Gujarati News

Gujarati News

News of Monday, 23rd April 2018

સોરી મોમ-ડેડ એન્ડ 'આઇ લવ યુ જયદિપ, મારા લવ માટે મરુ છું'... ચિઠ્ઠી લખી ૧૫ વર્ષની પાયલનો આપઘાત

માતા-પિતા-ભાઇ-બહેન રાત્રે બહારથી ઘરે આવ્યા ત્યારે બારીની તિરાડમાંથી જોતાં પાયલ લટકતી જોવા મળીઃ હસનવાડી પાસે વાલકેશ્વર સોસાયટીમાં બનાવઃ બ્રાહ્મણ પરિવામાં અરેરાટી

રાજકોટ તા. ૨૩: ઇન્ટરનેટના યુગમાં બાળકો-તરૂણો તમામ ક્ષેત્રે બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે. ફ્રેન્ડશીપ, લવ જેવી બાબતોમાં પણ તે પાછળ નથી. હસનવાડી પાસે વાલકેશ્વર સોસાયટી-૪માં રહેતી અને ધોરણ-૯માં અભ્યાસ કરતી પાયલ જેન્તીભાઇ જોષી (ઉ.૧૫) નામની બ્રાહ્મણ બાળાએ છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત પૂર્વે આ બાળાએ એક ચિઠ્ઠી લખી છે. જેમાં 'સોરી મોમ ડેડ એન્ડ આઇ લવ યુ જયદિપ...મારા લવ માટે મરુ છું' એવું લખાણ છે. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે લીધી છે.

પોલીસ સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ હસનવાડી પાસે વાલકેશ્વર સોસાયટી-૪માં રહેતાં  જેન્તીભાઇ જોષી ગઇકાલે સાંજે પોતાના પત્નિને લઇને સાસુ-સસરાને ત્યાં બેસવા ગયા હતાં અને તેની મોટી ૧૮ વર્ષની દિકરી તથા એક દિકરો દાદીમાના ઘરે ગયા હતાં. પાછળ વચેટ દિકરી પાયલ (ઉ.૧૫) ઘરે એકલી હતી. બધા રાત્રે સાડા અગિયારેક વાગ્યે ઘરે આવ્યા ત્યારે પાયલના રૂમનો દરવાજો બંધ હોઇ બારીની તિરાડમાંથી જોતાં તે લટકતી દેખાતા બધા હતપ્રભ થઇ ગયા હતાં. પાછળનો રસોડાનો દરવાજો તોડી અંદર જઇ તેણીને નીચે ઉતારી ૧૦૮ બોલાવી હતી. પણ તેના ઇએમટી હેમતભાઇની તપાસમાં પાયલનું મૃત્યુ થયાનું જણાતાં પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં ભકિતનરગના પી.એસ.આઇ. આર. સી. રામાનુજ અને હેડકોન્સ. નરેન્દ્રભાઇ ખારવાએ બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર પાયલ બે બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને ધોરણ-૯માં યોગી વિદ્યાલયમાં ભણતી હતી. પોલીસે રૂમમાં તપાસ કરતાં પાયલે લખેલી એક ચિઠ્ઠી હાથમાં આવી હતી. આ ચિઠ્ઠીમાં તેણીએ 'સોરી મોમ ડેડ એન્ડ આઇ લવ યુ જયદિપ, મારા લવ માટે મરુ છું' એ પ્રકારનું લખાણ કર્યુ છે. પોલીસે આ ચિઠ્ઠી કબ્જે કરી છે. પ્રેમપ્રકરણમાં નાસીપાસ થતાં આ પગલું ભર્યાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. દિકરીના મોતથી જોષી પરિવારના સભ્યો શોકમાં ગરક થઇ ગયા છે. (૧૪.૯)

(1:19 pm IST)