતીજીએ 'પ્રભુજી' તરીકે ઓળખાતા પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીને પ્રભુ સ્વરૂપે ઓળખાવીને ભાવાજંલિ આપેલ. કાંદિવલી બિરાજિત શાસ્ત્ર દિવાકર પૂજય શ્રી મનોહરમુનિ મહારાજ સાહેબે ફરમાવ્યું કે, પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજી જેવા સરળ આત્મા આ પંચમકાળમાં ઓછા હોય છે એવા ભાવો સાથે શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી. રાજકોટથી પૂજય શ્રી સ્મિતાબાઈ મહાસતીજીએ પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીને વિશાળહૃદયા, સરલહૃદયા અને દર્દને પણ સમભાવે સહન કરનારા, સમતાભાવી આત્મા તરીકે ઓળખાવીને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

મગોધથી સંપ્રદાયવરિષ્ટા પૂજય શ્રી પ્રાણકુવરબાઈ મહાસતીજીએ પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીને સમતાધારી આત્મા, સરળઆત્મા તરીકે ઓળખાવીને ગુણાજંલિ અર્પણ કરતાં એમની અનન્ય સેવા બજાવનારા પૂજય રેણુકાબાઈ મહાસતીજીની સેવા ભાવનાની પ્રશસ્તિ કરી હતી. રાજકોટમાં રોયલપાર્કમાં બિરાજિત પૂજય શ્રી સુનિતાબાઈ મહાસતીજીએ પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીની વિદાયથી, એક શીતળ છાંયો, વડીલરૂપી છત્રછાયા ખોઈ દેવાનું દુઃખ વ્યકત કરી શ્રદ્ઘાંજલિ અર્પણ કરી હતી. ગિરનાર બિરાજિત ડો. ડોલરબાઈ મહાસતીજીએ, પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીને છેલ્લા ૫૦ વર્ષથી life પાર્ટનર બનીને જોડાયેલો અશાતા વેદનીય કર્મના ઉદયમાં પણ સમજણ, સહનશીલતા અને સમર્પણના ગુણો પ્રત્યે વંદનાજલી અર્પણ કરી હતી. એ સાથે જ, કામાગલી સંઘથી પૂજય શ્રી ઊર્મિલાબાઈ મહાસતીજી, રાજકોટથી પૂજય શ્રી અજિતાબાઈ મહાસતીજી, રામવાડીથી ક્રાંતિકારી સંત પૂજય શ્રી પારસમુનિ મહરાજ સાહેબ આદિએ પણ સુંદર ભાવો સાથે દિવંગત મહાસતીજીના ગુણાનુવાદ કર્યા હતા. તેમજ પૂજય મહાસતીજીના સંસારી સ્વજનોના પત્ર દ્વારા આપવામાં આવેલી શ્રદ્ઘાંજલિના ભાવો પઠન કરવામાં આવ્યા હતા.

એ સાથે જ, રાજકોટ રોયલપાર્ક સંઘ પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ શેઠએ જણાવેલ કે પ્રભુએ જયાંથી પૂજય લિલમબાઈ મહાસતીજીની વિદાઇ થઈ ત્યાંથી જ વિદાય લીધી, તેઓ ખરેખર પ્રભુજી હતા. ગોંડલ સંપ્રદાયના શ્રી પ્રવીણભાઈ કોઠારીએ ભવાંજલી આપતા ફરમાવેલ કે પ્રભુજીના જવાથી સંપ્રદાયને ખોટ પડેલ છે. તેમ જ, દેવલાલીથી શ્રી અશ્વિનભાઈ તેજાણીએ પૂજય મહાસતીજી પ્રત્યે શ્રદ્ઘાંજલિના ભાવો અર્પણ કરીને રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના પુરુષાર્થ અને સુસંચાલન માર્ગદર્શનના કારણે કોરોના કાળમાં પણ પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજી ની ભાવ પાલખીયાત્રાના સહુને દર્શન કરાવવાના કરેલાં ઉપકાર પ્રત્યે અહોભાવ પ્રગટ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, પરમ ગુરુદેવના અમૂલ્ય માર્ગદર્શન સાથે પૂજય શ્રી પ્રભાબાઈ મહાસતીજીના વોકહાર્ડ હોસ્પિટલથી રાજકોટ રોયલપાર્ક સંઘમાં લાવવામાં આવેલા પાર્થિવદેહની જય જય નંદા, જયજય ભદ્રાના ઘોષ સાથે નીકળેલી પાલખીયાત્રા અને અંતિમવિધિના લાઈવના માધ્યમે દરેક સંત –સતીજી, તેજાણી પરિવાર અને ભાવિકોને કરાવવામાં આવેલાં દર્શન બદલ દરેક મહાસતીજીએ અત્યંત અહોભાવ અને ઉપકારભાવની અભિવ્યકિત કરી હતી. આ આવસરે શ્રી સંઘ, સંપ્રદાય અને તેજાણી પરિવાર દ્વારા પૂજય પ્રભાબાઈ મહાતીજીને અંતિમ સેલૂ અને સંત સતીજીઓ દ્વારા શોલ અર્પણ કરવામાં આવી હતી.

(3:36 pm IST)