Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

મવડી સોજીત્રા પાર્કમાં બિમારીથી બિમારીથી કંટાળી જઇ રંજનબેન વાળંદનો આપઘાત

અગ્નિસ્નાન કરીને જિંદગી ટૂંકાવી લીધીઃ ગોંડલીયા પરિવારમાં શોક

રાજકોટ તા. ૨૨: મવડીના સોજીત્રા પાર્કમાં હરિદર્શન સ્કૂલ સામે રહેતાં રંજનબેન ભરતભાઇ ગોંડલીયા (ઉ.૫૪) નામના વાળંદ મહિલાએ સાંજે અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર રીતે દાઝી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. મહેન્દ્રભાઇ પરમારે જાણ કરતાં તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર રંજનબેનને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પતિ ભરતભાઇ કારખાનામાં કામ કરે છે. રંજનબેનને વર્ષોથી હાડકાના દુઃખાવા સહિતની બિમારી હોઇ તેની દવા પણ ચાલુ હતી. આ બિમારીથી ત્રાસીને પગલું ભરી લીધાનું પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું.

બેભાન હાલતમાં ધર્મેશ રંગપરા  અને વિવેક હિરાણીનું મોત

બે જુદા-જુદા બનાવમાં બેભાન હાલતમાં બે યુવાનના મોત નિપજ્યા હતાં. લાખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતો ધર્મેશ ભનુભાઇ રંગપરા (ઉ.૩૦) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહે જાણ કરતાં થોરાળાના એએસઆઇ ગોકુલભાઇ વાસાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં સંત કબીર રોડ પર સદ્દગુરૂ સાનિધ્ય સામે બ્રાહ્મણીયાપરા-૧૩માં રહેતો વિવેક કિશોરભાઇ હિરાણી (ઉ.૨૨) નામનો યુવાન રાત્રે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ નિપજતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને અક્ષયએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(11:18 am IST)