Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

અંતિમ વર્ષના ૫૫ છાત્રો કોરોના દર્દીઓની સારવાર માટે તૈયાર

ભાવી તબિબોની ફ્રન્ટલાઇન ટીમનો પીડીયુ કોલેજમાં સેમિનાર : કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર સમયે તેઓ સંક્રમણથી બચી શકે અને ટીમવર્કથી સહયોગી બને તે એક જ લક્ષ્યઃ ડો. મુકેશ સામાણી

રાજકોટ તા. ૨૩ : કોરોના મહામારીના આ સંક્રાંતી કાળમાં વિશ્વભરના તબીબો પોતાની ફરજ કર્ત્વય પરાયણતાપૂર્વક નિભાવી રહ્યા છે અને ખાસ કરીને કોરોના દર્દીઓના ધસારા સામે સૌ કોરોના સંક્રમીત દર્દીઓને ત્વરીત સારવાર મળે. ખાસ કરીને આ સારવાર દરમિયાન ફરજનિષ્ઠ તબીબો કોરોના સંક્રમીત ન બને તથા અન્યોમાં સંક્રમણ ફેલાતા અટકે અને વર્તમાન સમયે તેઓ કોવીડ-૧૯ ખાતે દાખલ થતા દર્દીઓની શ્રેષ્ઠ સેવા બજાવે તે માટે પી.ડી.યું મેડીકલ કોલેજના ૫૫ જેટલા ફાઇનલ ઇયરના મેડીકલ સ્ટુડન્ટસને વિશેષ તાલીમ આપી ફ્રન્ટલાઇન વોરીયર્સની યુવા ટીમની બીજી હરોળ તૈયાર કરાઇ છે. જે આજથી જ કોવીડ-૧૯ ખાતે કાર્યરત બનશે. 

પી.ડી.યુ કોલેજના માઇક્રોબાયોલોજી વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર અને હાલ કોરોના મહામારીમાં કોવીડ-૧૯ હોસ્પીટલ ખાતે નોડલ ઓફીસ તરીકે ફરજ બજાવતા ડો. ગોપી મકવાણા આ અંગે વધુ માહિતી આપતા જણાવે છે કે કોવીડ-૧૯ના આ સંકમણના સમયે કોલેજના ફાઇનલ વર્ષના તબીબી ક્ષેત્રે અભ્યાસરત વિદ્યાર્થીઓને કોરોના સંકમિત દર્દીઓની સારવાર તાલીમ બધ્ધ કરી તૈયાર કરવા બાબતે વિશેષ સેમીનારનું આયેાજન પી.ડી.યું કોલેજ ખાતે કરાયું હતું.

આ તાલીમમાં તેઓને કોરોના દર્દીઓની સારવાર વખતે રાખવાની થતી સાવચેતી બાબતે તેઓને અવગત કરાયા હતા. ખાસ કરીને તેઓને પોતાના સેનીટાઇઝેશન, માસ્ક અને ગ્લોવઝ ધારણ કરવાની વીશીષ્ટ પધ્ધતી સાથે પી.પી.ઇ. કીટ પહેરવાની તથા ફરજ બાદ તેના નીકાલ બાબતની વિશીષ્ટ તાલીમ તજજ્ઞો દ્વારા નિદર્શન સહિત શીખવવામાં આવી હતી. જેમાં પી.પી.ઇ. કીટ પહેરવા તથા ઉતારવા માટે તેમની સાથેના અન્ય મેડીકલ કર્મી દ્વારા ખાસ પધ્ધતિને અનુસરને ઉતારવા તથા તથા તેના સલામત નીકાલ માટે તાલીમ બધ્ધ કરાયા હતા. જેથી કોરોના દર્દીઓથી તેઓને તેમજ તેમના દ્વારા અન્યોને કોરોના સંક્રમણ ન ફેલાય. આ તાલીમ દ્વારા તેઓને કોરોના સંક્રમણના ડરથી મુકત કરવા ઉપરાંત કોરોના દર્દીઓની સારવાર માટે વોલીયન્ટરી સહયોગી બનવા તૈયાર કરાયા છે.

ડો. મુકેશ સામાણી કે જેઓ પી.ડી.યુ મેડીકલ કાલેજના માનસીક વિભાગના વડા અને હાલ ઇન્ચાર્જ ડિન તરીકે ફરજ બજાવે છે તેઓએ આ તાલીમનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે આ તાલીમ દ્વારા અંતિમ વર્ષના તબીબી ક્ષેત્રના સ્ટુડન્ટને કોરોના જેવી મહામારીમાં કાર્ય કરવાનો અનુભવ પ્રદાન કરવાનો છે જેથી આ અનુભવ તેઓને ભવિષ્યનું ભાથું બની રહે. આ સાથે વર્તમાન સમયમાં કોરોના મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓના ધસારાને ધ્યાને લઇને તમામ દર્દીઓને ત્વરીત તથા સધન સારવાર આપી કોરોના મુકત બનાવી શકાય. આમ ખાસ તો બીજી હરોળ કોરોના સામે ફ્રન્ટલાઇન તૈયાર કરવા સાથે તેઓને તાલીમબધ્ધ કરી ફરજ સમયે સંરક્ષણ માટે તૈયાર કરવાની છે. આખરે આ તબીબોએ આવનારા ભવિષ્યના સમયમાં આરોગ્યલક્ષી સેવાઓમાં કાર્યરત બનનાર છે. તેઓને તાલીમ સાથે કોરોના સંક્રમણના મુશ્કેલ સમયમાં સૌ આરોગ્ય કર્મીઓ એક ટીમવર્કથી કાર્ય કરે અને રાજય તથા દેશને કોરોના મૂકત બનાવવામાં સહયોગી બને તે માટે તૈયાર કરવાનો છે.

(1:26 pm IST)