Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

રામનાથપરામાં ચાર મકાનમાંથી ધોળે દિવસે ચોરીઃ તસ્કર નવાગામનો શાહુદ શેખ પકડાયો

ખુલ્લા મકાનોમાં ઘુસી ૬૧૫૦૦ની માલમત્તા હાથવગી કરી લીધી'તીઃ લોકોએ દબોચી લઇ પોલીસને સોંપ્યો

રાજકોટ તા. ૨૨: રામનાથપરામાં રહેતાં અને સોની કામ કરતાં બંગાળી યુવાનના ઘરમાંથી તથા આસપાસના બીજા ત્રણ મકાનમાંથી ગઇકાલે ભરપોરે સોના ચાંદીના દાગીના, રોકડ મળી રૂ. ૬૧૫૦૦ની ચોરી થઇ હતી. આ ગુનામાં ચોરી કરનાર નવાગામ મામાવાડીમાં રહેતાં શાહુદ ઇસ્માઇલભાઇ શેખ (ઉ.૨૧)ને લોકોએ પકડી ધોલધપાટ કરી એ-ડિવીઝનને સોંપતા ગુનો નોંધી વિશેષ તપાસ શરૂ કરવામાં આવી છે.

બનાવ અંગે પોલીસે રામનાથપરા-૧૧માં રહેતાં મુળ બંગાળ હુબલીના બોળોમુલ્ટી ગામના લખાઇભાઇ કાનાભાઇ ઘોષ (ઉ.૩૪)ની ફરિયાદ પરથી શાહુદ શેખ સામે ચોરીનો ગુનો નોંધ્યો છે. લખાઇભાઇના કહેવા મુજબ ગઇકાલે બોપરે સાડા બારેક વાગ્યે પોતે કામે ગયેલ અને દિકરી નિશાળે ગઇ હતી. પત્નિ ઘરે એકલી કપડા ધોતી હતી ત્યારે એક ચોર ઘરમાં ઘુસી સોનાની બંગડી, વીંટી, નાકની ચુંક, બુટી, ઓમકાર, ચાંદીના દાગીના, સાંકળા, ચાંદીની પેન,  મોબાઇલ ફોન, રોકડ મળી રૂ. ૫૦ હજારની ચોરી કરી ભાગી ગયો હતો.

તપાસ કરતાં બાજુના સમીરભાઇ સરવૈયાના ઘરમાંથી પણ ૧૫૦૦ની માલમત્તાની તથા માધવભાઇ જોષીના ઘરમાંથી રૂ. ૩૦૦૦ની અને હેતલબેન સોરાણીના ઘરમાંથી રૂ. ૧૦૦૦ની ચોરી થયાની ખબર પડી હતી. ચાર ઘરમાં ચોરી થતાં લોકોમાં દેકારો મચી ગયો હતો. જેમાં એક શકમંદ ભાગી ગયો હતો અને બીજો હાથમાં આવી જતાં તેને પોલીસને સોંપાયો હતો. આ શખ્સે પોતાનું નામ શાહુદ શેખ (રહે. નવાગામ) જણાવતાં અને ચોરીની કબુલાત આપતાં પીએસઆઇ એસ. વી. સાખરા અને ટીમે તેની ધરપકડ કરી વધુ પુછતાછ હાથ ધરી છે.

(12:46 pm IST)