Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

બજરંગવાડી પુનિતનગરમાં મોચી વેપારી મનિષ પરમારનો ગળાફાંસો ખાઇ આપઘાત

ઉપરના રૂમમાં પગલું ભર્યુઃ બે માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ ગઇકાલે જ યુવાને જ્ઞાતિના ભોજન સમારોહમાં રંગેચંગે ભાગ લીધો હતોઃ અચાનક પગલાથી પરિવારમાં માતમ

આત્મહત્યા કરી લેનારા મનિષભાઇ પરમારનો નિષ્પ્રાણ દેહ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૨: બજરંગવાડી પુનિતનગર-૨ શેરી નં. ૧૦માં રહેતાં મનિષભાઇ મણીલાલ પરમાર (ઉ.૨૮) નામના મોચી યુવાને ઘરમાં ઉપરના માળે પંખાના હુકમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.બનાવની જાણ ૧૦૮ના તબિબે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કરતાં ઇન્ચાર્જ બિપીનભાઇ મહેતાએ જાણ કરતાં ગાંધીગ્રામના પીએસઆઇ એમ.ડી. વાળા તથા રાઇટર વિરભદ્રસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર મનિષભાઇ બે ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં અને મોચી બજારમાં ચમનલાલ પોપટલાલ પરમાર નામે ફૂટવેર મટીરીયલ્સનો વેપાર કરતાં હતાં. તેના પત્નિનું નામ નયનાબે છે. સંતાનમાં બે પુત્ર છે. સવારે મોડે સુધી મનિષભાઇ ઉપરના રૂમમાંથી નીચે ન આવતાં પરિવારજનો જોવા જતાં ઘટનાની જાણ થતાં કલ્પાંત સર્જાયો હતો.

પરિવારજનોના કહેવા મુજબ ગઇકાલે જ મોચી મંદિર ખાતે મોચી જ્ઞાતિજનોના ભોજન સમારોહ યોજાયો હોઇ તેમાં પણ મનિષભાઇએ રંગેચંગે ભાગ લીધો હતો અને અત્યંત ખુશ હતાં. અચાનક આ પગલાથી અરેરાટી વ્યાપી ગઇ છે. બે માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી છે. ગૃહકલેશને કારણે આ પગલું ભર્યુ કે અન્ય કોઇ કારણે? તે અંગે પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:25 pm IST)