Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

આઈઆઈટીઈના પરિપત્રના કારણે વિદ્યાર્થીના રદ કરેલ એડમિશન કોરોનાના કારણે ચાલુ રાખવા માંગણી

ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિને વાલીની રજૂઆત

રાજકોટ, તા. ૨૨ :. રાજકોટના ગુજરાત હાઉસીંગ બોર્ડ-રંગોલી પાર્ક એન-૧૦૮માં રહેતા મમતાબેન આર. શાહે ગાંધીનગર ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિશ્રીને પત્ર પાઠવીને 'આઈઆઈટીઈ'ના તા. ૮-૧-૨૧ના પરિપત્રના કારણે વિદ્યાર્થીના રદ કરવામાં આવેલ એડમીશન કોરોનાના કારણે ચાલુ રાખવા માંગણી કરી છે.

મમતાબેન શાહે રજૂઆતમાં વધુમાં જણાવ્યુ છે કે મારી પુત્રીને મૈત્રી વિદ્યાપીઠ કોલેજ-સુરેન્દ્રનગરના પ્રિન્સીપાલ તરફથી તા. ૧૫-૧-૨૧ના રોજ મૌખીક સૂચના મળી હતી કે માઈગ્રેશન સર્ટી સમયસર અપલોડ ન કરવાથી વિદ્યાર્થીનું એડમીશન આઈ.આઈ.ટી.ઈ.ના પરિપત્ર તા. ૮-૧-૨૧ના કારણે એડમીશન રદ કરવામાં આવે છે.

આઈ.આઈ.ટી.ઈ. તા. ૮-૧-૨૧ના પરિપત્રના ક્રમાંક (૨) તથા (૪) અન્વયે મારી પુત્રીએ બી.એસ.સી.ના ૫ મા સેમેસ્ટરની એક વિષયની એ.ટી.કે.ટી.ની પરીક્ષા તા. ૩૦-૧૨-૨૦૨૦ના આપી છે તેમજ લઘુતમ ટકાવારી પણ મેળવી છે અને પાસ થઈ છે જેથી મારી પુત્રીનું એડમીશન રદ થવાને પાત્ર બનતુ નથી છતાં એડમીશન રદ કર્યુ છે.

કોરોનાના કારણે લોકડાઉન હતુ જેથી બી.એસ.સી.ની ૫મા સેમેસ્ટરની પરીક્ષા રદ થઈ છે. લોકડાઉન પુરૂ થતા સૌ. યુનિ.એ બી.એસ.સી. તા. ૩૦-૧૨-૨૦૨૦ના રોજ પરીક્ષા લીધી છે. જેનુ રીઝલ્ટ હજુ સુધી (તા. ૨૧-૧-૨૦૨૧) આવેલ નથી જે અન્વયે અમોએ સૌ. યુનિ.ના પરીક્ષા વિભાગનો સંપર્ક કરીને આ બાબતે ધ્યાન દોર્યુ હતું. જે અન્વયે પરીક્ષા વિભાગના જવાબદાર અધિકારીશ્રીએ જણાવ્યુ કે, વિદ્યાર્થીઓના ભાવીને ધ્યાને લઈ જાન્યુ. ૨૧ સુધીમાં અમો રીઝલ્ટ આપીશું તેમ જણાવવામાં આવ્યુ છે રીઝલ્ટ અપલોડ ન થવાના કારણે સંસ્થાએ એડમીશન રદ કર્યુ છે તે અંગેની જવાબદારી શૈક્ષણિક સંસ્થાની બને છે.

આઈ.આઈ.ટી.ઈ.ના એક પરિપત્રના કારણે અનેક વિદ્યાર્થી - વિદ્યાર્થીનીઓના એડમીશન રદ થયાનું જાણવા મળ્યુ છે. કોરોનાના કારણે લાંબા સમય સુધી લોકડાઉન હતુ અને સૌ. યુનિ.એ બી.એસ.સી.નું સમયસર રીઝલ્ટ ન આપ્યું તેનો ભોગ મારી પુત્રી બની છે નવું એડમીશન મળવુ મુશ્કેલ છે જેથી કુલપતિના તા. ૮-૧-૨૧ના પરિપત્રને કોરોના મહામારીના કારણે વિદ્યાર્થીઓના હીતમા રદ કરીને પુત્રીનું એડમીશન ચાલુ / રેગ્યુલર રહે તેવી કાર્યવાહી કરવા માંગણી કરી છે.

(3:55 pm IST)