Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

આજે બે ભારત બન્‍યા છે : એક ગરીબોનું અને એક અરબપતીઓનું : રાહુલ ગાંધી

ગુજરાતના જંગમાં પ્રથમ વખત રાહુલ ગાંધી : રાજકોટના શાસ્ત્રી મેદાનમાં હજારોની મેદની વચ્‍ચે જંગી જાહેરસભા યોજાઇ : ભાજપ પર તીખા પ્રહારો : મોરબી દુર્ઘટના મુદ્દે ૨ મિનિટનું મૌન પાળ્‍યું : યાત્રામાં દેશવાસીઓનું દુઃખ સામે આવ્‍યું : નોટબંધીથી એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગો બંધ થયા : ખેડૂતોનું દેણું માફ નથી થતું : આજે એન્‍જીનિયરો - ડોકટરો પિઝા ડિલિવરી કરે છે : રાહુલ ગાંધીની સભામાં કોંગ્રેસના દિગ્‍ગજ નેતાઓ ઉપસ્‍થિત રહ્યા

બનશે જનતાની સરકાર...રાહુલની જંગી જાહેર સભા : ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં સામેલ રાજકોટમાં કોંગ્રેસના પૂર્વ અધ્‍યક્ષ રાહુલ ગાંધીની જંગી જાહેર સભા શાસ્ત્રી મેદાન યોજાઇ હતી. શહેરની ચારેય બેઠકોના ઉમેદવારોને સાથે સભા મંચ ઉપર રાહુલે જનતા જર્નાદનનું અભિવાદન ઝીલ્‍યુ હતું. કોંગ્રેસના આગેવાનોએ રાહુલનું વિવિધ પ્રતિકૃતિઓ આપી સ્‍વાગત કર્યું હતું. રાહુલ પણ સભામાં ખૂબ ખીલ્‍યા હતા અને વિવિધ મુદ્દે સરકાર અને ભાજપની ઝાટકણી કાઢી હતી. તેમણે સૌપ્રથમ મોરબીની ઘટનાના દિવંગતોના માનમાં બે મિનિટનું મૌન પણ પાળ્‍યું હતું. સભામાં રાહુલ ગાંધી સાથે મંચસ્‍થ પર રાજસ્‍થાના મુખ્‍યમંત્રી અશોક ગહેલોત,કે.સી.વેણુગોપાલ, રઘુ શર્મા, રામકિશન ઓઝા, મિલીન દેવડા, જગદીશ ઠાકોર, સિધ્‍ધાર્થ પટેલ, પ્રદીપ ત્રિવેદી સહિતના આગેવાની ઉપસ્‍થિત રહ્યા હતા. બીજી તસ્‍વીરમાં રાજકોટના શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી, જિલ્લા પ્રમુખ અર્જુન ખાડરીયા તથા જામનગર,જૂનાગઢ,કચ્‍છ,મોરબીના પ્રમુખો તથા રાજકોટ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ, સુરેશ બથવાર, મનસુખ કાલરીયા, ટંકારા ઉમેદવાર લલીત કગથરાએ રાહુલ ગાંધીનું સ્‍વાગત કર્યું હતુ. તે તસ્‍વીરમાં દ્રશ્‍યમાન થાય છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૨૨ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્‍યૂગલ ફૂંકાઈ ગયું ત્‍યારેથી કોંગ્રેસના એકશનની રાહ જોવા રહી હતી. જો કે કોંગ્રેસ સાયલન્‍ટ મોડમાં કામ કરતી હોય તે પ્રકારની ચર્ચાઓ થતી હતી. કોંગ્રેસના કોઈ દિગ્‍ગજ નેતાઓ ચૂંટણીના જંગમાં ખાસ દેખાતા નહોતા. ત્‍યારે હવે ચૂંટણીને ૧૦ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્‍યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પુર્વ પ્રમુખ રાહુલ ગાંધી ગઇકાલે ગુજરાતના જંગમાં પ્રથમ વાર દેખાયા હતા. ગઇકાલે સાંજે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે રાહુલ ગાંધી સભા સંબોધવા પહોંચ્‍યા હતા રાહુલ ગાંધીએ સભા સ્‍થળે લોકોનું અભિવાદન કર્યું હતું. સભામાં મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મૌન પાળીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. રાહુલ ગાંધીએ સભાને સંબોધતતા જણાવ્‍યુ હતુ કે, આજે બે ભારત બની રહ્યા છે એક ગરીબોનું અને એક અમીરોનું અમારા એક ભારત બનાવવાનું છે એટલે જ ભારત જોડો યાત્રા કરી રહ્યા છીએ અમારે બે ભારત નથી જોઈતા તેમ કહી ભાજપ ઉપર તીખા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્‍યું હતું કે અહીં મોરબીમાં દુર્ઘટના બની એ સમયે પત્રકારોએ મને પૂછ્‍યું હતું કે તમે શું વિચારો છો? તમે કહ્યું ૧૫૦ લોકોના મૃત્‍યુ થયા તેમાં રાજનીતિ નહીં કરો. મોરબી દુર્ઘટનામાં ચોકીદારને પકડી અંદર કરી દીધા પણ જવાબદારો સામે કાંઈ નહીં પણ આજે સવાલ જરૂર થાય છે. ભાજપ સાથે સારો સંબંધ છે એટલે કંઈ નહીં થાય.

