Gujarati News

Gujarati News

News of Saturday, 22nd September 2018

સ્વર્ગસ્થ પીએસઆઇ સંજયસિંહ જાડેજાને ન્યાય અપાવવાની માંગણી સાથે કરણી સેનાના ગ્રીનલેન્ડ ચોકડીએ ચક્કાજામ અને સુત્રોચ્ચાર

સરકાર શા માટે મુંજાય છે? જવાબદારો સામે પગલા ભરવાની માંગણીઃ જે. પી. જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા અને રણજીતસિંહ જાડેજાની આગેવાનીમાં કાર્યક્રમ

રાજકોટ : શહેરના કુવાડવા રોડ પોલીસ મથક અને છેલ્લે એ-ડિવીઝનમાં પી.આઇ. રાઇટર તરીકે ફરજ બજાવી ચુકેલા તથા આઠ મહિના પહેલા જ પીએસઆઇની ખાતાકિય પરિક્ષા પાસ કરી વડોદરા મુકાયેલા પીએસઆઇ સંજયસિંહ શિવુભા જાડેજાએ ગયા રવિવારે વડોદરા સયાજીગંજ પોલીસ મથકની અલ્કાપુરી પોલીસ ચોકીમાં જ પોતાની સર્વિસ રિવોલ્વરથી આત્મહત્યા કરી લેતાં સમગ્ર પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઇ ગઇ છે. હિમ્મતવાન અને હસમુખા કર્મચારીની છાપ ઉભી કરનારા સંજયસિંહ જાડેજાએ એક ડાયરીમાં 'મારાથી પીએસઆઇની નોકરી થાય તેમ નથી મને માફ કરજો' એવી નોંધ કરી જિંદગી ટૂંકાવી લીધી હતી. આજે અઠવાડીયા પછી પણ સમગ્ર પોલીસ બેડામાં સર્વત્ર એક જ સવાલ ચર્ચાઇ રહ્યો છે કે શા માટે એક હિમ્મતવાન પીએસઆઇ આવું પગલું ભરે? શા માટે નોકરી થઇ શકે તેમ નહોતી? શું કોઇનો ત્રાસ હતો?...આ સવાલોએ સોૈની વિચારતા કરી મુકયા છે. આજે સવાર કરણી સેનાએ ગ્રીનલેન્ડ ચોકડી ખાતે  સ્વ. સંજયસિંહ જાડેજાને ન્યાય અપાવવાની માંગણી સાથે ચક્કાજામ કરી સુત્રોચ્ચાર કર્યા હતાં. પંદરેક મિનીટ સુધી ચક્કાજામ રહેતાં ભારે ટ્રાફિક જામ થઇ ગયો હતો. જાણ થતાં કુવાડવા પી.આઇ. એ.આર. મોડીયા, બી. ડીવીઝન પી.આઇ. આર. એસ. ઠાકર અને ટીમો દોડી ગઇ હતી. જો કે એ પહેલા કાર્યક્રમ પુરો થઇ ગયો હતો. કરણી સેનાના સોૈરાષ્ટ્ર પ્રમુખ જે. પી. જાડેજા, રાજકોટ જીલ્લા પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, રાજકોટ શહેર પ્રમુખ રણજીતસિંહ જાડેજાની આગેવાની હેઠળ સમગ્ર કરણી સેના આ કાર્યક્રમમા જોડાઇ હતી. સરકાર શા માટે મુંજાય છે? સ્વ. સંજયસિંહ જાડેજાના મૃત્યુ પાછળ કોણ જવાબદાર છે? શા માટે કોઇ પગલા લેવામાં આવતાં નથી? તેવા સવાલો કરણી સેનાએ ઉઠાવ્યા હતાં. તસ્વીરમાં વાહનોની કતારો અને રોડ પર બેસી ગયેલાકરણી સેનાના આગેવાનો અને ટીમ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા) (૧૪.૧૦)

(3:50 pm IST)