Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

રૈયાધારના અજયએ યુવતિને ઘંટેશ્વર પાસે લઇ જઇ દેહ પીંખ્યોઃ ઝપાઝપીમાં ધક્કો લાગતાં ઘાયલ થયો

તું મને બહુ ગમે છે, તારા બીજે લગ્ન નહિ થવા દઉ, ભેગી નહિ આવ તો મારી નાંખીશ...કહી ધમકી દીધી : ૨૧મીએ બપોરે બે વાગ્યે ગૂમ થયેલી યુવતિ ગઇકાલે વહેલી સવારે ચાર વાગ્યે ઘરે આવીઃ યુનિવર્સિટી પોલીસે અજય દેવીપૂજકને સકંજામાં લઇ પુછતાછ આદરી

રાજકોટ તા. ૨૩: રૈયાધારમાં રહેતાં અને અગાઉ છૂટાછેડા લઇ ચુકેલા ૨૫ વર્ષના દેવીપૂજક શખ્સે કચરો નાખવા નીકળેલી ૨૧ વર્ષની યુવતિને 'તું મને બહુ ગમે છે, તારા બીજે લગ્ન નહિ થવા દઉ, મારી સાથે નહિ આવ તો મારી નાંખીશ' કહી ઘંટેશ્વર તરફ અવાવરૂ જગ્યાએ લઇ જઇ બળજબરી આચરી લેતાં પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે. યુવતિએ બચવા માટે ઝપાઝપી કરી ધક્કો મારતાં આ શખ્સ પડી જતાં માથામાં ઇજા થઇ હતી. ૨૧મીએ બપોરે યુવતિને લઇ જવાયા બાદ ગઇકાલે વહેલી સવારે ચારેક વાગ્યે તે પરત ઘરે આવી હોઇ આરોપીએ તેને કલાકો સુધી કયાં રાખી હતી? એ અંગે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે ભોગ બનેલી ૨૧ વર્ષની યુવતિની ફરિયાદ પરથી ગાંધીગ્રામ ધરમનગર દશામાના મંદિર પાછળ રહેતાં અજય ધીરૂભાઇ કાવઠીયા નામના શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૭૬, ૫૦૬ (૨) મુજબ ધમકી દઇ બળાત્કાર ગુજાર્યાનો ગુનો નોંધ્યો છે.

યુવતિએ પોલીસને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને માતા-પિતા મજૂરી કરે છે. હું અભણ છું. ૨૧/૬ના મારા પિત્રાઇ ભાઇના લગ્ન હોઇ મારા માતા-પિતા ત્યાં ગયા હતાં. ભાઇ-ભાભી રાવણા જાંબુ વેંચવા ગયા હતાં અને દસ વર્ષનો ભાઇ તથા હું ઘરે હતાં. એ દરમિયાન બપોરે બે વાગ્યા આસપાસ હું ઘરનું કામ પુરું કરી વંડામાં કચરો ફેંકવા જતી હતી ત્યારે અજય આવ્યો હતો અને મારું બાવડુ પકડી કહેલું કે 'તું મને બહુ ગમે છે, તારા લગ્ન બીજા કોઇ સાથે નહિ થવા દઉં, મારી સાથે જ લગ્ન કરવા પડશે અને છાનીમાની મારી સાથે ચાલ નહિતર મારી નાંખીશ' તેવી ધમકી આપી મને રામાપીર ચોકડી સુધી ચાલીને લઇ ગયો હતો.

એ પછી રામાપર ચોકડીથી ઘંટેશ્વર જવાના રસ્તે લઇ ગયો હતો. ત્યાં ડાબી સાઇડમાં ખુલ્લી અવાવરૂ જગ્યા પાસે લઇ ગયો હતો. અહિ પહોંચ્યા બાદ મને લાગ્યું હતું કે અજયનો ઇરાદો સારો નથી જેથી મેં તેને એ તરફ જવાની ના પાડી હતી. તેમ છતાં તે બળજબરીથી અંદર તરફ લઇ ગયો હતો અને ત્યાં મારી સાથે મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. મને દુઃખાવો થવા માંડતાં મેં તેને ધક્કો મારતાં તેણે મારો કુરતો ફાડી નાંખ્યો હતો. તે નીચે પડી જતાં તેને માથાના ભાગે ઇજા થતાં હું ભાગીને વહેલી સવારે ચારેક વાગ્યે રૈયા ચોકડી તરફ આવી હતી. અહિ મારા મોટા બહેન મળી જતાં મને ઘરે લઇ ગયા હતાં. બનાવની વાત મેં માતા-પિતાને કર્યા પછી ફરિયાદ નોંધાવી હતી.

યુનિવર્સિટી પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ ડી. વી. બાલાસરાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ પુછતાછ આદરી છે.

(3:02 pm IST)