Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

તા. ૩૦ મીથી સિલ્વરનેસ્ટ સોસાયટીમાં ભાગવત સપ્તાહ : ડો. કૃષ્ણકુમાર શાસ્ત્રી જ્ઞાનવાણી વહાવશે

રાજકોટ તા. ૨૨ : સામાકાંઠે સંતકબીર રોડ પર મ્યુ. કોર્પોરેશન બિલ્ડીંગ સામે પુજિત રૂપાણી ટ્રસ્ટના કાર્યાલય પાસે આવેલ સિલ્વર સોસાયટીમાં સ્વ. જેરામભાઇ તુલસીભાઇ નાવિયાણી પરિવારના યજમાનપદે કારતક માસમાં તા. ૩૦ ઓકટોબરથી ૬ નવેમ્બર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરાયુ છે.

કથાના વ્યાસાસને ગીતા વિદ્યાલયના સંચાલક ભાગવતાચાર્ય ડો. કૃષ્ણકુમાર મનહરલાલજી મહારાજ બિરાજી રસપ્રદ શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે. બોધદાયી દ્રષ્ટાંતો, વિજ્ઞાન અને અધ્યાત્મની સાથે ભૃણ હત્યા, પર્યાવરણ, કન્યા કેળવણી, રાષ્ટ્રપ્રેમ, દહેજપ્રથા, વ્યસન મુકિત, વાંચન ટેવ, જેવા મુદ્દાઓને આવરી લઇ લોકજાગૃતિનું કર્તવ્ય નિભાવવામાં આવશે.

કથા શ્રવણનો સમય સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૭ નો રહેશે. યજમાન પરિવારના હરીભાઇ, મનહરભાઇ, અતુલભાઇ, અરૂણભાઇ, દીપકભાઇ નાવિયાણી વગેરે સદસ્યો પૂજાવિધિ તથા આરતીનો ધર્મલાભ લેશે.

કથાની પોથીયાત્રા તા. ૩૦ ના બપોરે ૩.૩૦ વાગ્યે વાજતે ગાજતે નિકળશે. કથા દરમિયાન તા.૧ ના સતી ચરીત્ર, તા.૨ ના નૃસિંહ પ્રાકટય, તા.૩ ના વામન જન્મ, રામજન્મ, વેશભુષા સાથે કૃષ્ણ જન્મ, નંદમહોત્સવ, તા. ૪ ના ગીરીરાજ ઉત્સવ, અન્નકુટ દર્શન, ગોપી ગીત, તા. ૫ ના સુદામા ચરીત્ર, રૂક્ષ્મણી વિવાહ વગેરે પ્રસંગો આવરી લેવાશે.

તા. ૬ ના બુધાવરે કથાની પૂર્ણાહુતિ થશે. કથાની વિશેષતા એ છે કે પીએચ.ડી. થયેલા અધ્યાપક વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય કરીને ભાગવતજીના સિધ્ધાંતો અને રહસ્યોની સરળ ભાષામાં સમજુતી આપશે. સર્વે ભાવિકોએ કથાશ્રવણનો લાભ લેવા નાવિયાણી પરિવાર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(3:12 pm IST)