Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ધનવંતરી રથના આરોગ્યકર્મીઓને ભગવત ગીતા આપી બિરદાવતાં રમેશકુમાર વૈષ્ણવ

રાજકોટ તા. ૨૨ : મોરબીમાં જન્મેલાક્રાંતિકારી જૈન સંત અને કવિશ્રી સંતબાલજીની'પગલે-પગલે'કવિતાના આ શબ્દોને કોરોનાની મહામારીમાં દરેક વ્યકિતએ પોતાના અંતરમનમાં ધારણ કરવાની જરૂર છે. આપણા સૌના જીવન માર્ગમાં આવેલી કોરોનારૂપી આ મહામારીને હરાવવા માટે સરકાર-જિલ્લા વહિવટી તંત્ર-આરોગ્ય કર્મીઓ ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ સકારાત્મક ઉર્જા અને સ્નેહના સથવારા સાથે આપણી સારવાર કરી રહ્યા છે. તેની સામે આ મુશ્કેલ સમયમાં પણ એવા નાગરિકો પણ આપણી સામે ઉભરી આવ્યા છે,જેઓ આરોગ્યકર્મીઓના નિષ્કામ કર્મયોગને બિરદાવી તેમને સહયોગી બનીને સાચા અર્થમાં તેમનો નાગરિક ધર્મ નિભાવી રહ્યા છે.

વાત છે,જામનગર રોડ પર સ્થિત રાજકોટ લોકો રેલ્વે કોલોનીમાં રહેતા રમેશકુમાર વૈષ્ણવની. કે જેઓએધન્વંતરી રથ દ્વારા કોરોના સર્વેલન્સની કામગીરી કરતાં જંકશન પ્લોટના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓને ભગવત ગીતા ભેટ સ્વરૂપે આપીને તેમના નિષ્કામ કર્મયોગને બિરદાવ્યો હતો.

રમેશકુમાર વૈષ્ણવ દ્વારા મળેલા આ સન્માન બદલ પોતાની લાગણી વ્યકત કરતાં ધન્વંરી રથ સાથે જોડાયેલા ડો. સિધ્ધી વિઠ્ઠલાણીએ જણાવ્યું હતું કે,'મારી જેમ અનેક આરોગ્ય કર્મીઓઅન્યના જીવનને કોરોનાથી રક્ષિત કરવા માટે ઉદ્દાત ભાવના સાથે પોતાનું ફરજ રૂપી કર્મ કરી રહયા છે. અમારી આ ફરજ દરમિયાન અમને સારા-નરસા અનેક અનુભવો થયાં છે. તેમ છતાં પણ અમે અડીખમ બનીને લોકોની સેવા કરી રહ્યા છીએ તો એ રમેશકુમાર જેવા સમજદાર અને સહયોગી નાગરિકોને કારણે.'

ડો. સિધ્ધીએ વધુમાં કહ્યું હતું કે, 'અમે આરોગ્ય કર્મીઓ કોઈને નુકશાન પહોંચાડવા માટે નથી. લોકોના આરોગ્ય માટે દિવસ-રાત મહેનત કરીએ છીએ.સોશ્યિલ મીડિયાના નકારાત્મક મેસેજથી પ્રેરાઈને લોકો આરોગ્ય કર્મીઓ સાથે અયોગ્ય વ્યવહાર કરી રહ્યા છે,તેમ છતાં અમે તેમના સ્વાસ્થ્ય માટે હાજર જ હોઈએ છીએ.'

આરોગ્ય કર્મીઓની મહેનત માટે સંતબાલજીએ કહેલી પંકિત સાચા અર્થમાં સાર્થક બની રહેશે.

હિંમત તારી ખોતો ના,સ્વાર્થ સામે જોતો ના,

શિસ્ત,શાંતિ ને સેવાનો તું પાઠ સૌને આપ્યે જા, દુર્ગમ પંથ કાપ્યે જા.

(3:18 pm IST)