રાહુલ ગાંધી એ સભા સંબોધતા જણાવ્‍યું હતું કે, દેશના ત્રણ - ચાર અબજોપતિ બિઝનેસમેન લાખો રૂપિયાની લોન લે છે અને માફ થઈ જાય છે મ. ખેડૂતો ૫૦ હજાર કે એક લાખ રૂપિયાની લોન લે છે તો કેમ માફ થતી નથી. ખેડૂતો ધિરાણ ન ભરે તો ડિફોલ્‍ટર જાહેર કરાય છે. પ્રધાનમંત્રી વીમા યોજનામાં પૈસા નાખે છે પાક નિષ્‍ફળ જાય છે છતાં એક રૂપિયો મળતો નથી.

લોકોના પગમાં છાલા પડી ગયા અને ૨ લોકો સ્‍વર્ગધામ ગયા છતાં આ યાત્રા ચાલુ છે. હું આજે ગુજરાત આવ્‍યો અને રસ્‍તો ગુજરાતના ગાંધીજીએ દિશા આપી હતી.ભારત જોડોનું કામ ગુજરાતના ગાંધીજીએ આપ્‍યું હતું. આ ગુજરાતના સંસ્‍કાર છે.યાત્રામાં આનંદ છે. પરંતુ દુઃખ પણ છે. દુઃખ શા માટે ? ભારત જોડાઈ છે હિંસા નથી તો શેનું દુઃખ. યાત્રામાં સૌ સહકારથી ચાલે છે. ખેડૂતો, આદિવાસી અને યુવાનોને મળીને દુઃખ થાય છે.ખેડૂતોને વીમો,પોષણક્ષમ ભાવ,દેવું માફ નથી થતું. યુવાનો બેરોજગાર છે.ભણેલો યુવાન આજે મજૂરી કરે છે. યુવાનોને રોજગારી મળતી નથી સરકારમાં લાખો જગ્‍યા ખાલી છે પણ ભરતી કરવામાં આવતી નથી મોંઘવારી બેરોજગારી વધુ ગરીબ અને મધ્‍યમ વર્ગીય લોકો સહન કરે છે.

અમે કાશ્‍મીરથી કન્‍યાકુમારીની યાત્રા પર નીકળ્‍યા છીએ બે હજાર કિલોમીટર ચાલી લીધુ છે. હવે ૧૫૦૦ કિમી ચાલવાનું બાકી છે. જેમાં લાખો બેરોજગાર, માતા, બહેનો,દલિતો, અલ્‍પસંખ્‍યકો ખેડૂતો સહિતના લોકો ચાલી રહ્યાં છે.સવારે ૬ વાગ્‍યાથી શરૂ કરવામાં આવેલી યાત્રા સાંજે ૭ વાગ્‍યે સુધી ચાલુ રહે છે. તમારો ધર્મ શુ છે. તમારી જાતિ શુ છે. કે ભાષા અમે કશું પૂછ્‍યું નથી આખો સમુદાય મારી સાથે છે.કોઈ પડી જાય અને વાગ્‍યું હોઈ તો તરત અમે ભેગા થઈને લઈ જઈએ છે. આ લાગણી અને કરુણાની યાત્રા છે.

કોંગ્રેસના દિગ્‍ગજ નેતા રાહુલ ગાંધી પ્રચારમાં જોડાયા છે ત્‍યારે આ સભામાં રાજકોટની ચાર બેઠકના ઉમેદવારો માટે તેઓએ મત માગ્‍યા હતા. રાહુલ ગાંધીને સાંભળવા માટે મોટી સંખ્‍યામાં જંગી મેદની ઉમટી પડી હતી. તેઓ કોંગ્રેસના ખેસ, ટોપી તથા ઝંડાઓ સાથે જોવા મળ્‍યા હતા.

(11:26 am IST)