Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મુળીયા મજબૂત હોય તો પાંદડા ખરે પણ થડ કયારેય પડતુ નથી

રાજકોટ નાગરીક બેન્કના વાંચન પરબના ૨૫માં મણકામાં રશ્મી બંસલ લિખિત 'સ્ટે હંગ્રી સ્ટે ફુલીશ'ના સોનલ મોદી અનુવાદિત 'ખભે કોથળો ને દેશ મોકળો'ની ભાવયાત્રા જય વસાવડાએ કરાવી

રાજકોટ : ફકત બેન્કીંગ જ નહિં, સામાજીક ઉત્તરદાયિત્વ સાથે કાર્ય કરતી, રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી. દ્વારા વાંચન પરબ ચાલી રહ્યુ છે. તાજેતરનાં ૨૫ મણકામાં રશ્મી બંસલ લિખિત 'સ્ટે હંગ્રી સ્ટે ફુલીશ'ના સોનલ અનુવાદીત 'ખભે કોથળો ને દેશ મોકળો'ની ભાવયાત્રા જાણીતા કોલમીસ્ટ - વકતા જય વસાવડાએ બેન્કની રાજકોટ ખાતેની હેડ ઓફીસ અરવિંદભાઈ મણીઆર નાગરીક સેવાલયમાં રજૂ કરી હતી. જય વસાવડાએ રજૂ કરેલ વકતવ્યની એક ઝલક આ પુસ્તકમાં એકતા કપૂરથી લઈને અનોખા ૨૫ એવા સાહસીકો કે જેમણે કંઈક અનોખુ કરવા, ચીલો ચાતરીને નીકળ્યા છે અને સફળ બન્યા છે તેની વાત છે. આત્મવિશ્વાસ કેમ આવે?  આવડત આવે અનુભવમાંથી અને અનુભવ કેમ મળે? તો અનુભવ મળે અખતરામાંથી. આ એક આખી પ્રોસેસ છે. બધુ જ પરફેકટ જીવનમાં મળતુ જ નથી. કલોઝ - અપમાં કોઈપ્ણ દૃશ્ય બિહામણુ જ લાગી શકે છે. સફળતાની યાત્રા આવી જ રહી છે. મુળીયા મજબૂત હોય તો પાંદડા ખરે પરંતુ થડ કયારેય પડતુ નથી. સાચા સમયે બધુ જ છોડવાની પણ એક કળા છે. આમ ઈતિહાસ અનેક પરિબળોનો સરવાળો છે. એક વાત માર્ક કરજો કે હંમેશા તળેટીમાં જ ધક્કામુકી હોય છે. શિખર ઉપર તો પુષ્કળ જગ્યા હોય છે. આપણો કમ્ફર્ટ ઝોન છોડવો જોઈએ. આ પુસ્તકના બધા જ લોકોએ જયાં જયાં તક મળી ત્યાં કંઈક નવુ કરી દેખાડ્યુ છે. સહુને નિષ્ફળતાનો ભય કરતા પ્રયત્ન ન કર્યાનો અફસોસ વધારે હોય છે.

આ વાંચન પરબમાં નલીનભાઈ વસા (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), જયોતિન્દ્રભાઈ મહેતા (ચેરમેન - નાફકબ), ટપુભાઈ લીંબાસીયા (પૂર્વ વાઈસ ચેરમેન - ડીરેકટર), શૈલેષભાઈ ઠાકર (ડીરેકટર), જીમ્મીભાઈ દક્ષિણી (ડિરેકટર), દિપકભાઈ મકવાણા (ડીરેકટર), હંસરાજભાઈ ગજેરા (ડીરેકટર), રાજશ્રીબેન જાની (ડીરેકટર), સતીષજી મરાઠે (ડીરેકટર), કિર્તીદાબેન જાદવ (ડિરેકટર), કાર્તિકેયભાઈ (ડિરેકટર), હરકિશનભાઈ ભટ્ટ (બોર્ડ એડવાઈઝર), વિનોદ શર્મા (સીઈઓ) ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે જય વસાવડાનું શૈલેષભાઈ ઠાકર અને દિપકભાઈ મકવાણાએ પુસ્તક - ખાદીનો રૂમાલ અને સ્મૃતિ ભેટ આપી સન્માન કર્યુ હતું. કાર્યક્રમનું સંચાલન કવયિત્રી - સીએ સ્નેહલ તન્નાએ કર્યુ હતું.(૩૭.૯)

(4:26 pm IST)