Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

કાલે કવિ 'આપ'ના સંભારણાં કાર્યક્રમમાં ઉમેરાશે નવો આયામ

સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટથી કનેકટ નવી પેઢીને હાથવગો લોકસંસ્કૃતિ વારસોઃ પદ્મ ભીખુદાનભાઈ ગઢવી, કીર્તિદાન ગઢવી, ધીરૂભાઈ સરવૈયા, ઉદયબાપુ ભગત અને સંતોની ઉપસ્થિતિમાં ''આપાભાઈ ગઢવી ઓફિશ્યિઅલી' નામક સાહિત્યિક યુ ટ્યુબ ચેનલનું લોકાર્પણ

આજના આધુનિક પરિવેશમાં સ્માર્ટ ફોનથી સતત કનેકટ્ નવી યુવા પેઢી, આપણાં સાહિત્ય, સંગીત અને લોકસંસ્કૃતિના સંસ્કારવારસાથી પણ સવિશેષ કનેકટ થાય, એવા ઉમદા હેતુ આશયથી લોકસાહિત્ય અને ચારણી સાહિત્યના અમુલ્ય ધરોહર સમા કવિ 'આપ'ના સાહિત્ય સંગીતને સાંકળીને તૈયાર થયેલ 'આપાભાઈ ગઢવી ઓફિશ્યિઅલી'નામક સાહિત્યિક યુ ટ્યુબ ચેનલની શરૂઆતનો લોકાપર્ણ ઉપક્રમ, એ આ વખતના સ્વ.આપાભાઈ ગઢવી (કવિ 'આપ')ના 'સંભારણા' કાર્યક્રમની મુખ્ય પહેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ગામડે ગામડે અને પ્રદેશ- રાજયના સીમાડા વળોટી દેશ- પરદેશ જેની કૃતિઓ ગુંજે છે, લોકસાહિત્ય તેમજ ચારણીસાહિત્ય ક્ષેત્રે જેનું આગવું અને અનેરૃં પ્રદાન રહ્યું છે અને જેમના અનેક ગીત, ગઝલ, ભજન, દોહા- છંદ, લોકવાર્તા, સંગીતરૂપક, રેડિયો નાટક, કથા- પટકથા- સંવાદ, સંગીત, સ્વરાંકન આજે પણ લોકોના હૈયે- હોઠે વસે છે એવા સૌરાષ્ટ્રના જાણીતા કવિ, લેખક, ગાયક, વકતા, સ્વરકાર- સંગીતકાર સ્વ.આપાભાઈ ગઢવી (કવિ 'આપ')ની પૂણ્યસ્મૃતિમાં 'આપાભાઈ ગઢવી ઓફિશ્યિઅલી' સાહિત્યક યુ ટ્યુબ ચેનલનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.

કાગળિયા લખી લખી થાકી, કાનુડા તારા મનમાં નથી, કરેલા કરમના બદલા દેવા પડે, ઝૂંપડીએ કોક તો જાજો, એના મેમાન તો થાજો, માનવ નડે છે માનવીને મોટો થાય પછી, હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું, તમોને મુબારક તમારી અમીરી, અમોને અમારી ભલી છે ફકીરી, કોઈ માટેલ જઈને મનાવો મારી બેનું, ખોડિયાર રમવાને આવે, મોગલ છેડતાં કાળો નાગ, મોગલ દવે એવી છે- જેવી અનેક અમર કૃતિના રચયિતા સ્વ.આપાભાઈ ગઢવીની પુણ્ય સ્મૃતિમાં પ્રતિ વર્ષ કવિ 'આપ' પરિવાર દ્વારા 'સંભારણાં' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે એમની ચોવીસમી પુણ્યતિથિ છે.

પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી, કીર્તિદાન ગઢવી, ધીરૂભાઈ સરવૈયા, ઉદયબાપુ ભગત (સોનગઢ), મોઈન મીર, સહ શબ્બિર ઉસ્તાદ, બાલા ઉસ્તાદ, બળવંત ગોસાઈ, વિશાલ વાઘેલા, દિનેશ ગઢવી, વિજય- શ્યામ પરમાર આદિની સૂરીલી સાઝ સંગતે પ્રસ્તુત થવા જનાર આ વર્ષના કવિ 'આપ' સ્મૃતિ વિશેષ 'સંભારણાં' કાર્યક્રમમાં હાજર રહેવા, સ્વ.કવિના ચાહકો- અભિભાવકો અને પ્રશંસકો ઉપરાંત સર્વે હરિ ભકતો અને કલારસિક શ્રોતાગણને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

શ્રી સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ- રાજકોટના કોઠારી સ્વામી શ્રી હરિવલ્લભદાસજી, જેતપુર ગાદી મંદિરના કોઠારી સ્વામી શ્રી નિલકંઠનચરણદાસજી આદિ સર્વે સંતોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાનાર પ્રસ્તુત 'સંભારણા' કાર્યક્રમમાં તા.૨૩ જૂન શનિવાર, રાત્રે સાડા આઠ કલાકે ભૂપેન્દ્ર રોડ ઘનશ્યામ સત્સંગગૃહમાં 'આપભાઈ ગઢવી ઓફિશ્યિઅલી' નામની સાહિત્યિક યુટ્યુબ એરલનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.(૩૦.૨)

(4:24 pm IST)