Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd January 2020

મોટા મવા લક્ષ્મીના ઢોળા પર વિજય ગોહેલનો ગળાફાંસો ખાઇ આપઘાત

બે સંતાને પિતાનું છત્ર ગુમાવ્યું: પત્નિ માવતરે જતી રહેતાં પગલુ ભરી લીધું

રાજકોટ તા. ૨૨: મોટા મવા લક્ષ્મીના ઢોળા પર રહેતાં વિજય દેવજીભાઇ ગોહેલ (ચમાર) (ઉ.વ.૨૭)એ સાંજે પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લેતાં બાજુમાં જ રહેતાં તેના સાઢુભાઇને જાણ થતાં તેણે તાકીદે નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રામજીભાઇએ જાણ કરતાં યુનિવર્સિટીના હેડકોન્સ. બોગાભાઇ ભરવાડ અને લક્ષમણભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં ખુલ્યા મુજબ વિજય ત્રણ ભાઇમાં નાનો હતો અને છુટક મજૂરી કરતો હતો. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પત્નિ હીનાબેન ત્રણેક દિવસ પહેલા કોઇ બાબતે ચડભડ થતાં સંતાનોને લઇ માવતરે જતી રહી હતી. આ કારણે માઠુ લાગી જતાં વિજયએ આ પગલુ ભર્યાની શકયતા છે.

વિજયના માતા અને ભાઇઓ કુવાડવા રહેતાં હોઇ અંતિમવિધી માટે મૃતદેહ ત્યાં લઇ જવાયો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(1:06 pm IST)